Pages
- Home
- આવકાર
- મારો પરિચય
- મારી શાળા
- મારા પુસ્તકો
- ૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય
- ૧૧ માનો.આકૃતિ મોડેલ ચાર્ટ
- ૧૨ માનો.આકૃતિ,મોડેલ,ચાર્ટ
- મનોવિજ્ઞાન ક્વિઝ
- મનોવૈજ્ઞાનિકો
- મનોવૈજ્ઞાનિકના ફોટોગ્રાફ
- મનોવિજ્ઞાનના પુસ્તકો
- મનોવૈજ્ઞાનિક વિડીયો
- મનોવિજ્ઞાનનું સાહિત્ય
- મનોવૈજ્ઞાનિક લેખો
- મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો
- મનોવિજ્ઞાન શબ્દ કોષ
- મનોવૈજ્ઞાનિક કસોટીઓ
- મનોવૈજ્ઞાનિક ફિલ્મો
- સંશોધન પેપર
- UGC NET Material
- UGC SET Material
- GPSC સાહિત્ય
- લોકરક્ષક PSI - પરીક્ષા
- વન રક્ષક પરીક્ષા
- ભારતનું બંધારણ
- CCC / CCC+ નું સાહિત્ય
- શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2
- ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય
- શાળા ઉપયોગી સાહિત્ય
- ચુંટણી સાહિત્ય
- સ્પર્ધાત્મક પરીક્ષા
- પુસ્તકો -PDF ફાઈલમાં
- સરકારી યોજનાઓ
- STD - 10 AND 12
- કારકિર્દી
- ફોટો ગેલેરી
- QR CODE
- વર્તમાન પત્ર અને હું
30 September 2021
28 September 2021
ધર્મવિષયક મનોવિજ્ઞાન (psychology of religion)
ધર્મવિષયક મનોવિજ્ઞાન
(psychology of religion)
ધર્મવિષયક મનોવિજ્ઞાનમાં ધાર્મિક માન્યતાઓ, પ્રથાઓ, પરંપરાઓ અને વ્યવહારોનો વ્યક્તિઓ અને સમૂહોના માનસ અને વર્તન ઉપર કેવો પ્રભાવ પડે છે તેનો અવલોકનનિષ્ઠ (empirical) તથ્યાત્મક (factual) અભ્યાસ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનની અન્ય શાખાઓની જેમ ધર્મનું મનોવિજ્ઞાન પણ મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયેશન’ (APA) નામની મનોવિજ્ઞાનીઓની સંસ્થાના એક વિભાગનું નામ ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ રાખવામાં આવ્યું છે. APAના જુદા જુદા વિભાગોમાં તે તે વિભાગ હેઠળ આવતાં મનોવૈજ્ઞાનિક સંશોધનોને આવરી લેવામાં આવે છે અને તે વિભાગની પ્રવૃત્તિઓનું સંકલન થાય છે.
વીસમી સદીના પૂર્વાર્ધમાં વિલિયમ જેમ્સ, સ્ટેનલી જૉલ તેમજ ગૉર્ડન ઑલપૉર્ટ જેવા અગ્રણી અમેરિકન મનોવિજ્ઞાનીઓએ આ ક્ષેત્રમાં તેમના ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું છે, પરંતુ વીસમી સદીના મનોવિજ્ઞાનમાં જે રીતે મનોવિજ્ઞાનની બીજી શાખાઓ વિસ્તરતી ગઈ તે રીતે ધર્મના મનોવિજ્ઞાનનો વિસ્તાર અને વિકાસ થયો નથી. ઉદ્યોગો, શિક્ષણ, વ્યવસાય, માનસ-વિકૃતિઓ આદિ લૌકિક ક્ષેત્રનાં પરિવર્ત્યો(variables)થી પ્રભાવિત એવા માનવવર્તન ઉપર સ્વાભાવિક રીતે જ વધુ સંશોધનો થયાં છે.
ધર્મવિષયક મનોવિજ્ઞાન એક પ્રભાવક મનોવિજ્ઞાન તરીકે મુખ્ય પ્રવાહના મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ કરતાં ઓછું વિકસ્યું છે તેનું એક કારણ એ દર્શાવવામાં આવે છે કે મનોવિજ્ઞાનની બીજી શાખાના વિષયો અવલોકનક્ષમ છે, જ્યારે ધર્મવિષયક માન્યતાઓ, વ્યવહારો, પ્રથાઓ કે પરંપરાઓના વિષયો તરીકે ઈશ્વર, આત્મા, પુનર્જન્મ, કર્મ, પાપ-પુણ્ય વગેરે આવે છે અને આવા વિષયોની સત્યતાનો નિર્ણય કરવાનું મનોવિજ્ઞાન પાસે કોઈ સાધન નથી. તેથી જ મનોવિજ્ઞાનની અન્ય શાખાઓમાં જેવું વિષયગત તેમજ પ્રમાણભૂત જ્ઞાન મળી શકે છે તેવું આ શાખામાં શક્ય નથી તેમ દર્શાવાયું છે. જોકે, ઘણા મનોવિજ્ઞાનીઓ માને છે કે મનોવિજ્ઞાનીઓએ તો વ્યક્તિની માન્યતાઓ (beliefs), તેનું વર્તન, તેનાં મનોવલણો વગેરે કયાં પરિબળોથી પ્રભાવિત થાય છે તેનો જ અભ્યાસ કરવાનો છે. તેથી જો ધર્મ વ્યક્તિનાં અને સમૂહનાં વર્તનોને નિર્ણાયક રીતે પ્રભાવિત કરતો હોય તો ધર્મ પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિની પરિભાષા પ્રમાણે, એક અગત્યનું પરિવર્ત્ય (variable) બને છે અને મનોવિજ્ઞાનીઓએ તેના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ધાર્મિક માન્યતાની સામગ્રી ગમે તે હોય પણ જો તે નિર્ણાયક રીતે વ્યક્તિના કે સમૂહોનાં વર્તન, મનોવલણ વગેરે ઉપર પ્રેરક પ્રભાવ પાડતી હોય તો મનોવિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કરવો જ જોઈએ. ધર્મ જે કહે છે તેને વૈજ્ઞાનિક સમર્થન નથી તેવું ઘણા મનોવૈજ્ઞાનિકો માનતા હોય છે. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન તો એ છે કે ધર્મમાં જે કહેવાયું છે તે લોકોને અમુક રીતે વર્તવા પ્રેરે છે કે નહિ ? જો ધર્મ વર્તનનું પ્રેરકબળ હોય તો એ મનોવિજ્ઞાનનો મહત્વનો વિષય બને જ છે.
અલૌકિક તત્વોમાં શ્રદ્ધા એ જ ધર્મનું હાર્દ ગણવામાં આવે છે. તેથી ધાર્મિક વર્તનનું લક્ષ્ય અને ધાર્મિક માન્યતાનો વિષય એ બંનેને તર્કના ક્ષેત્રની બહાર મૂકવામાં આવે છે તેથી ધર્મને બિનતાર્કિક (non-logical) ગણનારાઓ તેના વૈજ્ઞાનિક અભ્યાસને પણ મહત્વ આપતા નથી, પરંતુ ખરેખર તો પ્રશ્ન એ પુછાવો જોઈએ કે શું મનુષ્યનું વર્તન, હંમેશાં વ્યક્તિગત અને સામૂહિક કક્ષાએ તાર્કિકતા(rationality)થી જ પ્રેરાયેલું હોય છે ? ખુદ મનોવૈજ્ઞાનિકો જ માને છે કે લોકો જૂથની સ્વીકૃતિ મેળવવા માટે, જૂથ દ્વારા સ્વઓળખ પ્રાપ્ત કરવા માટે, જૂથ-જોડાણ ટકાવી રાખવા માટે, તેમજ આશ્વાસનની, ટેકાની અને સલામતીની જરૂરિયાત માટે પણ ઘણા પ્રકારનું પ્રબલનકારક અને અનુકૂલન-સાધક વર્તન કરતા હોય છે. લોકોનું ધાર્મિક વર્તન પણ આ જ પ્રેરકો(motives)થી સમજાવી શકાય છે. ધાર્મિક વર્તન પણ રૂઢિ, પરંપરા, વ્યક્તિના સામાજિકીકરણ(socialization)ની તરેહો, સમાજનાં ધોરણોનું વ્યક્તિઓએ કરેલું આંતરિકીકરણ (internalization) વગેરેથી ઉદભવે છે, ટકી રહે છે અને દોરવાય છે. તેથી જ, તાર્કિકતાને આગળ કરીને ધર્મના વૈજ્ઞાનિક અભ્યાસની અવગણના થઈ શકે નહિ. અતાર્કિક પ્રેરકોનો અભ્યાસ કરવાનું મનોવિજ્ઞાનમાં ટાળવામાં આવે તો પછી મનોવૈજ્ઞાનિકો અફવાનું, ટોળાનું, પ્રચારનું, સ્વપ્નોનું, ભ્રમનું અને પૂર્વગ્રહનું મનોવિજ્ઞાન રચી જ ન શકે ! તેનો અર્થ એ નથી કે ધાર્મિકતા એ આ બધા વિષયો જેવી જ અતાર્કિક છે. ખરેખર તો સંશોધનનો મુદ્દો એ હોવો જોઈએ કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાને વરેલા સમાજોમાં શા માટે હજી પણ પવિત્ર ગ્રંથોની અને ગુરુઓની લોકોત્તર તત્વોનો બોધ આપતી વાણીમાં લોકો માની રહ્યા છે ? તેનાં કયાં પ્રેરકબળો છે ? શા માટે લોકો વૈજ્ઞાનિક સમજૂતીઓ ઉપરાંતની અલૌકિક સમજૂતીઓ સ્વીકારવા પ્રેરાય છે ?
લોકો જે માને છે અને જે રીતે વર્તે છે તે માન્યતાના વિષયો કલ્પિત હોય, અસત્ય હોય, અસમર્થિત હોય, ભૂલભરેલા હોય કે તે વર્તનનાં લક્ષ્યો સિદ્ધ થાય તેવાં ન હોય તે અંગેની વાત મનોવિજ્ઞાનીઓએ બાજુએ મૂકીને જ ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કરવું જરૂરી બને છે. દા.ત., પૂર્વગ્રહયુક્ત માન્યતાઓ અતાર્કિક હોય છે, સાહિત્ય કે કલાના વિષયો કેવળ કલ્પનાગમ્ય હોય છે, સ્વપ્નોમાં ભાસતા પદાર્થો મિથ્યા હોય છે અને અફવાઓ અસત્ય હોય છે, છતાં પૂર્વગ્રહનો, સાહિત્યકલાનો, સ્વપ્નોનો કે અફવાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ ગંભીરતાથી કરવામાં આવે છે, કારણ કે અવાસ્તવિક, કલ્પિત, અતાર્કિક કે અસત્ય કે અસમર્થિત હોય તેવી બાબતો પણ મનુષ્યના વર્તનને વાસ્તવિક રીતે, વ્યક્તિગત કે સામૂહિક કક્ષાએ પ્રભાવિત કરે જ છે. ધર્મનો પણ દરેક સમાજમાં દરેક ઐતિહાસિક તબક્કે વ્યક્તિઓના અને સમૂહોના માનસ ઉપર વ્યાપક પ્રભાવ પડ્યો છે તે હકીકત છે. તેથી પોતાનો અભ્યાસ તથ્યનિષ્ઠ છે તેવો દાવો કરનારા મનોવિજ્ઞાનીઓ કઈ રીતે આ હકીકતને અવગણી શકે ? મનોવિજ્ઞાનમાં ધર્મવિષયક માન્યતાઓના વિષયોની સત્યતા/અસત્યતા નક્કી કરવાની કોઈ પદ્ધતિ જ નથી. ધર્મનિષ્ઠ વર્તનનાં લક્ષ્યો (જેમ કે મોક્ષ) ખરેખર સિદ્ધ થાય છે કે કેમ તેનો નિશ્ચય કરવાનાં પણ મનોવિજ્ઞાન પાસે કોઈ સાધનો નથી. ધર્મવિષયક અનુભવોનું પ્રામાણ્ય પણ મનોવિજ્ઞાન નિશ્ચિત કરી શકે નહિ. મનોવિજ્ઞાન આવા વિષયો, લક્ષ્યો અને અનુભવોનો કેવળ તથ્યાત્મક અભ્યાસ કરી શકે છે.
ધર્મના અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની જેમ જ ધર્મનો મનોવૈજ્ઞાનિક અવલોકનનિષ્ઠ અભ્યાસ મુખ્યત્વે વર્ણનાત્મક, માપનલક્ષી અને સર્વેક્ષણ સ્વરૂપનો હોય છે. વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો માટે મનોવૈજ્ઞાનિક સાધનો (પ્રશ્નાવલિ વગેરે) બનાવવામાં આવે છે અને તેને આધારે વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો અને વ્યક્તિના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનાં કે તેનાં મનોવલણોનાં કે તેનાં માનસિક સ્વાસ્થ્ય અંગેનાં માપનો સાથે સહસંબંધ શોધવામાં આવે છે. દા.ત., ઊંચી ધર્મભક્તિવાળા લોકો પ્રમાણમાં વધુ રૂઢિચુસ્ત છે કે ઓછા ઉદાર હોય છે ખરા ? તેઓ વધુ સ્વસ્થ કે ઓછા ચિંતાતુર હોય છે ખરા ? વિવિધ વ્યાવહારિક ક્ષેત્રોમાં તેમનું સમાયોજન કેવું હોય છે ? તેઓ અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવે છે કે કેમ ? તેઓ સમાનતામાં માને છે કે ઈશ્વરસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં ઉચ્ચાવચતા હોય તો તે પણ સ્વીકારી લે છે ? આવા અનેક પ્રશ્નો લઈને મનોવૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે. આવાં સંશોધનોમાં ધર્મના વિષયની સત્યતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવતો જ નથી. જર્મનીની કોલોન (Colongue) યુનિવર્સિટીના વૉલ્ફગાંગ ઝેગોડઝિન્સ્કી અને શિકાગો તેમજ એરિઝોના યુનિવર્સિટીના એન્ડ્ર્યુ ગ્રીલીએ ધર્મ અંગેના 1991ના ઇન્ટરનૅશનલ સર્વે પ્રોગ્રામની માહિતીનું વિશ્લેષણ કર્યું છે. ધર્મવિષયક આ સર્વેક્ષણમાં પશ્ચિમ જર્મની, પૂર્વ જર્મની, હંગેરી, ઇટલી, આયર્લૅન્ડ, નોર્વે, યુ.એસ., ન્યૂઝીલૅન્ડ, ઇઝરાયલ વગેરે સત્તર દેશોના લોકોના નિદર્શ (sample) લેવામાં આવ્યા હતા. નીચેનાં છ વિધાનો પ્રત્યેના નિદર્શમાં સમાવિષ્ટ લોકોના ઉત્તરો ઉપરથી તેમનું પાકા નિરીશ્વરવાદી (નાસ્તિકો), હળવા નિરીશ્વરવાદીઓ અને અતિહળવા નાસ્તિકો એવું વર્ગીકરણ કરવામાં આવ્યું. એ છ વિધાનો આ પ્રમાણે છે :
(1) હું ઈશ્વરમાં માનતો નથી.
(2) ઈશ્વર છે કે કેમ તે હું જાણતો નથી અને તે જાણવા માટેનો કોઈ માર્ગ પણ નથી.
(3) હું વ્યક્તિસ્વરૂપ ઈશ્વરમાં માનતો નથી પણ કોઈક પ્રકારની શક્તિ(power)માં માનું છું.
(4) હું કેટલીક વાર ઈશ્વરમાં માનું છું તો વળી બીજા કેટલાક પ્રસંગે ઈશ્વરમાં માનતો નથી એવું પણ અનુભવું છું.
(5) જ્યારે મને શંકાઓ ઘેરી વળે છે ત્યારે મને જણાય છે કે હું ઈશ્વરમાં માનું છું.
(6) ઈશ્વર ખરેખર અસ્તિત્વમાં છે તે હું જાણું છું અને મારામાં તે અંગે કોઈ શંકા નથી.
આ સર્વેમાં બીજો એક પ્રશ્ન આ પ્રમાણે હતો :
મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ? તેમાં ચાર વિકલ્પો દર્શાવાયા હતા :
(1) હા, ચોક્કસ રીતે માનું છું.
(2) હા, સંભવિત છે, કદાચ તેવું હોય.
(3) ના, કદાચ તેવું સંભવિત નથી.
(4) ના, હું નિશ્ચિત રીતે તેમાં નથી માનતો.
ઉપરનાં પ્રથમ છ વિધાનોમાંથી જે પહેલું વિધાન સ્વીકારે, અને પછીનાં ચાર વિધાનોમાંથી જે છેલ્લું વિધાન સ્વીકારે તો પાકા નાસ્તિકો ગણાય. પહેલાં છ વિધાનોમાં જે બીજો વિકલ્પ સ્વીકારે તે અજ્ઞેયવાદી(agnostic) કે અતિહળવા નાસ્તિકો ગણાય. સંશોધનના પરિણામે જાણવા મળ્યું છે કે જુદા જુદા દેશોમાં અતિહળવા નાસ્તિકોથી માંડીને સંપૂર્ણ નાસ્તિકોની ટકાવારી ખૂબ જ ઓછી છે દા.ત., પશ્ચિમ જર્મનીમાં માંડ પાંચ ટકા પાકા નાસ્તિકો છે અને યુ.એસ.માં અજ્ઞેયવાદીઓ ત્રણ ટકા તો સંપૂર્ણ નિરીશ્વરવાદીઓ તો 0.9 % જ છે ! આવાં ઘણાં તારણોનું વિશ્લેષણ કરતાં વિવેચકોને સમજાયું છે કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાના પ્રભાવ હેઠળ વિવિધ પ્રજાના માનસ ઉપર ધર્મનો પ્રભાવ ઘટતો જશે તેવી ધારણા આવાં સર્વેક્ષણોથી ખોટી પડી છે. જોકે પહેલાંના જેવો જ પ્રજાઓ ઉપર તો ધર્મનો સર્વવ્યાપક પ્રભાવ અકબંધ રહ્યો છે તેમ તો કહી શકાય નહિ, કારણ કે આધુનિક વિજ્ઞાને માનવજાતની જેટલી સમસ્યાઓ ઉકેલી છે તેટલી સમસ્યાઓ પહેલાં કદી પણ કોઈ સાધનોથી કે સંસ્થાઓથી ઉકેલાઈ નથી. જુદા જુદા ધર્મોમાં માનતાં રાષ્ટ્રોએ પણ નિરક્ષરતાનિવારણ કે રોગનાબૂદીથી માંડીને પરમાણુ-પરીક્ષણ સુધીની બાબતોમાં આધુનિક વિજ્ઞાનો ઉપર જ આધાર રાખવો પડે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓએ આધુનિકતાના ઇહલોકવાદી પ્રભાવ હેઠળ ધર્મનો પ્રભાવ તદ્દન ઘટી જશે એમ કહ્યું હતું પણ તેવું હજી સુધી તો બન્યું નથી એમ પણ જણાયું છે. રાજ્યો દ્વારા જો પ્રજાઓ ઉપર ધર્મવિહીનતા બળજબરીથી લાદવામાં આવી ન હોય તો વ્યક્તિઓ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા મહદ્અંશે ધાર્મિક વર્તનનો અંગીકાર કરી લે છે. જુદાં જુદાં જૂથોની ધાર્મિકતામાં જે તફાવતો જોવા મળે છે, તે જુદા જુદા સામાજિકીકરણને લીધે જણાય છે.
માપનલક્ષી અભિગમ મનોવિજ્ઞાનમાં અત્યંત આવશ્યક છે તે અંગે કોઈ વિવાદ નથી, પણ કેટલાક મનોવિજ્ઞાનીઓને વ્યક્તિઓ ઉપરના ધર્મના પ્રભાવ અંગેનાં તથ્યાત્મક અવલોકનોને બદલે ખુદ ધર્મના સ્વરૂપનાં મનોવૈજ્ઞાનિક સૈદ્ધાન્તિક અર્થઘટનોમાં વધુ રસ છે. આવા મનોવિજ્ઞાનીઓમાં ફ્રૉઇડ, યુંગ, ઇરિક ફ્રૉમ, અબ્રાહમ મેસલો આદિનો સમાવેશ થાય છે. આવા મનોવિજ્ઞાનીઓ કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉઠાવે છે. દા.ત., ધર્મ શું છે ? શું તે એક ભ્રાન્તિ છે ? કોઈક મનોવિકૃતિ છે ? શું તેના વિકલ્પે બીજા કોઈ તંત્રો કે વ્યવહારો તેનું સ્થાન ન લઈ
શકે ? આવા પ્રશ્નો ધર્મો અંગે સૈદ્ધાન્તિક વિચારણાને કેન્દ્રમાં મૂકે છે. દા.ત. ફ્રૉઇડે જેમ સ્વપ્નોનું અર્થઘટન કર્યું તેમ જ ધર્મનું અર્થઘટન કર્યું છે.
વિશ્વના ઉદભવ, સ્વરૂપ અને તેની સંરચના અંગેની ધર્મનિષ્ઠ માન્યતાઓને કૉપરનિકસ, ડાર્વિન અને ફ્રૉઇડે અનેક રીતે આઘાત પહોંચાડ્યો છે. ધર્મની માર્કસે અફીણ સાથે તુલના કરી અને ફ્રૉઇડે ધર્મને માનસિક નબળાઈ કે બીમારી તરીકે સમજાવ્યો છે. પહેલાં મનોદબાણ (obsession) તરીકે, પછી ઇચ્છાતૃપ્તિ તરીકે અને છેલ્લે ભ્રાન્તિ તરીકે તેમજ દમન પામેલી અચેતન સામગ્રીના પુનરાગમન તરીકે ફ્રૉઇડે ધર્મની સમજૂતી આપી છે. વ્યક્તિઓ ધાર્મિક વિધિ અને ક્રિયાકાંડના યંત્રવત્ પુનરાવર્તનથી પોતાના અપરાધભાવ(guilt)ને ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેવું ફ્રૉઇડે સમજાવ્યું છે. આમ, તેમના મતે ધર્મ એક ‘ન્યુરોસિસ’ છે. ફ્રૉઇડ પ્રમાણે જીવનની કઠોર વાસ્તવિકતાનાં દબાણો અને સંઘર્ષોને પહોંચી વળવા માટે પુખ્ત વ્યક્તિઓને પણ પિતાસ્વરૂપ ઈશ્વરની કલ્પનાનો આશ્રય લેવો પડે છે. તેમાંથી તેમને સલામતી અને હૂંફ મળે છે. ફ્રૉઇડ પ્રમાણે ઈશ્વર વગેરે અંગેની ધાર્મિક માન્યતાઓને કોઈ વાસ્તવિક પુરાવાઓનું તાર્કિક સમર્થન નથી મળતું. તેથી જ, તેનો વિષય કેવળ કાલ્પનિક ઇચ્છાતૃપ્તિ તરીકે જ પ્રવર્તે છે. એટલે ધર્મ એક ‘ન્યુરોસિસ’ પ્રકારની માનસિક અવદશા છે તે ભ્રાન્તિની સ્થિતિ છે, તેમાં માનનારાઓ માનવજાતની બાલ્યાવસ્થાના અવશેષો હજી છોડતા નથી. રોમન કૅથલિક ચર્ચે ફ્રૉઇડના મનોવિશ્ર્લેષણનો ભૌતિકવાદ, પ્રકૃતિવાદ, જીવવિજ્ઞાનવાદ, યંત્રવાદ, ઉત્ક્રાંતિવાદ વગેરે જેવાં ચૌદ કારણોસર અસ્વીકાર કર્યો છે. જોકે ઘણા મનોવિજ્ઞાનીઓ ફ્રૉઇડનો ધર્મવિષયક મત આમ પણ સ્વીકારતા નથી. જેમ કે, કાર્લ યુંગ, ઇરિક ફ્રોમ, અબ્રાહમ મેસલો વગેરે. દા.ત., કર્મકાંડ અને ધાર્મિક પ્રવિધિઓ સંપૂર્ણ રીતે અતાર્કિક છે તેવું ફ્રોમ સ્વીકારતા નથી. તે જ રીતે, ફ્રોમ મનોવિશ્ર્લેષણ અને ધર્મ વચ્ચે ફ્રૉઇડે કલ્પેલો આત્યંતિક વિરોધ સ્વીકારતા નથી. આધ્યાત્મિક અનુભવોમાં જે વિષય નિરૂપાયો છે તેની સત્યતા/અસત્યતા નક્કી કરવા માટે મનોવિજ્ઞાન પાસે કોઈ પદ્ધતિ નથી, પણ તેથી આવા અનુભવો કેવળ ભ્રાન્તિ સ્વરૂપના છે કે માનસિક નબળાઈનાં લક્ષણોરૂપ છે તેવું સ્વીકારવા પણ ઘણા મનોવિજ્ઞાનીઓ તૈયાર નથી. વૈયક્તિક ધાર્મિક-આધ્યાત્મિક અનુભવોને પણ વ્યક્તિઓ પોતાની ધર્મ-પરંપરાની પરિભાષામાં વ્યક્ત કરે છે. માનસિક સારવારના ક્ષેત્રે પણ પ્રાર્થના, પૂજા, ભક્તિ, સત્સંગ, ધાર્મિક પ્રસંગોની ઉજવણીઓ વગેરેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. જોકે, વ્યક્તિની ચિંતા ઘટાડવાના એક સાધન તરીકે કે શારીરિક-માનસિક ઉપચારમાં ઉપકારક નીવડે છે માટે જ ધર્મને સ્વીકારવો અને કોઈ પારલૌકિક તત્ત્વ સાથેના અનુસંધાન માટેના પ્રયત્ન કે માર્ગ તરીકે તેનો સ્વીકાર કરવો એ બંને જુદી બાબતો છે. ધર્મનો વિષય ભ્રાન્તિરૂપ હોય તોપણ ધર્મનું મનોવિજ્ઞાન શક્ય છે કારણ કે ભ્રાન્તિનું મનોવિજ્ઞાન શક્ય છે.
ઇતિહાસ, રાજ્યવિષયક સમાજશાસ્ત્ર, સંસ્થાઓનું સમાજશાસ્ત્ર અને સામૂહિક ધાર્મિક વર્તનનું સમાજલક્ષી મનોવિજ્ઞાન – એમ અનેક રીતે ધર્મનો અભ્યાસ થાય છે. મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિગત માનસિક અને વર્તનપરક ઘટનાઓનો જ અભ્યાસ થાય છે. ઐતિહાસિક સંજોગોને અધીન એવાં ધર્મનાં સંસ્થાસ્વરૂપોને લીધે ઉદભવતા સામાજિક સ્થગિતતાના, સંઘર્ષોના, પ્રગતિબાધકતાના અને ધર્મ સાથે જોડાઈ જતી વ્યક્તિની રાજકીય, સામાજિક-સાંસ્કૃતિક સ્વ-ઓળખને લીધે ઉદભવતા રૂઢિચુસ્તતા, ધર્મજડતા અને ટોળાશાહી અસહિષ્ણુતાના પ્રશ્નો તો મુખ્યત્વે સમાજશાસ્ત્રીય પ્રશ્નો છે, મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિ પરત્વે બોધાત્મક, આવેગાત્મક અને વર્તનપરક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે છે. જે તાર્કિક રીતે સિદ્ધ ન હોય અથવા તો તે સિદ્ધ થઈ શકે છે કે કેમ તેને અંગે જાણવાની કોઈ અવલોકનનિષ્ઠ પદ્ધતિઓ ન હોય તેવી ઘણી બાબતોમાં લોકો ઘણાંબધાં મનોવૈજ્ઞાનિક કારણોસર માનતા હોય છે. તેથી બીજાં ક્ષેત્રોની જેમ ધાર્મિક ક્ષેત્રોમાં પણ ધર્માનુસરણના તાર્કિક નહિ પણ મનોવૈજ્ઞાનિક કારણો શોધવામાં આવે છે. ધર્મને અનુસરીને ઊંચી નૈતિક ભૂમિકા સિદ્ધ કરવાના પ્રયત્નોને પ્રબલન મળે અને ધર્મ દ્વારા જુદા જુદા પૂર્વગ્રહો અને વિભાજનવાદી વલણો પોષાય નહિ તેવું વ્યક્તિનું સામાજિકીકરણ ઇષ્ટ છે, એવો મૂલ્ય-નિર્ણય જરૂરી છે. છેલ્લાં દશેક વર્ષમાં આ અંગેના સાહિત્યમાં વ્યૂલ્ફ(Wulff)નું પુસ્તક ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ (1991) તેમજ પેરગેમેન્ટ- (Pargament)નું પુસ્તક ‘ધ સાઇકૉલોજી ઑવ્ રિલિજસ કૉપિંગ’ (1997) ઘણાં ઉપયોગી નીવડ્યાં છે. એક અગ્રણી સંશોધક અને ચિંતક માઇકિયેલ નીલસન(અમેરિકાની જ્યૉર્જિયાના સધર્ન યુનિવર્સિટીના અધ્યાપક)નું ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજન’ (1994) પણ આ ક્ષેત્રમાં એક આગવું પ્રદાન ગણાય છે. ધર્મ અંગેના સંશોધનલેખો, ‘ધ જર્નલ ઑવ્ ધ સાયન્ટિફિક સ્ટડી ઑવ્ રિલીજન’, ‘રિવ્યૂ ઑવ્ રિલિજસ રિસર્ચ’ તેમજ ‘ઇન્ટરનૅશનલ જર્નલ ઑવ્ સાઇકૉલોજી ઑવ્ રિલિજન’માં પ્રકાશિત થાય છે.
મધુસૂદન બક્ષી
27 September 2021
26 September 2021
25 September 2021
24 September 2021
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ - થોર્નડાઈકનો પ્રયોગ
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ - થોર્નડાઈકનો પ્રયોગ
શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે . તેને શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ન થયેલ સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે .
આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે થોર્નડાઈકે બિલાડી ઉપર કરેલ પ્રયોગ જે સમજીએ .
થોર્નડાઈકનો પ્રયોગ :
- અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે એક સમસ્યાપેટી બનાવી હતી .
- આ સમસ્યાપેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતાં પેટીનો દરવાજો ખૂલી જતો હતો .
- આ સમસ્યાપેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડી મૂકી , અને સમસ્યાપેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો .
- સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યાપેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી .
- શરૂઆતમાં સમસ્યાપેટીના સળિયા પર પંજા માર્યા , સળિયાને બચકાં ભર્યા , સમસ્યાપેટીમાં આમ થી તેમ આંટા માર્યા કર્યા .
- ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યાપેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યું .
- પરંતુ બિલાડીને સમસ્યાપેટીની બહાર નીકળવામાં સફળતા મળી શકી નહીં .
- આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા .
- જેમાં અચાનક જ તેનો પંજો સમસ્યાપેટી ખૂલવાની કળ પર પડી જતાં સમસ્યાપેટીનો દરવાજો ખૂલી ગયો .
- અહીં સમસ્યાપેટીના દરવાજાનું ખૂલવું એ એક આકસ્મિક ઘટના હતી .
- બિલાડીએ કોઈપણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી , એટલું જ નહીં આ કળ દબાવવાથી જ દરવાજો ખૂલ્યો છે એવો પણ તેને ખ્યાલ નહોતો અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યાપેટીમાં મૂકવામાં આવતાં જ તેણે પહેલાના જેવા જ વ્યર્થ પ્રયત્નો ચાલુ કર્યા , જેથી બિલાડીને કળ અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી તે બાબતને સમર્થન મળી ગયું .
- આ રીતે થોર્નડાઈકે સતત 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતાં 24 મે પ્રયત્ન પાંજરામાં મૂકતાંની સાથે જ કળ દબાવીને સમસ્યાપેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી .
- સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે .
- અહીં પણ બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્નો વધતાં સમસ્યાપેટી ખોલવાના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો .
- પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યાપેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ જેટલો સમય લાગ્યો .
- જ્યારે 24 મે પ્રયત્ન બિલાડીએ ફક્ત 10 સેકન્ડમાં જ સમસ્યાપેટીનો દરવાજો ખોલી , બહાર નીકળી , ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું .
- આમ , પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતાં છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે .
23 September 2021
મનોનાટક પ્રસ્તુતિ
મનોનાટક પ્રસ્તુતિ
મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલન મંડળના જીવન અમૂલ્ય છે મનોનાટક પ્રસ્તુતિના નાટકો વિવિધ શાળા, કોલેજ તેમજ ભવનના વિદ્યાર્થીઓ એ નિહાળ્યું
તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આપઘાત નિવારણ ના સંદર્ભે મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સયુંકત ઉપક્રમે મનોનાટક દ્વારા આપઘાત અંગેની જાગૃતિ લાવવાં માટે બે દિવસના કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ બે દિવસમાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્લોટમાં આપઘાત નિવારણ જાગૃતિ લાવતા વિવિધ નાટકો રજૂ કર્યા હતા. આ બે દિવસના નાટક પ્રસ્તુતિકરણ માં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, ડો.અતુલભાઈ પંડ્યા, શ્રી અતુલભાઈ પંડિત, ડો.હરદેવસિંહ જાડેજા, ડો.નિદત બારોટ, મનન પંડ્યા, અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું શાબ્દિક સ્વાગત સ્વ નિર્ભર શાળા સંચાલન મંડળના પ્રમુખ શ્રી ડી.વી.મહેતાએ કર્યું હતું.
*કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી* મનોવિજ્ઞાન વિષય વ્યવહારુ વિજ્ઞાન છે તે મનોવિજ્ઞાન ભવને સાર્થક કર્યું છે. યુનિવર્સિટીને શાળા સુધી પહોંચાડી મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો છે.
*ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી* મનોવિજ્ઞાન ભવનને જેટલા અભિનંદન આપીએ ઓછા પડે. સતત કાર્યરત ભવન અને સમાજ ઉપયોગી કાર્ય કરતું રહ્યું છે.
*શ્રી અતુલભાઈ પંડ્યા* બાળકોએ સતત એક્ટિવ રહેવું જોઈએ. છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ આવી શકે બસ આત્મ વિશ્વાસ કેળવવાની જરૂર છે.
*શ્રી અતુલભાઈ પંડિત* બાળકોને આ જીવન કેટલું અમૂલ્ય છે તે શીખવવું અને સમજાવવું ખૂબ જરૂરી છે જે મનોવિજ્ઞાન ભવને કર્યું તે બદલ અભિનંદન. સહનશક્તિ કેળવવાની ખૂબ જરૂર છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
*ડો.નિદત બારોટ* પ્રાણી ક્યારેય આત્મહત્યા કરતા નથી જેમાંથી માનવીઓએ શીખવાની જરૂર છે. હતાશા એ થોડા સમયની હોય છે જેને કન્ટ્રોલ કરતા શીખવાની જરૂરી છે.
રાજકોટની ખ્યાતનામ 14 શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના તેમજ યુનિવર્સિટી વિવિધ ભવનોના આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ એ આ નાટક નિહાળ્યું હતું
આભારવિધિ ડો.યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન ડો.ધારા આર.દોશી, ડો.ડિમ્પલ રામાણી અને ડો.હસમુખ ચાવડા દ્વારા કરવામાં આવ્યું.
ડો.મીરા જેપાર તેમજ તૌફિક જાદવ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી. વિવિધ ભવનના અધ્યક્ષ, અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા... .આજકાલની જનરેશન નાના બાળકોથી લઈને વૃદ્ધોમા આત્મહત્યાનુ પ્રમાણ દિનપ્રતિદિન વધતું જાય છે જેની જાગૃતિ અંગે થોડા નાટકો મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીઓ દ્વારા જીવન કેટલું અમૂલ્ય છે તેની પ્રસ્તુતિ કરી . આત્મહત્યા કરવા પાછળના કારણો ક્યા ક્યા જવાબદાર છે તેની થીમ લઈને નાટકો 10 સ્લોટમાં રજુ થયા . જેમાં......
1) નિષ્ફળતા : વ્યક્તિને એકવાર નિષ્ફળતા મળે છે તો જાણે જીવન સમાપ્ત થઇ ગયું એવુ માની આત્મહત્યા કરી લે છે.
(2) એક પક્ષીય પ્રેમ અને પ્રેમમા મળતો દગો :- પ્રેમ જાણે સર્વસ્વ હોય એમ પરિવારનું ન વિચારતા બે પાર્ટમાં આ ડ્રામા કરવામા આવશે.
(3) આર્થિક તંગી અને આર્થિક બોજો :- ઘણીવાર આત્મહત્યાનું કારણ આર્થિક પાસું પણ જવાબદાર હોય છે.
(4) નશો :- આજકાલ ગેઈમિંગ ના નશાનું પ્રમાણ વધતું જાય છે. વ્યક્તિને મોબાઈલ સિવાય જાણે દુનિયામાં કશું છે જ નહિ. લોકો આ ગેઈમિંગ નશામાં એટલા ડૂબી જાય છે કે તેને કશું ભાન રહેતું નથી.
(5) રેગિંગ :- રેગીંગનું પ્રમાણ આજકાલ શાળા કોલેજોમા વધતું જાય છે. જેના કારણે વ્યક્તિ માનસિક ત્રાસથી આત્મહત્યા કરવાનું વિચારી લે છે.
22 September 2021
20 September 2021
19 September 2021
18 September 2021
17 September 2021
બહુવિધ વ્યક્તિત્વ (multiple personality)
બહુવિધ વ્યક્તિત્વ (multiple personality)
બહુવિધ વ્યક્તિત્વ (multiple personality) : વ્યક્તિની એવી અવસ્થા જેમાં વારાફરતી બે કે વધારે સંપૂર્ણ વ્યક્તિત્વતંત્રો પ્રગટ થાય છે. આ વ્યક્તિત્વતંત્રો એકબીજાંથી ઠીક ઠીક અંશે સ્વતંત્ર હોય છે. દરેક વ્યક્તિત્વતંત્ર વિકલ્પી વ્યક્તિત્વ કહેવાય છે. બહુવિધ વ્યક્તિત્વ વિયોજનાત્મક (dissociative) પ્રકારની હળવી મનોવિકૃતિ છે.
કાલ્પનિક કથાસાહિત્યમાં આવો ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઇડનો દાખલો જાણીતો છે. એક વ્યક્તિમાં અનેક વ્યક્તિત્વનાં આવાં ર્દષ્ટાંતો રસપ્રદ હોવાથી નવલકથાઓ, ચલચિત્રો અને ટી.વી. શ્રેણીઓમાં તેમની વારંવાર રજૂઆત કરવામાં આવે છે; પણ વાસ્તવિક જીવનમાં બહુવિધ વ્યક્તિત્વનાં ર્દષ્ટાંતો વિરલ હોય છે. ઈ. સ. 1970 સુધીમાં મનોવિજ્ઞાન અને મનશ્ચિકિત્સાના દુનિયાભરના સંશોધન-સાહિત્યમાં નોંધાયેલા પ્રમાણભૂત દાખલાની સંખ્યા 100 કરતાં થોડી જ વધારે હતી; પણ કાર્સનના મતે 1970 પછી બહુવિધ વ્યક્તિત્વના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. રોસના અંદાજ મુજબ એમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ નવ ગણું વધારે હોય છે. અમેરિકન સાયકિયાટ્રિક એસોસિયેશનની અદ્યતન માર્ગદર્શિકા ડીએસએમ–4માં બહુવિધ વ્યક્તિત્વને ‘વિયોજનાત્મક તદ્રૂપતા’ (identity) અંગેની વિકૃતિ (DID) એવું નવું નામ આપવામાં આવ્યું છે.
બહુવિધ વ્યક્તિત્વનાં કેટલાંક ર્દષ્ટાંતો : (1) માનસિક સારવાર માટે આવનાર કુ. બ્યુચેમ્પમાં ત્રણ વ્યક્તિત્વો વારાફરતી પ્રગટ થતાં જોવામાં આવ્યાં : (ક) અતડી પણ કાર્યની ચીવટવાળી સ્ત્રી ‘સેઇન્ટ’, (ખ) મહત્વાકાંક્ષી આક્રમક પણ મોજીલી સ્ત્રી ‘ડેવિલ’, અને (ગ) જીવનને હળવાશથી લેનાર સ્ત્રી ‘સેલી’. વર્ષો સુધી સંમોહન-ઉપચાર આપ્યા પછી આ ત્રણેય વ્યક્તિત્વોનું સંકલન શક્ય બન્યું.
(2) ઇવેલિન નામની છૂટાછેડા લેનાર સ્ત્રી-દર્દીમાં આ પ્રમાણે ચતુર્વિધ વ્યક્તિત્વ જોવા મળ્યું : (ક) ‘ઇવ વ્હાઇટ’ : એક સૌમ્ય ગંભીર ઠાવકી, અતડી અને દુ:ખી યુવતી : આ તેનું મૂળ વ્યક્તિત્વ હતું.
માનસિક સારવાર દરમિયાન તેનામાં નીચેનાં ત્રણ વ્યક્તિત્વો પ્રગટ થયાં. (ખ) મૈત્રીપૂર્ણ, સાહસિક, સતત ધમાલ કરનાર, બેફિકર અને નખરેબાજ સ્ત્રી : ‘ઇવ બ્લૅક’. (ગ) આઠ માસના માનસિક ઉપચાર પછી એક ચતુર અને પરિપક્વ સ્ત્રીનું વ્યક્તિત્વ ‘જેન’ પ્રગટ્યું. (ઘ) જ્યારે તેને બાળપણના આઘાતજનક અનુભવો યાદ કરાવવામાં આવ્યા ત્યારે મૈત્રીપૂર્ણ, બુદ્ધિશાળી, સાહસિક પણ સંસ્કારી વ્યક્તિત્વ ‘ઇવેલિન’ બહાર આવ્યું. આ પછી તેનાં આ વિકલ્પી વ્યક્તિત્વો વચ્ચે સુમેળ સ્થપાવાથી પાછલું જીવન સુધરી ગયું.
બહુવિધ વ્યક્તિત્વના કિસ્સામાં વિકલ્પી વ્યક્તિત્વોનો ટકી રહેવાનો સમય મિનિટોથી માંડીને વર્ષો સુધીનો હોય છે. વિકલ્પી વ્યક્તિત્વો અનેક જાતની ભૂમિકા ભજવતાં હોય છે; પણ મોટેભાગે બાળકની, વિજાતીય વ્યક્તિની, સંરક્ષકની, નિયમોની અવગણના કરનાર ‘આઝાદ’ વ્યક્તિની અથવા બીજા લોકો પર દોષારોપણ કરનારની ભૂમિકા ભજવતાં હોય છે.
- વિકલ્પી વ્યક્તિત્વોનો સંબંધ વિવિધ પ્રકારનો હોય છે :
(1) દ્વિપક્ષી (કે અનેકપક્ષી) અજ્ઞાન : દરેક વિકલ્પી વ્યક્તિત્વ બાકીનાં વિકલ્પી વ્યક્તિત્વોથી તદ્દન અજાણ હોય; બધાં વ્યક્તિત્વો એકબીજાંથી સ્વતંત્ર હોય.
(2) એક વિકલ્પી વ્યક્તિત્વ પ્રભાવશાળી અને સભાન હોય અને બીજાં વ્યક્તિત્વો ગૌણ અને નિમ્નસભાન (subconscious) હોય.
(3) એકપક્ષી અજ્ઞાન : મુખ્ય વ્યક્તિત્વને ગૌણ વ્યક્તિત્વના અસ્તિત્વની પણ જાણ ન હોય, જ્યારે ગૌણ વ્યક્તિત્વને મુખ્ય વ્યક્તિત્વના અસ્તિત્વની તેમજ તેના વિચારો-લાગણીઓની જાણ હોય.
બહુવિધ વ્યક્તિત્વમાં સમાવિષ્ટ દરેક વિકલ્પી વ્યક્તિત્વનાં આગવાં લક્ષણો અને અનોખી, સુસંગત વર્તનતરેહો હોય છે. તેમની ભાષા, બોલવાની રીત, અવાજનો રણકો, હાવભાવો અને અંગચેષ્ટાઓ પણ નોંધપાત્ર રીતે જુદાં જુદાં હોય છે. વિવિધ વિકલ્પી વ્યક્તિત્વોના પ્રાગટ્ય દરમિયાન મગજનાં મોજાંની તરેહો (brain wave patterns) પણ સહેજ જુદી જુદી હોય છે એવું પ્રારંભિક સંશોધનો સૂચવે છે.
મોટાભાગના કિસ્સાઓમાં વિકલ્પી વ્યક્તિત્વોની સંખ્યા ત્રણ કે ચારની હોય છે, પણ તે છ કે વધારે પણ હોઈ શકે. રૉસ જણાવે કે બે કિસ્સાઓમાં એક જ વ્યક્તિમાં પંદર જુદાં જુદાં વ્યક્તિત્વો ઓળખાયાં હતાં !
બહુવિધ વ્યક્તિત્વ વિશેના ખોટા ખ્યાલો ત્યજવા જરૂરી છે :
(1) બહુવિધ વ્યક્તિત્વનો દર્દી સભાનપણે જુદાં જુદાં પાત્રોનો અભિનય કરનાર બહુરૂપી અભિનેતા નથી.
(2) તે જાણીબૂઝીને લોકોને છેતરનાર અનેકનામધારી ગઠિયો–ગુનેગાર હોતો નથી.
(3) તે પાગલ હોતો નથી; તેનામાં છિન્ન વ્યક્તિત્વ(schizophrenia)ની બીમારી હોતી નથી. તે વાસ્તવિક દુનિયાના સંપર્કમાં રહીને આસપાસના બનાવોનું સાચું જ્ઞાન અને સમજ મેળવતો રહે છે.
બહુવિધ વ્યક્તિત્વના ઉદભવ માટેનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે : (1) ઊંચા આદર્શોના અમલમાં નિષ્ફળ જવાથી ઊપજતી હતાશા અને દોષની લાગણી,
(2) તીવ્ર આઘાતજનક અનુભવો,
(3) લાંબા સમય સુધી ચાલુ રહેતી અસહ્ય પરિસ્થિતિ,
(4) પોતાના નૈતિક અને અનૈતિક વિચારો અને પ્રેરણાઓ વચ્ચે ચાલુ રહેતો સંઘર્ષ,
(5) બાળપણમાં માતાએ વ્યક્તિનો કરેલો અસ્વીકાર,
(6) પુખ્ત વયના લોકો વડે ધાકધમકી દ્વારા બાળકો પાસે કરાવાતાં અનૈતિક કાર્યો અને બાળકો(ખાસ કરીને બાલિકાઓ)નું જાતીય શોષણ.
બહુવિધ વ્યક્તિત્વના ઉપચાર માટે વ્યક્તિને તેનામાં રહેલાં બધાં વિકલ્પી વ્યક્તિત્વોનું ભાન કરાવવું અને તેનો સ્વીકાર કરાવવો જરૂરી ગણાય છે. એથી એના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં વચ્ચે સુમેળ સ્થાપવો સરળ બને છે. વ્યક્તિને પોતાની ખૂબીઓ અને ખામીઓનું ભાન થવાથી તે વધારે સુસંગત અને પરિપક્વ રીતે વર્તે છે. એ માટે પરંપરાગત માનસિક અને સંમોહનાત્મક ઉપચાર ઉપયોગી નીવડે છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે
16 September 2021
15 September 2021
14 September 2021
13 September 2021
12 September 2021
11 September 2021
ધ્યાન (attention)
ધ્યાન (attention)
ધ્યાન (attention) : કોઈ એક પદાર્થ, વિષય કે અનુભવ વખતે થતી મનની એકાગ્રતા. કોઈ ઉદ્દીપક વસ્તુ, બનાવ, ક્રિયા કે વિચાર ઉપર સભાનતાને કેન્દ્રિત કરવાની ક્રિયા.
શરીરની બહારના કે અંદરના વાતાવરણમાંથી વિવિધ ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયો ઉપર સતત અથડાતા રહે છે. પણ આપણને એ બધા ઉદ્દીપકોનું ભાન થતું નથી. ચોક્કસ સમયે એમાંથી કયો વિષય અનુભવવો છે તેની આપણે પસંદગી કરીએ છીએ અને એટલા સમય સુધી અન્ય વિષયોને મનમાંથી બાકાત કરીએ છીએ. આમ આપણે ધ્યાનક્રિયા દ્વારા પસંદ ન હોય એવા અવાજો, ર્દશ્યો કે અન્ય ઉદ્દીપકોના આક્રમણમાંથી બચી જઈએ છીએ. ધ્યાન જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં શક્ય બને છે. જાગ્રત અવસ્થા દરમિયાન પણ આપણે સતત ધ્યાન આપતા નથી, વચ્ચે વચ્ચે થોડી ક્ષણો માટે શૂન્યમનસ્ક પણ બનીએ છીએ.
સ્થૂળ વસ્તુઓ, પ્રસંગો કે પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન આપતી વખતે આપણે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. વિચાર ઉપર ધ્યાન આપવા માટે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ જરૂરી નથી.
ધ્યાન મહદંશે ઐચ્છિક અને થોડા દાખલામાં અનૈચ્છિક ક્રિયા છે. કયો વિષય ધ્યાનને પાત્ર છે તે વ્યક્તિ નક્કી કરે છે. ધ્યાનની પ્રક્રિયા સમજવા માટે ધ્યાનનો વિષય (જેના પર ધ્યાન અપાય છે તે વસ્તુ), ધ્યાન આપનાર વ્યક્તિ અને સંબંધિત પરિસ્થિતિને સમજવી જોઈએ.
ધ્યાન વિધાયક તેમજ નિષેધક ક્રિયા છે. ધ્યાનના વિષય ઉપર સભાનતા(consciousness)ને કેન્દ્રિત કરવાની ક્રિયા વિધાયક છે. અન્ય વિષયો ઉપરથી સભાનતાને ખસેડી લેવાની ક્રિયા નિષેધક છે.
ધ્યાનના વિષયો બે ક્ષેત્રોમાં વહેંચાયેલા હોય છે : કેન્દ્ર અને સીમા. ધ્યાનના કેન્દ્રમાં રહેલા વિષયનો આપણને સ્પષ્ટ અને તીવ્ર અનુભવ થાય છે. ધ્યાનની સીમામાં આવેલી વસ્તુનો અનુભવ અસ્પષ્ટ અને મંદ હોય છે. તેનું અસ્તિત્વ છે તેનો ખ્યાલ રહે છે પણ તેની વિગતોની જાણ થતી નથી. કેટલાક મનોવૈજ્ઞાનિકો ધ્યાનના સીમાપ્રદેશમાં રહેલી વસ્તુના અનુભવને પૂર્વધ્યાન (pre-attention) તરીકે ઓળખાવે છે. નવી ક્રિયા શીખવાની શરૂઆતમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. કૌશલ્ય પ્રાપ્ત થયા પછી એ ક્રિયા સ્વયંચાલિત બની ધ્યાનની સીમામાં રહે છે.
આમ, મગજ બે રીતે ધ્યાન આપી શકે છે : (1) તે સભાનતાના સમગ્ર ક્ષેત્ર ઉપર પાંખું (diffused) ધ્યાન આપે છે. આવું ધ્યાન વિગતોમાં જતું નથી. (2) સભાનતાના ક્ષેત્રમાં રહેલા કોઈ વિષય ઉપર તેની વિગતો સાથે ઊંડું ધ્યાન આપે છે. જરૂર પ્રમાણે મગજ, કૅમેરાના ઝૂમ લેન્સની જેમ, એક ક્ષણે સમગ્ર ક્ષેત્ર પર તો બીજી જ ક્ષણે પસંદ કરેલ વસ્તુની ઝીણી વિગત પર ધ્યાન આપે છે.
ધ્યાન અંગે બ્રૉડબેન્ટે સંમાર્જન સિદ્ધાંત (filter theory) આપ્યો છે. એના મત પ્રમાણે, જે ક્ષણે મનુષ્ય જે જોવા-જાણવા માગતો હોય તે ક્ષણે તેનું મગજ તેવા સંદેશાઓને જ પ્રવેશવા દે છે અને બાકીના સંદેશાઓને બહાર રોકી રાખે છે. મગજ એક માહિતીનું વિશ્લેષણ કરતું હોય ત્યારે ધ્યાન એક ગળણીની જેમ વર્તે છે અને બાકીની માહિતીને અટકાવે છે. તેનું કારણ શારીરિક છે. ધ્યાન સાથે સંબંધ ધરાવતા ચેતાકોષોનો નિરપેક્ષ અનિવાર્ય સમય (absolute refractory period) થી સેકંડનો હોય છે. એ દરમિયાન બીજું ઉદ્દીપક આવી ચડે તો પણ ચેતાકોષ એનાથી ઉત્તેજિત થતો નથી, પરિણામે તે ધ્યાનની બહાર રહે છે.
અસરકારક ધ્યાન એને કહેવાય જ્યારે ઇચ્છેલી વસ્તુ પર તરત ધ્યાન આપી શકાય અને વિક્ષેપો, અવરોધો આવવા છતાં લાંબા સમય સુધી ધ્યાનને ટકાવી શકાય. આજના યુગમાં ઘણા વ્યવસાયોમાં જરૂર પ્રમાણે ધ્યાનને ઝડપથી વિસ્તૃત કે સંકુચિત કરવાની શક્તિ પણ મહત્વની બને છે.
ધ્યાન અંગે પ્રગટ, ઉન્મુખતાની ક્રિયાઓ (orientation response) : ધ્યાનની શરૂઆતમાં આપણે ધ્યાનના વિષય તરફ ઉન્મુખ બનીએ છીએ. એટલે કે શરીરને જરૂર પ્રમાણે ટટાર કરીએ કે વાળીએ છીએ, ડોકું નમાવીએ છીએ. વસ્તુને ધ્યાનથી જોવા સાંભળવા માટે તેના સંદર્ભમાં યોગ્ય દિશામાં અને યોગ્ય અંતરે જઈએ છીએ. આંખ, કાન વગેરેને માહિતી ઝીલવા માટે તૈયાર કરીએ છીએ. ટીકી ટીકીને જોઈએ છીએ, કાન સરવા કરીને સાંભળીને છીએ. ઉન્મુખતાની ક્રિયા ઉપરથી કહી શકાય કે વ્યક્તિ કઈ વસ્તુ પર ધ્યાન આપે છે.
ધ્યાનનું શારીરિક પાસું : ધ્યાન સમયે શરીરમાં અનેક શારીરિક ક્રિયાઓ થાય છે : (1) સ્વયંસંચાલિત ક્રિયાઓ, (2) ચેતાકીય વિદ્યુત ફેરફારો અને (3) રાસાયણિક ક્રિયાઓ.
સ્વયંસંચાલિત ક્રિયાઓ : ધ્યાન આપતી વખતે આંખની કીકી વિસ્તરે છે. હૃદય, મગજ અને સ્નાયુઓમાં લોહીનો જથ્થો વધે છે, નાડી ઝડપી બને છે, શ્વાસ-ઉચ્છવાસ ધીમા પડે છે. સ્નાયુમાં તણાવ વધે છે અને ત્વચામાંથી વિદ્યુતપ્રવાહ સરળતાથી વહે છે.
ચેતાકીય વિદ્યુત ફેરફારો : ધ્યાન-સમયે મોટા મગજનાં નીચેનાં વિશિષ્ટ સ્થાનોમાં ચેતાપ્રવાહો નોંધાય છે: (1) જે પ્રકારના સંવેદન ઉપર ધ્યાન આપીએ (દા. ત., ર્દશ્ય) તેના સંદેશા ઝીલનારા મગજના વિશિષ્ટ વિસ્તાર(દા.ત., પશ્ચખંડનું ર્દષ્ટિક્ષેત્ર)માં ચેતાક્રિયાઓ થાય છે. (2) એ સંવેદનવિસ્તારની બાજુમાં આવેલા સંબંધિત સાહચર્ય-વિસ્તારોમાં પણ ચેતાપ્રવાહો વહે છે. (3) મગજથડ અને થૅલેમસમાંથી પુન:પ્રસારિત થયેલા ચેતા-સંદેશાઓને લીધે મગજના અગ્રખંડ અને લલાટખંડમાં પણ ચેતાક્રિયાઓ થાય છે.
જ્યારે આપણે કોઈ નવા ઉદ્દીપક પ્રત્યે સચેત બનીએ ત્યારે મગજના જાળરૂપ પ્રવૃત્તિતંત્રમાં પણ ચેતાક્રિયા થાય છે. જ્યારે ઉદ્દીપકની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે થૅલેમસમાં ચેતાક્રિયા થાય છે. ઉપરાંત હાઈપોથૅલેમસ અને હિપોકૅમ્પસમાં પણ ચેતાક્રિયાઓ નોંધાય છે.
વળી ધ્યાન દરમિયાન મોટા મગજની છાલમાંથી સમગ્રપણે ઊપજતાં ચેતાકંપનો(મગજનાં મોજાં)માં પણ ફેરફાર થાય છે. કોઈ વસ્તુ પર પ્રયત્નપૂર્વક સક્રિય ધ્યાન આપતી વખતે સેંકડની નિયમિત ગતિવાળાં આલ્ફા મોજાં અવરોધાય છે અને ઝડપી તેમજ કંઈક અનિયમિત થીટા મોજાં વ્યાપક બને છે. જૈવપ્રતિનિવેશ (bio-feed-back) વડે અપાતી તાલીમમાં વ્યક્તિને ઇઇજી યંત્રના મૉનિટર દ્વારા મગજમાંથી થીટા કંપનો ઉપજાવવાનું અને ટકાવી રાખવાનું શીખવવામાં આવે છે. તેથી એ વ્યક્તિ ધ્યાનને વધુ કેન્દ્રિત કરી શકે છે. સક્રિય ધ્યાન વખતે મસ્તિષ્ક છાલની ચેતાક્રિયાનું વોલ્ટેજ (દબાણ) વધારે હોય છે. જેમ જેમ વ્યક્તિ બેધ્યાન બનતી જાય તેમ તેમ વોલ્ટેજમાં ઘટાડો થાય છે.
ધ્યાન દરમિયાન મસ્તિષ્કછાલના ઋણ વિદ્યુતભારમાં જે ધીમો ફેરફાર થાય છે તે CNV તરીકે ઓળખાય છે. એ ધ્યાનનો સૌથી સ્પષ્ટ શારીરિક સંકેત છે. આ ઋણ વિદ્યુતભાર મગજના વિવિધ ભાગોને, જ્ઞાનેન્દ્રિયોમાંથી આવતા સંદેશાઓ પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવે છે.
રાસાયણિક ક્રિયાઓ : જે વસ્તુ તરફ ધ્યાન હોય તેના સંવેદનપ્રકાર સાથે સંબંધિત મગજછાલના વિસ્તારમાં લોહીનો પ્રવાહ વધે છે અને ચયાપચયની ગતિ પણ વધે છે. જાળરૂપ પ્રવૃત્તિતંત્ર, આંગિક તંત્ર અને હાઇપોથૅલેમસમાં નોરેડ્રીનીનની પ્રક્રિયા થાય છે. થૅલેમસમાં એસેટિલકોલાઇનની પ્રક્રિયા થાય છે, જ્યારે મસ્તિષ્ક-છાલના કોષોમાંથી ગ્લુટેમિક ઍસિડ અને ઍસ્પાર્ટિક ઍસિડ મુક્ત બને છે.
ધ્યાન માટે હૃદય અને ફેફસાંમાં પ્રાણવાયુ પૂરતો હોવો જોઈએ તેમજ લોહીમાં શર્કરાનો જથ્થો પૂરતો હોવો જરૂરી છે. ચા, કૉફી અને કોકો જેવાં પીણાંમાં રહેલા કૅફીન અને ઍમ્ફેટેમીન પ્રકારનાં દ્રવ્યોના સેવનથી સજાગતા અને ધ્યાન વધે છે પણ સાથે ચિત્તની વિચ્છિન્નતા પણ વધે છે. વધુ માત્રામાં મદ્યાર્કનું સેવન કરવાથી ધ્યાન ટકાવવું મુશ્કેલ બને છે.
ધ્યાનનાં નિર્ધારકો : ધ્યાન આપવા અને ટકાવવાનો આધાર નિર્ધારકો ઉપર રહેલો છે. નિર્ધારકોમાં બાહ્ય પરિસ્થિતિ અને આંતરિક અવસ્થાનો સમાવેશ થાય છે.
બાહ્ય પરિસ્થિતિ : ઉજ્જ્વળ પ્રકાશિત અને મોટા કદની વસ્તુઓ, બુલંદ સ્વરો, તીવ્ર ગંધ, સખત પીડા તેમજ રંગીન અને નવીન વસ્તુઓ તરફ સહજ રીતે ધ્યાન જાય છે. પાસે પાસે આવેલી પણ પરસ્પરવિરોધી ગુણવાળી વસ્તુઓ (દા. ત., લાંબા જોડે ટૂંકો માણસ, સફેદ ખમીસ સાથે કાળું પૅન્ટ) પણ તરત ધ્યાન ખેંચે છે. પરિવર્તન પામતી અને ગતિશીલ વસ્તુઓ તરફ પણ ધ્યાન જાય છે. કોઈ ચાલુ ઉદ્દીપક અચાનક બંધ પડે તો તે તરફ પણ ધ્યાન ખેંચાય છે. મંદ ઉદ્દીપકો, નાની વસ્તુઓ, પાર્શ્વભૂમિકા સાથે સમાન દેખાઈને ભળી જતી વસ્તુઓ, સ્થિર વસ્તુઓ અને રાબેતા મુજબના અનુભવો તરફ સહેલાઈથી ધ્યાન જતું નથી.
આંતરિક અવસ્થા : જો આપણને કોઈ વસ્તુ, બનાવ કે વિચારમાં રસ હોય, અથવા તે આપણી પ્રેરણાને સંતોષે તો આપણે તેમાં ધ્યાન આપીએ છીએ. કોઈ બનાવ ટૂંકમાં બનશે એવી અપેક્ષા હોય (દા. ત., ખગ્રાસ સૂર્યગ્રહણ) ત્યારે પણ આપણે ત્યાં ધ્યાન આપીએ છીએ. ગુનાશોધકો કે સૂક્ષ્મજંતુવિજ્ઞાનીઓ પોતાના વિશિષ્ટ જ્ઞાન અને તાલીમને કારણે પરિસ્થિતિની વિગતો ઉપર ઝીણવટથી ધ્યાન આપતા હોય છે. બીજી વ્યક્તિની વાણી, પ્રત્યાયન તેમજ સામાજિક ઘટનાઓ પણ આપણું ધ્યાન ખેંચે છે.
ધ્યાનનું વિચલન : મન ચંચળ છે; ક્ષણે ક્ષણે નવી નવી ઉત્તેજનાથી ચલિત થાય છે. સંશોધનો મુજબ આપણે એક વિગત ઉપર / સેંકડથી 3 સેંકડ સુધી ધ્યાન ટકાવીએ છીએ. (સરેરાશ એક ચતુર્થાંશ સેકંડ સુધી). ત્યાર પછી ધ્યાન વિચલિત થઈ બીજી વસ્તુ પર જાય છે. ધ્યાનવિચલનની સાથે સાથે આંખના ડોળામાં હલનચલન થતું હોય છે. જ્યારે ઉદ્દીપક બહુ જ મંદ હોય, જ્યારે આપણે કોઈ સંદિગ્ધ (બે રીતે જોઈ શકાય એવી) આકૃતિ તરફ જોઈએ અથવા જ્યારે એકવિધ કાર્ય સતત અટક્યા વિના કરતા હોઈએ ત્યારે ધ્યાન વિચલિત થાય છે.
સ્થિર ધ્યાન : રોજિંદાં કાર્યો સક્ષમ રીતે કરવા માટે તેમાં ધ્યાન સ્થિર રાખવું જરૂરી છે. એ માટે પોતાની ધ્યાન ટકાવવાની શક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ, ર્દઢ નિશ્ચય સાથે રોજ નિયમિત એક વસ્તુ પર ધ્યાન સ્થિર કરવાનો મહાવરો કરવો જોઈએ અને કાર્ય કરવા માટે વિક્ષેપો વિનાનું સ્થળ અને સમય પસંદ કરવાં જોઈએ. આસન, પ્રાણાયામ જેવી યૌગિક ક્રિયાઓ ધ્યાનને એક વિષય પર લાંબો સમય ટકાવવામાં ઉપયોગી બને છે.
ધ્યાનનો વિસ્તાર : એકાદ ક્ષણ સુધી જોઈને એક પ્રકારની વધારેમાં વધારે જેટલી વિગતોને ધ્યાનમાં સમાવી શકાય તેને ધ્યાનવિસ્તાર કહે છે. સરેરાશ પુખ્ત વયનો માણસ એક જ ક્ષણે જેટલી વસ્તુઓને ધ્યાનમાં સમાવી લઈને સાચો અંદાજ આપી શકે તેની માહિતી નીચે પ્રમાણે છે :
8 ટપકાં 2 અસંબદ્ધ શબ્દો
7 અક્ષરો 4 સંબદ્ધ શબ્દો
7 આંકડા 4 ભૌમિતિક આકૃતિઓ
મહાવરો કરવાથી અને વસ્તુઓનાં નાનાં જૂથો પાડીને જોવાથી ધ્યાન-વિસ્તારમાં વધારો થઈ શકે છે.
ધ્યાનવિસ્તાર માપવા માટે ટેચિસ્ટોસ્કોપ યંત્ર વપરાય છે.
ધ્યાનનું વિભાજન : એક સાથે ચાલતી બે કે વધારે ક્રિયાઓ વચ્ચે ધ્યાનને વહેંચી શકાય કે નહિ એ વિશે વિવિધ મતો છે.
સૈદ્ધાંતિક રીતે, ચેતનાના કેન્દ્રમાં એક સમયે એક જ વસ્તુ હોઈ શકે, તેથી ધ્યાનવિભાજન શક્ય નથી. પણ વ્યવહારમાં, એકીસાથે ચાલતી અનેક ક્રિયાઓ વચ્ચે ધ્યાનની વહેંચણી થતી હોય એવું લાગે છે; દા. ત., વાહન ચલાવતાં સંગીત સાંભળવું કે જમતાં જમતાં રાજકારણ ચર્ચવું. આની સમજ નીચે પ્રમાણે વિવિધ રીતે આપી શકાય.
(1) બે ક્રિયાઓ એકબીજી સાથે સુસંગત છે. તેથી એને એકબીજીમાં જોડી દઈને સાથે કરી શકાય. વ્યક્તિ સંયુક્ત ક્રિયા પર સમગ્ર રીતે ધ્યાન આપે છે.
(2) બેમાંની એક (અથવા બંને) ક્રિયાઓ સ્વયંચાલિત રીતે થઈ શકતી હોવાથી એક જ ક્રિયામાં ધ્યાન આપવું પડે છે. તેથી ધ્યાનવિભાજન થતું નથી.
(3) વ્યક્તિ બંને ક્રિયા પર વારાફરતી ધ્યાન આપે છે. તે ખૂબ ઝડપથી ધ્યાનને પહેલીથી બીજી અને બીજીથી પહેલી ક્રિયા પર ખસેડે છે. આમ, આ ધ્યાનવિચલન છે ધ્યાનવિભાજન નથી.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે
10 September 2021
09 September 2021
વર્તનવાદ (Behaviourism)
વર્તનવાદ (Behaviourism)
વર્તનવાદ (Behaviourism) : એક મનોવૈજ્ઞાનિક ચળવળ જે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનની વિચારધારાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેણે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક શકવર્તી પગલું ભર્યું છે. વીસમી સદીના પ્રથમ બે દસકા મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક મહત્વનો સમયગાળો છે.
વિલિયમ મેકડુગલનું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાઇકૉલોજી’ 1908માં,
સિગમંડ ફ્રૉઇડનું ‘ઇન્ટર્પ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’ 1900માં અને ‘સાઇકોપેથૉલોજી’ 1904માં
સમદૃષ્ટિવાદને જન્મ આપતો જર્મનીના મૅક્સ વરધીમરનો શકવર્તી પ્રયોગ 1912માં તેમજ
વર્તનવાદની ઘોષણા કરતો અમેરિકાના જ્હૉન બ્રૉડ્સ વૉટ્સનનો પ્રથમ લેખ 1913માં પ્રકાશિત થયો. આને પરિણામે હેતુવાદ, મનોવિશ્લેષણ, સમદૃષ્ટિવાદ અને વર્તનવાદના સંપ્રદાયો ઉદભવ્યા. આ તમામ વિચારપ્રવાહો આમ તો વિલ્હેમ વુન્ડટના પરંપરાગત મનોવિજ્ઞાન સામે બળવા તરીકે પ્રગટ થયા હતા; પરંતુ તેમની વચ્ચે પરસ્પર એટલો બધો વિરોધ અને અંતર હતાં કે તેઓ એકબીજાથી તદ્દન ભિન્ન વિચારધારાઓ બની રહ્યા. આમાં વર્તનવાદની વિશેષતા એ છે કે અમેરિકન ભૂમિમાં જ વિકસેલા રચનાવાદ અને વિલિયમ જેમ્સ તેમજ કાર્યવાદના વિરોધમાં તેનો અમેરિકન ભૂમિમાં જન્મ થયો. ‘જૂનું એ બધું નકામું, વહેમી અને અવૈજ્ઞાનિક હતું; અને નિષ્ફળ ગયું હતું માટે વસ્તુલક્ષી, વૈજ્ઞાનિક વર્તનવાદી દૃષ્ટિબિંદુ અપનાવવું જોઈએ’ તે વિચાર સાથે વર્તનવાદે પ્રવેશ કર્યો અને પ્રભાવશાળી પ્રવાહ તરીકે વિકસ્યો. આજે એક સંપ્રદાય તરીકે વર્તનવાદનું અર્થપૂર્ણ અસ્તિત્વ નથી, પરંતુ તેનામાં જે કંઈ સારું હતું તે આધુનિક મનોવિજ્ઞાનનો ભાગ બની ચૂક્યું છે.
વર્તનવાદના ઉદભવની ભૂમિકામાં ત્રણ મુખ્ય પ્રવાહો રહેલા છે :
(અ) વસ્તુલક્ષીવાદની તત્વજ્ઞાનીય પ્રણાલિકાઓ;
(આ) પ્રાણી-મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલા અભ્યાસો અને
(ઇ) કાર્યવાદ તેમજ વિલિયમ મેકડુગલ, ડબ્લ્યૂ. પી. પિલ્સબરી જેવા વર્તનલક્ષી મનોવિજ્ઞાનીઓનો ફાળો. વૉટ્સને તેના સિદ્ધાંતતંત્રમાં વિલિયમ જેમ્સનો તત્વજ્ઞાનિક ઉપયોગિતાવાદ (pragmatism), જ્હૉન ડ્યૂઈનો મનોવૈજ્ઞાનિક કાર્યવાદ, રૉબર્ટ યર્કીસની પ્રાણી-અભ્યાસની પદ્ધતિ તેમજ ઈવાન પાવલૉવ અને વ્લાદિમિર બેક્તેરેવના અભિસંધાનનો સમન્વય કર્યો છે.
જોકે વર્તનવાદ મનોવૈજ્ઞાનિક ચળવળ છે, તોપણ તે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનના તત્વજ્ઞાનની સામાન્ય વિચારધારાનું એક પ્રદર્શિત સ્વરૂપ છે. વર્તનવાદની વસ્તુલક્ષિતા અને મન-શરીર વિશેના સંબંધ અંગેની વિચારણા ખાસ પ્રકારના તત્વજ્ઞાન, ભૌતિકવાદ, વાસ્તવવાદ અને યંત્રવાદના ખ્યાલો ઉપર આધારિત છે. આ અભિગમથી વર્તનવાદે મન-શરીરની યંત્રવાદી સમજૂતી આપી, વસ્તુલક્ષિતા ઉપર ભાર મૂકી મનની શારીરિક ક્રિયાઓના ઘટકોના સંદર્ભમાં વ્યાખ્યા આપી અને માનસિક ઘટનાઓ સમગ્ર ચેતાતંત્રનું કાર્ય છે એમ કહ્યું. ભૌતિકવાદીઓને પ્રાણી-વર્તનની સમજૂતી આપવામાં મનોવ્યાપારો, ચેતના, મન, હેતુ જેવા માનસિક ખ્યાલો સ્વીકારવાની જરૂર લાગી નહિ અને પ્રાણી-વર્તનની સમજૂતી શરીરની અંદર થતી ભૌતિક-રાસાયણિક, વસ્તુલક્ષી નિરીક્ષણ થઈ શકે તેવી પ્રક્રિયાઓની ભાષામાં આપવાનું વાજબી લાગ્યું. વર્તનની સમજૂતી માટેની આ તત્વજ્ઞાનીય ભૂમિકા વૉટ્સને મનુષ્યવર્તનને લાગુ પાડી અને કહ્યું કે અન્ય ઘટનાઓની જેમ માનવવર્તનનો પણ ભૌતિક વાતાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે અભ્યાસ થવો જોઈએ. વૉટ્સનનો વર્તનવાદ પ્રાણી-અભ્યાસો અને પ્રાણી-મનોવિજ્ઞાનનું તેમજ ભૌતિક વિજ્ઞાનનું દૃષ્ટિબિંદુ અને તેમની પદ્ધતિઓ માનવ-મનોવિજ્ઞાનના અભ્યાસમાં વિસ્તારવાનો રચનાત્મક પ્રયત્ન છે. વૉટ્સનને પ્રતીતિ થઈ કે પ્રાણીવર્તનને સ્નાયવિક, શારીરિક, ભૌતિક, રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં સમજાવી શકાય છે તેમજ પ્રતિમા, લાગણી, સંકલ્પ જેવાં માનસિક પદોમાં પ્રાણીવર્તનનો અનુવાદ કરવાની જરૂર નથી. પ્રાણીઓ આંતરનિરીક્ષણ કરી શકતાં નથી. તેથી માનવી અભ્યાસમાં ચેતના અને માનસિક ખ્યાલોને બાજુએ મૂકી કેવળ વસ્તુલક્ષી નિરીક્ષણની પદ્ધતિ જ લાગુ પાડવી જોઈએ.
જ્હૉન બ્રૉડસ વૉટ્સને (1878-1958) વર્તનવાદી અભિગમની સૌપ્રથમ જાહેરાત 1908માં યેલ યુનિવર્સિટીમાં પ્રવચનમાં કરી. પરંતુ વર્તનવાદ સંપ્રદાયની વિધિવત્ સ્થાપના 1913માં ‘સાઇકોલૉજિકલ રિવ્યૂ’માં વૉટ્સનનો લેખ ‘સાઇકૉલોજી ઍઝ ધ બિહેવ્યરિસ્ટ સીઝ ઇટ’ છપાયો ત્યારથી થઈ. વર્તનવાદ વિશેનું વિગતે વિવરણ અને સમજણ ‘બિહેવ્યર ઍન ઇન્ટ્રોડક્શન ટુ કમ્પેરેટિવ સાઇકૉલોજી’ (1914), ‘સાઇકૉલોજી ફ્રૉમ ધ સ્ટેન્ડ-પૉઇન્ટ ઑવ્ એ બિહેવ્યરિસ્ટ’ (1919) અને ‘બિહેવ્યરિઝમ’ (1925) વગેરે ગ્રંથોમાં પ્રસ્તુત થયા છે.
વૉટ્સનના મનોવિજ્ઞાનનાં વિધાયક તેમજ ખંડનાત્મક બંને પાસાં છે. વિધાયક પાસું એ છે કે વૉટ્સન સંપૂર્ણપણે વસ્તુલક્ષી મનોવિજ્ઞાનનો પુરસ્કર્તા હતો. તેણે જોઈ અનુભવી શકાય અને વસ્તુગત રીતે વર્ણવી માપી શકાય તેવાં જ વર્તનનો અભ્યાસ કરવા માટે આગ્રહ રાખ્યો. પ્રાણી-મનોવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રનાં તંત્રો તેણે માનવ-મનોવિજ્ઞાનને લાગુ પાડ્યાં. વર્તનવાદનું આ વિધાયક પાસું પાદ્ધતિક (methodological) વર્તનવાદ કે અનુભવનિષ્ઠ (empirical) વર્તનવાદ તરીકે સર્વસ્વીકૃત બન્યું છે.
વર્તનવાદનું ખંડનાત્મક પાસું, માનસિક ખ્યાલો વિશેના નિષેધાત્મક દૃષ્ટિબિંદુમાં પ્રગટ થાય છે. વૉટ્સને કહ્યું કે પ્રતિમા, લાગણી, ચેતના જેવી સંકલ્પનાઓને વસ્તુલક્ષી મનોવિજ્ઞાનમાં સ્થાન નથી. તેથી તેણે આંતરનિરીક્ષણ પદ્ધતિ અને તેનાથી મેળવાતી વસ્તુનો મનોવિજ્ઞાનમાં સમાવેશ કરવાનો ઇન્કાર કર્યો. તેણે તો મન-ચેતનાના અસ્તિત્વની જરૂરિયાત પણ સ્વીકારી નહિ. જો મન-ચેતના હોય તોપણ તે વર્તનનું ‘કારણ’ નથી. તે તો માત્ર પડછાયો (epiphenomenalism) છે. વર્તનવાદનું આ પાસું તત્વજ્ઞાનિક (philosophical) વર્તનવાદ કે મૂલગામી (radical) વર્તનવાદ કહેવાય છે. જોકે પાદ્ધતિક વર્તનવાદ અને તાત્વજ્ઞાનિક વર્તનવાદ અંતર્ગત રીતે પરસ્પર આધારિત નથી. વૉટ્સનનો વધારે મહત્વનો અને વ્યાવહારિક ફાળો તો તેણે વર્તનવાદની દૃષ્ટિએ વિભિન્ન મનોવ્યાપારો વિશે આપેલું પૃથક્કરણ અને સમજૂતી છે.
વૉટ્સનના મતે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનનો એવો વિભાગ છે, જે માનવ-વર્તનને, લોકોનાં વર્તન અને વાણી, શીખેલી-વણશીખેલી વિષયવસ્તુ તરીકે સ્વીકારે છે. વર્તન એટલે કેવળ શારીરિક વર્તન, ચેતના-વ્યાપારો કે માનસિક કાર્યો નહિ. ચેતનાનું અસ્તિત્વ વસ્તુલક્ષી, વૈજ્ઞાનિક કસોટીએ પુરવાર થઈ શકતું નથી. માનસિકને વિજ્ઞાનમાં દાખલ કરવું એ વિજ્ઞાનના શત્રુરૂપ આત્મલક્ષીવાદ, આધિભૌતિકવાદ તેમજ વહેમી મનોદશાને દાખલ કરવા માટે દ્વાર ખોલવા જેવું છે.
વૉટ્સને કહ્યું કે કેવળ શારીરિક વર્તનનો અભ્યાસ કરવાથી મનોવિજ્ઞાન શરીરવિજ્ઞાન બની જતું નથી. શરીરવિજ્ઞાન તો શરીરની રચના, અવયવો તેમની પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. જ્યારે મનોવિજ્ઞાન તો સમગ્ર ચેતાતંત્રનો, વ્યક્તિના વર્તનને જે આકાર આપે છે તે તમામ પરિસ્થિતિઓનો વાતાવરણ સાથેના સંદર્ભમાં અભ્યાસ કરે છે. વૉટ્સને વર્તનવાદી કાર્યક્રમના અભ્યાસ માટે નિરીક્ષણ (સાધનો સાથે કે સાધનો વગરનું) અભિસંધિત પ્રતિક્ષેપ, શાબ્દિક હેવાલ તેમજ કસોટીઓ વગેરેનો સ્વીકાર કર્યો છે. તેણે આંતરનિરીક્ષણ-પદ્ધતિનો અસ્વીકાર એટલા માટે કર્યો કે આંતરનિરીક્ષણ દ્વારા પ્રાપ્ત વસ્તુ આત્મલક્ષી અને વિવાદાસ્પદ હોવા ઉપરાંત વસ્તુલક્ષી પરિણામો સાથે તુલનામાં ઊભું રહી શકે તેવું હોતું નથી.
વૉટ્સને કહેવાતા માનસિક ખ્યાલોની વર્તનવાદની દૃષ્ટિએ વ્યાખ્યા આપવાના પ્રયાસો કર્યા છે. વૉટ્સનના મતે લાગણીઓનો સ્નાયવિક, મજ્જાકીય સંકોચનો અને જાતીય ગ્રંથિ સાથે સંબંધ છે. આવેગો એવી આનુવંશિક વર્તનભાતો છે જેમાં સમગ્ર શરીરતંત્રમાં, વિશેષ કરીને જઠર અને ગ્રંથિતંત્રમાં આમૂલ પરિવર્તનો થાય છે. વૉટ્સનના મતે વિચારક્રિયા એ સ્નાયુઓ, સ્વરતંત્ર, જીભ-શરીરના અવયવો દ્વારા થતાં હલનચલનોનો સંવેદનકારક વ્યાપાર છે. વિચારક્રિયાને ભાષા સાથે સંબંધ છે, વિચારક્રિયા એ આંતરિક વાણી છે અને વાણી વિચારક્રિયાનું પ્રગટ સ્વરૂપ છે. વૉટ્સનના મતે શીખવું એ માત્ર શારીરિક ક્રિયા છે. સ્નાયવિક ટેવો છે; જે ઉદ્દીપક પ્રતિક્રિયાઓનું સાહચર્ય છે. બાળકમાં જન્મસમયે જે પ્રાથમિક પ્રતિક્ષેપો હોય છે તેમાંથી જ અભિસંધાન દ્વારા જટિલ વર્તનભાતો નીપજે છે. પ્રાણીમાત્ર શરીરરચનાઓ અને તેનાં કાર્યો વારસામાં મેળવે છે; બુદ્ધિ, સામાન્ય શક્તિ, વિશિષ્ટ શક્તિ કે માનસિક શક્તિ જેવું કંઈ વારસાગત સંસ્કારો રૂપે મળતું નથી. વાતાવરણ અને શિક્ષણ-તાલીમના સમર્થનમાં વૉટ્સને કહ્યું કે તમામ માનવબાળકો સુષુપ્ત, અપ્રગટ શક્તિઓ ધરાવે છે અને લફંગા, ખૂની, ચોર કે વેશ્યાઓના વેલામાં જન્મેલા બાળકને માવજતથી ઉછેરી તંદુરસ્ત, સંસ્કારી માણસ બનાવી શકાય છે. વૉટ્સનનો આ આત્યંતિક વાતાવરણવાદ તેના આત્યંતિક વર્તનવાદનું જ પાસું છે. વૉટ્સનના મતે વ્યક્તિત્વ એ વ્યક્તિના વાસ્તવિક પ્રગટ તત્વો જેવાં કે ટેવો, સામાજિક રીતે ઘડાયેલી વૃત્તિઓ, આવેગો, તેમની વચ્ચેના આંતરસંબંધો તેમજ વાસ્તવિક અપ્રગટ તત્વો, શક્તિઓ, ઘટકો વગેરેનું સામગ્રિક સંમિલન છે. જિંદગીમાં થતા નવા નવા અનુભવો સાથે વ્યક્તિના વ્યક્તિત્વની ભાત બદલાતી રહે છે. વર્તનવાદ માને છે કે વ્યક્તિનું વર્તન, પસંદગીઓ, ઐચ્છિક વ્યાપારો શારીરિક-ભૌતિક પરિબળોથી નિર્માય છે; તેથી મુક્ત સંકલ્પક્રિયા (free will) સંભવી શકે નહિ. તેથી માનવીને તેનાં કાર્યો માટે અંગત રીતે જવાબદાર ગણવો જોઈએ નહિ. સામાજિક નિયંત્રણ-તંત્રના એક ભાગ તરીકે અપરાધીને શિક્ષા કરવી જોઈએ; દુષ્કૃત્યોનો બદલો લેવાની દૃષ્ટિએ નહિ. શિક્ષાનું ધ્યેય અપરાધીને પુન:કેળવણી આપવાનું છે.
તેનાં વિશિષ્ટ લક્ષણો અને પૂર્વગ્રહોને કારણે વર્તનવાદ મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંતતંત્ર હોવા ઉપરાંત આત્મલક્ષીવાદ અને વિજ્ઞાનના શત્રુઓ સામેની ચળવળ બની રહ્યો. વર્તનવાદી વિચારસરણીના પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ છે, છતાં તેની વિગતોમાં ગૂંચવાડો અને વિરોધાભાસો જોવા મળે છે. વૉટ્સનના કેવળ વસ્તુલક્ષી અભિગમથી ચેતન-અનુભવના કાર્યલક્ષી સંબંધો, વ્યક્તિની આંતરિક મનોયંત્રણાઓ, શાબ્દિક હેવાલની ચોકસાઈ અને અર્થપૂર્ણતાની યોગ્ય સમજૂતી આપી શકાતી નથી. વળી ચેતના-મન તેમજ ચેતનાલક્ષી પદોનો ઉપયોગ ન કરવાથી કંઈ તેવી પ્રક્રિયાઓ અને માનસિક અનુભવોનું અસ્તિત્વ મટી જતું નથી. સુખ, અસુખ, પ્રશંસા, પશ્ર્ચાત્તાપ, વિચારપૂર્વકનો સંકલ્પ અને તે અનુસાર વર્તન વગેરેનું ભાન વ્યક્તિને તેનાં અંગત તેમજ ખાનગી સંવેદનો દ્વારા જ થાય છે અને તેમનું કારણત્વ માનસિક છે તેનો અસ્વીકાર થઈ શકે નહિ. માનવીનું વર્તન કેવળ ભૌતિક-યાંત્રિક પ્રતિક્રિયાઓ છે એવો ઉદ્દીપક-પ્રતિક્રિયાનો કારણકાર્યવાદ એક પ્રકારનો ચુસ્ત નિયતિવાદ છે; જે આપણી વર્તનભાતોની જટિલતા અને વૈવિધ્ય સાથે બંધબેસતો નથી. વળી મનના અસ્તિત્વની અવગણના કરવાથી કેટલાંક નૈતિક, માનવીય મૂલ્યોનો પણ નકાર થાય છે.
આજે વર્તનવાદ એક સંપ્રદાય તરીકે કોઈ અર્થપૂર્ણ અસ્તિત્વ ધરાવતો નથી. પરંતુ તેના સ્થાને સૈદ્ધાંતિક આધાર ઉપર રચાયેલા વાસ્તવવાદના નવા પ્રકારો ઉદભવ પામ્યા છે. વર્તનવાદે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક મહાન પગલું ભર્યું હતું. વર્તનવાદે પુરસ્કારેલું વૈજ્ઞાનિક, વાસ્તવલક્ષી દૃષ્ટિબિંદુ, મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને શારીરિક-જૈવિક-ભૌતિક આધારોના સંદર્ભમાં જોવાનો અભિગમ તેમજ પરિભાષા આજે મનોવિજ્ઞાનના વિશાળ વિચારતંત્રના અંતર્ગત ભાગ બની ચૂક્યા છે. વૉટ્સન એક એવો ઝંઝાવાત હતો, જેણે વર્તન વિશેના તમામ પ્રકારના અભ્યાસક્ષેત્ર અને અભિગમ ઉપર ભારે પ્રભાવ પાડ્યો છે. વર્તનવાદના પ્રભાવથી મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને પ્રાણીવિજ્ઞાનના સંબંધો વધારે ઘનિષ્ઠ બન્યા છે. વર્તનવાદે સમાજશાસ્ત્રના ક્ષેત્ર ઉપર પણ પ્રભાવ પાડ્યો છે; સામાજિક, ધાર્મિક વ્યવહારો વર્તનવાદી દૃષ્ટિબિંદુથી સમજાવવાના પ્રયાસો થયા છે. વાસ્તવમાં દરેક મનોવિજ્ઞાની પદ્ધતિશાસ્ત્રની દૃષ્ટિએ વર્તનવાદી જ છે.
શુદ્ધ અને સિદ્ધાંતચુસ્ત વર્તનવાદની તેના જ સમયમાં કડક આલોચના અને ટીકા થઈ હતી; છતાં વર્તનવાદનાં મૂળ દૃષ્ટિબિંદુ અને અભિગમને નમૂના તરીકે રાખીને અનેક નવ્યવર્તનવાદી (neobehaviourist) કહેવાતાં નવાં સિદ્ધાંતતંત્રો વિકસ્યાં છે. એડ્વીન ગ્રથી (સાંનિધ્ય અભિસંધાન સિદ્ધાંત), બી. એફ. સ્કીનર (વ્યાપ્તિમૂલક અનુભવવાદ, સંક્રિયાવાદ), એડ્વર્ડ ટૉલમૅન (હેતુલક્ષી વર્તનવાદ), ક્લાર્ક લિયૉનાર્ડ હલ (નિગમનાત્મક વર્તનવાદ), ગ્રેગરી રઝરાન, કેનેથ સ્પેન્સ, ડોલાર્ડ અને મિલર, હોબાટે મોવરર વગેરે કેટલાક ખ્યાત નવ્યવર્તનવાદીઓએ વિશેષે કરીને શિક્ષણક્રિયા વિશેનાં સિદ્ધાંત-તંત્રો વિકસાવ્યાં છે. જેટલે અંશે અને જ્યાં સુધી અમેરિકન મનોવિજ્ઞાન અનુભવલક્ષી, વસ્તુલક્ષી, રૂપાંતરવાદી અને વાતાવરણવાદી છે, ત્યાં સુધી વર્તનવાદની ભાવના જીવંત છે. અમેરિકન મનોવિજ્ઞાનમાં અનહદ પ્રગતિ થઈ છે તે વર્તનવાદની અસરને કારણે જ છે.
ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ
08 September 2021
માનવ - આંખ ( The Human Eye )
માનવ - આંખ ( The Human Eye )
- માનવ – આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે .
- તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે .
- આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમના ગંધ , સ્વાદ , તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલાક અંશે ઓળખી શકીએ છીએ .
- તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવી અશક્ય છે . આમ , બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે , કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ .
- માનવ - આંખ એક કૅમેરા જેવી છે . તેનું લેન્સનતંત્ર રેટિના ( નેત્રપટલ ) તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે .
- પ્રકાશ , કોર્નિયા ( Cornea ) તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે .
માનવ આંખની આકૃતિ(The Human Eye diagram )
- તેનાથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઊપસી આવે છે .
- આંખનો ડોળો ( eyeball ) લગભગ ગોળાકાર છે . તેનો વ્યાસ આશરે 2.3 cm છે .
- આંખમાં દાખલ થતા પ્રકાશનાં કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શકપટલની બહારની સપાટી પર થાય છે.
- સ્ફટિકમય લેન્સ ( નેત્રમણિ ) વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્રલંબાઈમાં માત્ર સૂમ ફેરફાર જ કરે છે .
- પારદર્શકપટલના પાછળના ભાગે કનીનિકા ( આઇરિસ - Iris ) નામની રચના જોવા મળે છે .
- કનિનીકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકી ( Pupil ) નું કદ નાનું - મોટું કરે છે , કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા ( જથ્થા ) નું નિયંત્રણ કરે છે .
- આંખનો લેન્સ નેત્રપટલ પર વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ રચે છે . નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશસંવેદી કોષો ધરાવે છે .
- રોશની ( પ્રકાશની હાજરી ) થી આ પ્રકાશસંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત – સંદેશા ઉત્પન્ન કરે છે .
- આ વિદ્યુત - સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે .
- મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છીએ ,
07 September 2021
06 September 2021
05 September 2021
માનવ મગજ ( Human Brain )
માનવ મગજ ( Human Brain )
- આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ .
- કરોડરજજુ ચેતાઓની બનેલ હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે .
- આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે જે મગજમાં આવેલી છે જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે .
- મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર ( CNS = Central Nervous System ) બનાવે છે .
- તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે .
- આપણે , આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ . લખવું , વાત કરવી , એક ખુરશીને ફેરવવી , કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે પૂર્વનિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓનાં ઉદાહરણ છે , મગજ સ્નાયુઓ સુધી સંદેશા મોકલે છે .
- આ એક એવા માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે . પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરનાં અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે .
- જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુચેતાઓ સહાયક બને છે .
- આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે.
- જુદી – જુદી સંવેદના અને તેનાં પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલો છે .
- મગજમાં આ મુજબના ત્રણ મુખ્ય ભાગો કે પ્રદેશો છે જેના નામ અગ્રમગજ , મધ્યમગજ અને પશ્ચમગજ છે .
- મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ અગ્રમગજ છે .
- તેમાં વિવિધ ગ્રાહી એકમોથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે .
- અગ્રમગજના અલગ - અલગ વિસ્તારો શ્રવણ , ઘાણ , દૃષ્ટિ વગેરેના માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે .
- તેમાં સહનિયમનનાં સ્વતંત્ર ક્ષેત્ર હોય છે જેમાં સંવેદનાઓનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે .
- આ બધા પર આધારિત , એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ ચાલકક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને ( જેમકે આપણા પગમાં આવેલી નાયુપેશી ) નિયંત્રિત કરે છે .
- જો કે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે . જેમકે , આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ ? આપણું પેટ પૂરું ભરેલું છે.
માનવ - મગજના નામનિર્દેશનયુક્ત આકૃતિનો અભ્યાસ કરો .
- આપણે જોઈ ગયાં છીએ કે વિવિધ ભાગોનાં વિશિષ્ટ કાર્યો છે .
- ‘ પ્રતિચાર ' શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ,જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી .
- જ્યારે આપણે કોઈ એવા ખાદ્યપદાર્થને જોઈએ છીએ જે આપણને પસંદ હોય તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે .
- હૃદયના સ્પંદનના વિશે આપણે વિચારતાં નથી તોપણ તે કાર્ય થતું જ રહે છે .
- વાસ્તવમાં, તેના વિશે વિચારી કે ઇચ્છા કરીને પણ સરળતાથી આપણે તે ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી.
- શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું પડે કે યાદ કરવું પડે છે ?
- આમ, સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તી ક્રિયા અને ખુરશીને ખસેડવા જેવી વિચારેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી.
- આ અનૈચ્છિક ક્રિયાઓ મધ્યમગજ અને પશ્ચમગજથી નિયંત્રિત હોય છે .
- આ બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ , લાળરસનું ઝરવું અને ઊલટી થવી , પશ્ચમગજમાં આવેલ લંબમજજા દ્વારા નિયંત્રિત થાય છે .
- એક સીધી રેખામાં ચાલવું , સાઇકલ ચલાવવી , એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓ વિચારી શકાય .
- આ પશ્ચમગજમાં આવેલ ભાગ અનુમસ્તિક દ્વારા જ સંભવે છે જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે .
04 September 2021
03 September 2021
02 September 2021
01 September 2021
DNA એટલે શું? , DNAની સંપુર્ણ માહીતી
DNA એટલે શું? , DNAની સંપુર્ણ માહીતી
DNA ની સમજૂતી
"DNA Full form - Deoxyribonucleic Acid"
- સૌપ્રથમ ફ્રેડરિક મિશરે ( Friedrich Mischer ) 1869 માં કોષકેન્દ્રમાં જોવા મળતાં ઍસિડિક પદાર્થ તરીકે DNA ની ઓળખ કરી .
- તેઓએ તેનું નામ ‘ ન્યુક્લેઇન ’ ( Nuclein ) આપ્યું .
- જોકે આવા લાંબા પોલિમરનું તનિકી મર્યાદાઓના કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું એટલા માટે ખૂબ લાંબા સમય સુધી DNA ની સંરચના વિશે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહિ .
- મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંડ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ x - ray વિવર્તનની માહિતીને આધારે 1953 માં જેમ્સ વૉટ્સન અને ફ્રાન્સિસ ક્રિકે DNA ની સંરચનાનું સરળ પરંતુ પ્રખ્યાત ( જાણીતું ) બેવડી કુંતલમય ( double helix ) રચના ધરાવતું મૉડલ રજૂ કર્યું .
- તેઓની સમજૂતીમાં બંને પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓની વચ્ચે રચાતી બેઇઝ જોડ મુખ્ય બાબત હતી .
- ઉપર્યુક્ત બેવડા કુંતલમય DNA ની સમજૂતી ઇર્વિન ચારગાફે ( Erwin Chargaff ) નાં અવલોકનોનો આધાર પણ હતો જેમાં તેઓએ જણાવ્યું કે એડેનીન અને થાયમીન તથા ગ્વામીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે .
- બેઇઝ - જોડાણ પોલિવુક્તિઓટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે .
- આ બંનેને એકબીજાની પૂરક કહેવાય છે એટલા માટે એક શૃંખલામાં રહેલા બેઇઝક્રમ વિશેની જાણકારી જો હોય તો બીજી શૃંખલામાં રહેલ બેઇઝ ક્રમનું અનુમાન કરી શકીએ છીએ .
- વળી જો DNA ( ચાલો તેને પિતૃ DNA કહીએ ) ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ ( template ) નું કાર્ય કરે તો આ રીતે બેવડી કુંતલમય DNA ( જેને બાળ DNA કહે છે ) નું નિર્માણ થાય છે કે જે પિતૃ DNA જેવું જ આબેહૂબ હોય છે .
- આ કારણથી DNA ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ ઘણો સ્પષ્ટ થયો .
DNA ની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ કઈ છે?
( 1 ) તે બે પોલિવુક્લિઓટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે , જેનો આધાર શર્કરા - ફૉસ્ફટનો બનેલ હોય છે અને નાઇટ્રોજન બેઇઝ અંદરની તરફ ઊપસી આવેલ ( પ્રક્ષેપિત ) થયેલી હોય છે .
( 2 ) બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે . એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5'થી 3 ' તરફ હોય તો બીજી શૃંખલાની ધ્રુવતા 3 થી 5 ' તરફ હોય છે .
( 3 ) બંને શૃંખલાના બેઇઝ એકબીજા સાથે હાઇડ્રોજન - બંધ ( H- બંધ ) દ્વારા જોડાઈને બેઇઝ જોડ ( bp - base pair ) બનાવે છે . વિરુદ્ધ શૃંખલાઓના એડેનીન અને થાયમીન એકબીજા સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાય છે . એવી જ રીતે ગ્વાનીન અને સાઇટોસિન ત્રણ H- બંધ વડે જોડાયેલા રહે છે . જેના ફળસ્વરૂપે પ્યુરિનની સામે હંમેશાં પિરિમિડિન આવે છે . તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે ( આકૃતિ ) .
( 4 ) બંને શૃંખલાઓ જમણેરી કુંતલ ( right - handed fashion ) પામેલ હોય છે . કુંતલનો ગર્ત ( pitch ) 3.4 nm ( એક નૈનોમીટર એક મીટરનો 10 કરોડમો ભાગ એટલે કે 10 મીટર જેટલો ) હોય છે અને તેના પ્રત્યેક વળાંકમાં 10 bp જોવા મળે છે . પરિણામ સ્વરૂપે એક કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ 0.34 mm જેટલું હોય છે .
( 5 ) બેવડા કુંતલમાં એક બેઇઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે . વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે
- તે યુરિન અને પિરિમિડિનની સંરચનાત્મક તુલના કરતાં , શું તમે જણાવી શકો છો કે DNA માં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર લગભગ સમાન કેમ રહે છે ?
- DNA ની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનીનિક સુચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની છે .
- તરત જ ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ ( પ્રસ્થાપિત ) પ્રણાલી ( central dogma ) નો વિચાર પ્રસ્તુત કર્યો જેનાથી સ્પષ્ટ થાય છે કે , આનુવંશિક માહિતીનો પ્રવાહ DNA – RNA – પ્રોટીન તરફ હોય છે .
Subscribe to:
Posts (Atom)