Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

13 December 2025

બાળકના મગજ વિશે આ વાત તમે ક્યારેય નહીં સાંભળી હોય..!

 


બાળકના મગજ વિશે આ વાત તમે ક્યારેય નહીં સાંભળી હોય..!


જેવી રીતે એક કેરીના ગોટલામાં વિશાળ આંબાનું વૃક્ષ થવાની ક્ષમતા છુપાયેલી છે એવી જ રીતે બાળકમાં મહામાનવ બનવાની સઘળી ક્ષમતા છુપાયેલી છે પરંતુ તેના મગજમાં રહેલ એક ખાસ તત્વ વિશે આપણે અજાણ છીએ..!


બાળકના મગજ અને તેને શીખવવાની ઉંમર વિશે જાણવું ખૂબ આવશ્યક છે. બાળકની માનસિક ક્ષમતા અને તેની શીખવાની ઉંમર વિશે આજે તમને સંશોધન આધારિત નક્કર વાત કહેવી છે. જે કદાચ આજ સુધીમાં તમે ક્યારેય સાંભળી નહીં હોય..! ન્યુરોસર્જન અને મનોવૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો પછી ખૂબ અગત્યની જાણકારી મેળવી છે કે, આપણા મગજની સપાટી પર એક ભુખરા રંગનું જાડું સ્તર આવેલું છે. જેને કોર્ટેક્સ કહેવાય છે. જેમાં કરોડો નર્વસેલનો સમાવેશ થાય છે. જ્ઞાનતંતુ મારફતે આ કોર્ટેક્સને અસંખ્ય સંદેશા પ્રાપ્ત થતા હોય છે. મનુષ્યમાં બધા જ પ્રાણીઓ કરતાં સૌથી વધારે પ્રમાણમાં કોર્ટેક્સ હોય છે. જીવનની પ્રારંભિક અવસ્થામાં જ આ કોટેક્સ ખૂબ જ લવચિક હોય છે. ઉંમર વધતા તેની લવચીતા ઘટતી જાય છે. બાળક જે કંઈ સાંભળે, જુએ, અનુભવે તેની છાપ કોર્ટેક્સમાં અંકિત થતી રહે છે. ઘણીવાર યાદ કરવા છતાં યાદ ના આવે, પરંતુ ક્યારેક અચાનક એ બાબત સાંભરી આવે છે. જેનું કારણ આ કોર્ટેક્સ છે. તમને પણ ક્યારેક તો આવું બન્યું હશે..!


બાળપણના આ સમયમાં મળતા અનુભવોથી શિક્ષણનો પાયો મજબૂત બને છે. કોટેક્સની સૌથી મહત્વની કામગીરી યાદશક્તિ, શબ્દોનો ઉપયોગ, અનુભવોને યાદ રાખવા અને અર્થોને તારવવાનો હોય છે. એટલે જ બાળપણમાં ઘરે બોલાતા શબ્દો એટલા દ્રઢ થઈ જાય છે કે મોટા થઈને પણ એવું જ બોલાય છે. સંશોધનો જણાવે છે કે, શાળાએ જતા પહેલા ઉચ્ચારની ટેવ સુધારી શકાય છે. ત્રીજા ચોથા ધોરણ પછી એ સુધારવું અઘરું બને છે. બાળકને ત્રણથી પાંચ વર્ષની ઉંમરે મળતા શૈક્ષણિક અનુભવો ચીરકાળ માટે જીવંત બની રહે છે માટે આ સમયે ઘરમાં તથા શાળામાં મહત્તમ જીવનલક્ષી અનુભવો આપવા રહ્યા..!


ઘેટાના બચ્ચા પર થયેલા સંશોધન મુજબ, જન્મના અમુક સમય સુધી તેને ટોળાથી દૂર રાખવામાં આવે તો પછી ક્યારેય તે ટોળાની પાછળ પાછળ જતું નથી. એવું જ બાળકના મગજ માટે છે. એક ચોક્કસ ઉંમરે મગજની શીખવાની જે ઉત્તેજના હોય છે તે મોટી વયે રહેતી નથી. કદાચ એટલે જ આપણે ત્યાં કહેવત પડી હશે કે, પાકા ઘડે કાંઠા ન ચડે..!


બાળકના મગજની શીખવાની આ અવસ્થામાં જો માતા-પિતા લાપરવાહ રહે તો બાળક આજીવન નક્કર શીખી શકતું નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો, લગભગ છ મહિનાની ઉંમરે બાળક ચાવવાની શરૂઆત કરે છે. જો આ સમયે તેને બિનપ્રવાહી ખોરાક ન આપવામાં આવે તો પછીથી બાળક ચાવવા માટે તકલીફ લેતું નથી. બાળકને વાંચવા તથા લખવાનો ગ્રાહ્યગાળો ચારથી પાંચ વર્ષનો હોય છે. આ ઉંમરે ખૂબ હોશે હોશે તે વાર્તા સાંભળે છે. જાતજાતની માંગણીઓ કરે છે. તમે વાર્તા કહેતા થાકશો પરંતુ એ સાંભળતા નહીં થાકે. તમારી વાર્તા કહેવામાં ભૂલ થશે તો પણ બાળક સુધારશે. તેને શબ્દે શબ્દ યાદ રહી ગયું હશે.


બાળક અઢીથી ત્રણ વર્ષની વય આસપાસ વ્યવસ્થિતતાનું મૂલ્ય સમજતો થાય છે. પોતાની વસ્તુ ચોક્કસ જગ્યાએ જ મુકતા શીખશે. મમ્મીના અમુક કપડાં જ તેને ગમશે. પોતાનું રમકડું સાથે લઈને સુશે. પોતાના જ કપમાં દૂધ પીશે. માતા-પિતાને આ બધું ત્રાસદાયક લાગે. બાળક બહુ જીદ કરે છે તેવું લાગે, પરંતુ આ સમયે બાળક ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે જે ગ્રહણ કરે છે તેના પરથી ચોક્કસ તેના ખ્યાલો આજીવન માટે બંધાતા હોય છે. શું તમારા બાળકની આ અવસ્થા નો લાભ આજ સુધી તમે નથી લીધો ? તો આજથી જ બાળકનું સૂક્ષ્મ નિરીક્ષણ કરો. તેની શીખવાની તીવ્રતાના સમયે ઉત્તમ શિક્ષણ આપો. વાર્તા કહો. ભાષા શીખવો. પ્રકૃતિ વર્ણન કરો. આવું કરવાથી બાળકના મગજનો યોગ્ય દિશામાં, યોગ્ય સમયે વિકાસ થશે અને તે જીવનભર તેના ઘડતરનો પાયો બની રહેશે..!


શીખવા જેવું : બાળકના જીવનની વસંતમાં થયેલી યોગ્ય માવજતના ફળ આજીવન મળતા રહે છે. આ માટે જરૂર છે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાતરપાણી આપવાની..!

22 July 2025

World Brain Day: હાર્વર્ડ નિષ્ણાતોની આ ટિપ્સથી તમારા મગજને રાખો યુવાન અને તેજ

World Brain Day: હાર્વર્ડ નિષ્ણાતોની આ ટિપ્સથી તમારા મગજને રાખો યુવાન અને તેજ

દર વર્ષે 22 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મગજ દિવસ’ (World Brain Day)ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વને મગજનું મહત્વ સમજાવવા અને તેના સ્વાસ્થ્ય તરફ લોકોનું ધ્યાન દોરવા માટે ઉજવવામાં આવે છે.આ વર્ષે 2025 માં ‘વિશ્વ મગજ દિવસ’ ની થીમ ‘બધી ઉમરના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય’ છે,જે દર્શાવે છે કે મગજની સંભાળ કોઈ ચોક્કસ ઉંમર સુધી મર્યાદિત નથી, પરંતુ દરેક વ્યક્તિએ જીવનભર તેની કાળજી લેવી જોઈએ.આ ખાસ તકે અમે તમને હાર્વર્ડના આરોગ્ય નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી 12 સરળ પણ અસરકારક ટિપ્સ જણાવીશું, જે તમારા મગજને લાંબા સમય સુધી તેજ, મજબૂત અને યુવાન રાખવામાં મદદ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ પદ્ધતિઓનું પાલન કરીને મગજને તેજ અને સ્વસ્થ રાખવું ખૂબ જ સરળ છે.



   



હાર્વર્ડ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી 12 ટિપ્સ:

નવી વસ્તુઓ શીખતા રહો: 

દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો. તે કંઈપણ નવું હોઈ શકે છે. પછી ભલે તે નવી કોઈ સ્કિલ હોય, ભાષા હોય કે પછી રેસીપી પણ હોય શકે. શીખવું તમારા મગજને સક્રિય રાખે છે અને નવા જોડાણો બનાવવામાં મદદ કરે છે.

મગજની રમતો રમો: 

મગજની રમતો રમવાથી તમારી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતામાં સુધારો થાય છે. કોયડાઓ, ક્રોસવર્ડ્સ, સુડોકુ ઉકેલવાથી કે ચેસ રમવાથી તમારું મગજ તેજ રહે છે.

તમારા શોખને અનુસરો: 

જો તમે કામમાં વ્યસ્ત છો અને તમારા શોખને અનુસરી શકતા નથી, તો તરત જ તેને કરવાનું શરૂ કરો.તે તમને આરામ કરવામાં અને ખુશ રહેવામાં પણ મદદ કરે છે.

શારીરિક રીતે સક્રિય રહો: 

કસરત ફક્ત તમારા શરીર માટે જ નહીં પરંતુ તે તમારા મગજ માટે પણ ફાયદાકારક છે.

સ્વસ્થ આહાર લો: 

તમારા આહારને સ્વસ્થ રાખો. તેમાં વધુ ફળો, શાકભાજી, સૂકા ફળો અને આખા અનાજનો સમાવેશ કરો.

સારી ઊંઘ લો:

 સારી ઊંઘ તમારા મગજને આરામ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે 7-8 કલાક સારી ઊંઘ લેવાની ખાતરી કરો.

સ્ટ્રેસ મેનેજમેન્ટ: 

વધુ પડતો તણાવ તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે. શાંત અને તણાવમુક્ત રહેવા માટે, યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો.

સોશલ બનો: 

પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી તમારું મન સક્રિય અને તાજું રહે છે.

તમારા મગજનું રક્ષણ કરો: 

સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરો અને કારમાં સીટ બેલ્ટ બાંધો.

ઓછું દારૂ પીવો અને ધૂમ્રપાન ટાળો: 

વધુ પડતો દારૂ અને ધૂમ્રપાન મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો: 

હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા સ્થૂળતા જેવા રોગો સમય જતાં તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે.

પોઝિટિવ વિચારો: 

ખુશ રહેવું મગજ માટે સારું છે. દરરોજ કંઈક સારું શોધો અને તેના માટે આભારી બનો. ખુશ રહેવાથી મગજ તેજ અને યુવાન રહે છે.


02 July 2025

વિલિયમ મૅકડૂગલ

વિલિયમ મૅકડૂગલ


મૅકડૂગલ, વિલિયમ (જ. 22 જૂન 1871, ચેડરટન, ઇંગ્લૅન્ડ; અ. 28 નવેમ્બર 1938, ડરહામ, નૉર્થ કૅરોલાઇના, યુ.એસ.) : બ્રિટનમાં જન્મેલા અમેરિકન મનોવિજ્ઞાની અને મનોવિજ્ઞાનના હેતુવાદી સંપ્રદાયના સ્થાપક. એમનો જન્મ લૅંકેશાયર પરગણામાં ઓલ્ડહામ પાસેના ચેડરટન ગામમાં એક રસાયણશાસ્ત્રીને ત્યાં થયો. નાનપણથી જ તેમણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનપિપાસાનો પરિચય આપવા માંડ્યો. 15 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય તરીકે જીવવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. અગ્રણી વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓના સિદ્ધાંતો અને ધાર્મિક સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. આ વિવિધ અભ્યાસોના પરિપાક રૂપે તેમણે મનોવિજ્ઞાન વિશે આગવી સમજ મેળવી અને માત્ર 17મા વર્ષે યુનિવર્સિટીની પદવી મેળવી.

અભ્યાસના અંતે તેઓ કેમ્બ્રિજ સેંટ જૉન કૉલેજમાં ફેલો બન્યા. યુનિવર્સિટીમાં પ્રાયોગિક અને શારીરિક મનોવિજ્ઞાનના અધ્યાપનનો આરંભ કરાવવામાં તેમનો મોટો ફાળો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિની વચ્ચે આવેલા ટૉરસ સ્ટ્રેઇટ વિસ્તારમાં વસતા લોકોના નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટે મોકલેલા જૂથમાં તેઓ જોડાયા હતા. તેમણે ત્યાંના આદિવાસીઓનું મનોવૈજ્ઞાનિક કસોટીઓ વડે પરીક્ષણ કર્યું. પહેલા વિશ્વયુદ્ધ વખતે સૈનિકોના માનસોપચારનું કાર્ય પણ તેમણે કર્યું હતું.

જર્મનીની ગોટિંજન યુનિવર્સિટીમાં જઈને તેમણે રંગદર્શન ઉપર મહત્વનું સંશોધન કર્યું; કેટલુંક પરામનોવૈજ્ઞાનિક સંશોધન પણ કર્યું.

સન 1901માં તેઓ બ્રિટન પાછા ફર્યા અને લંડનની યુનિવર્સિટી કૉલેજમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળામાં મદદનીશ તરીકે જોડાયા. ત્યાં પણ તેમણે પ્રાયોગિક મનોવિજ્ઞાનના અધ્યાપનને સુર્દઢ બનાવી સંશોધનોને મદદ કરી. 1904માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં માનસિક તત્વજ્ઞાનના રીડર બન્યા.

1920 પછી તેઓ યુ.એસ. ગયા; ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. 1927માં તેઓ ડરહામમાં ડ્યૂક યુનિવર્સિટીમાં જોડાયા; ત્યાં મનોવિજ્ઞાન વિભાગનો વિકાસ કરી પરામનોવિજ્ઞાન સહિત વિવિધ વિષયોમાં સંશોધનો કર્યાં.

તેમણે મનોવિજ્ઞાનના વિવિધ વિષયો પર 24 પુસ્તકો અને 167 સંશોધનલેખો લખ્યાં છે. ‘ફિઝિયોલૉજિકલ સાયકૉલૉજી’ (1905), ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકૉલૉજી’ (1908), ‘બૉડી ઍન્ડ માઇન્ડ’ (1911), ‘ગ્રૂપ માઇન્ડ’ (1920), ‘આઉટલાઇન ઑવ્ સાયકૉલૉજી’ (1923) અને ‘આઉટલાઇન ઑવ્ ઍબનૉર્મલ સાયકૉલૉજી’ (1926) તેમનાં જાણીતાં પુસ્તકો છે. ‘ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકૉલૉજી’ પુસ્તક સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સંખ્યાબંધ સંશોધનોને માટે પ્રેરક બન્યું અને એ પુસ્તકે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં નવો યુગ શરૂ કર્યો. તેની 30 આવૃત્તિઓ થઈ છે. ‘ગ્રૂપ માઇન્ડ’માં રાષ્ટ્રીય જીવન અને રાષ્ટ્રીય ચારિત્ર્ય પર તેમણે પોતાના આગવા વિચારો રજૂ કર્યા છે.

સહજવૃત્તિ અંગેનો તેમનો સિદ્ધાંત ખૂબ જાણીતો પણ ચર્ચાસ્પદ બન્યો. તેમાં નિરીક્ષણો સાથે ન ચકાસેલી અટકળોનું મિશ્રણ હોવાથી આજનું મનોવિજ્ઞાન તેનું માત્ર ઐતિહાસિક મૂલ્ય આંકે છે. તેમનાં સંશોધન અને લેખોના વિષયોનું વૈવિધ્ય તેમની વિદ્વત્તાનો જીવંત પુરાવો છે. ખાસ કરીને સામાજિક મનોવિજ્ઞાનમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય જણાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

08 May 2025

ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ...2025

 ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ...2025

ધો .10 ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 


                  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: - ૧૦ (એસ.એસ.સી.) અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  08/05/2025 નાં રોજ ગુરુવારે સવાર 8.00 કલાકે  બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે.વિદ્યાર્થીઓ WhatsApp Number  ૬૩૫૭૩૦૦૯૭૧  પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન










 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "

                                                            - ડો.જીજ્ઞેશ વેગડ