Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

13 June 2026

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન



પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન (environmental psychology) એ વર્તન અને ભૌતિક પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘ભૌતિક પર્યાવરણ’ એ શબ્દ દ્વારા ‘કુદરતી’ (un-built or natural) અને ‘માનવનિર્મિત’ (built or man-made) એમ બંને પ્રકારનાં પર્યાવરણનો નિર્દેશ થાય છે. ‘કુદરતી પર્યાવરણ’માં ઘોંઘાટ, વિવિધ હવામાન-તાપમાન, પર્યાવરણનાં ઝેરી તત્વો, પ્રદૂષણ, કુદરતી આપત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે અને ‘માનવનિર્મિત પર્યાવરણ’માં વાહનવ્યવહાર તથા સંદેશા-વ્યવહારનાં સાધનો, બહુમાળી ઇમારતો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુત મથકો, બંધો, પુલ, નહેરો વગેરેનો સમાવેશ થાય છે. ‘વર્તન’ શબ્દ દ્વારા માનવીની પ્રગટ અને પ્રચ્છન્ન ક્રિયાઓ, પ્રત્યક્ષીકરણ, બોધન, વિચાર, લાગણી, આવેગ વગેરેનો નિર્દેશ થાય છે. આ ક્ષેત્રમાં સંશોધન કરનારા મનોવૈજ્ઞાનિકોને ‘પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો, (environmental psychologists) કહેવાય છે.

1970ની આસપાસના સમય દરમિયાન કેટલાક મનોવૈજ્ઞાનિકોએ કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ગરમી-ઠંડી, પ્રકાશ, અવકાશ (space), ઘોંઘાટ વગેરેની માનવીના કાર્ય તેમજ કાર્યક્ષમતા ઉપર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. પ્રોશેન્સ્કી, ઇટ્ટલસન અને રીવલીન (1970), સોમર (1969), કેપ્લન (1972) વગેરે સંશોધકોએ માનવનિર્મિત પર્યાવરણની વર્તન પર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. બેલ, ફીશર અને લુમિસ (1978) વગેરે સંશોધકોએ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધોને લગતા અભ્યાસો કર્યા. આ સંશોધનોના આધારે ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ માનવવર્તન અને કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરે છે’ એવી વ્યાખ્યા પ્રચલિત બની. આ જ સમય દરમિયાન ન્યૂયૉર્ક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો સમાવેશ થયો. આ રીતે મનોવિજ્ઞાનની એક વ્યવસ્થિત શાખા તરીકે 1970માં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો અતૂટ એકમો છે. આ શાખામાં પર્યાવરણના ઉદ્દીપકો પ્રત્યેની વ્યક્તિગત પ્રતિક્રિયાઓને નહિ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના સમગ્રતાલક્ષી સંબંધ(molar relationship)ના અભ્યાસને મહત્વ અપાય છે. પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો પારસ્પરિક છે. એટલે કે કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીના વર્તન ઉપર સતત અસર કરે છે અને માનવી આ કુદરતી પર્યાવરણનો આધાર લઈને ‘માનવનિર્મિત પર્યાવરણ’નું નિર્માણ કરે છે. આ માનવનિર્મિત પર્યાવરણ માનવીને ઉપયોગી બનવાની સાથે સાથે અનેક સમસ્યાઓ પણ સર્જે છે; જેમ કે વાહનવ્યવહારનાં સાધનો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુતકેન્દ્રો વગેરે દ્વારા ફેલાતું પ્રદૂષણ કુદરતી પર્યાવરણમાં અસંતુલન પેદા કરે છે. આ રીતે પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધો પારસ્પરિક છે અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ પારસ્પરિક સંબંધનો અભ્યાસ સમગ્રતાલક્ષી ર્દષ્ટિબિંદુથી કરે છે.

પર્યાવરણ અને વર્તનની પારસ્પરિક અસરો તપાસવા માટેનાં સંશોધનોના કેન્દ્રમાં કોઈક વ્યાવહારિક સમસ્યા હોય છે અને સંશોધનનો હેતુ આ સમસ્યાના નિરાકરણનો હોય છે. તેથી આવાં સંશોધનો મોટેભાગે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં નહિ પણ વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરવામાં આવે છે અને તે સંશોધનોનાં પરિણામોનો ઉપયોગ જે તે વ્યાવહારિક સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ અને સિદ્ધાંતો મૂળભૂત રીતે વ્યાવહારિક સંશોધનો(applied research)માંથી નીપજ્યાં છે. ગ્લાસ અને સિંગર (1972), કોહેન તથા અન્ય સંશોધકો (1980) વગેરેએ કરેલાં સંશોધનો દર્શાવે છે કે પ્રયોગશાળામાં કરેલાં સંશોધનો કરતાં વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરેલાં સંશોધનો વધુ વિશ્વસનીય અને યથાર્થ પરિણામો આપી શકે છે. જોકે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં કરેલાં સંશોધનોનો હેતુ તો વ્યાવહારિક સમસ્યાના નિરાકરણનો જ હોય છે.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધોનો અભ્યાસ કરવા માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ જેવી કે સમાજલક્ષી મનોવિજ્ઞાન, વ્યાવહારિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન વગેરેના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સામાજિક વિજ્ઞાનો જેવાં કે નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સ્થાપત્યકલા વગેરેની માહિતી અને જ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ આંતર વિદ્યાશાખાકીય (interdisciplinary) છે. આ વિવિધ સિદ્ધાંતોના ઊંડા અભ્યાસ પરથી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન પોતાના સિદ્ધાંતો તારવનારું એવું સારગ્રાહી પદ્ધતિતંત્ર (eclectic methodology) અપનાવે છે.

પર્યાવરણ અને વર્તનના પારસ્પરિક સંબંધના અભ્યાસ માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે પ્રયોગ પદ્ધતિ, સહસંબંધ અને વર્ણનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સંશોધન માટે બે રીતોનો ઉપયોગ થાય છે : (1) વ્યક્તિને ખબર હોય કે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પદ્ધતિમાં મુલાકાત અને પ્રશ્નાવલિનો ઉપયોગ થાય છે. 1968માં બાર્કરે જુદા જુદા પરિવેશમાં વર્તનની લાક્ષણિકતાઓ તપાસવા માટેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. (2) વ્યક્તિને ખબર ન હોય કે તે આ સંશોધનનો એક ભાગ છે. 1971માં બીકમને કરેલા મદદરૂપ વર્તન અંગેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

પર્યાવરણની વર્તન ઉપરની અસરોને તપાસવા માટેનો એક અભિગમ પર્યાવરણના ભાર(environmental load)ના સંદર્ભમાં વર્તનને સમજવાનો છે. પર્યાવરણની પરિસ્થિતિઓનું માનવી જે રીતે પ્રત્યક્ષીકરણ કરે છે તે સંદર્ભમાં માનવી પર્યાવરણનો અતિભાર (over load), અલ્પભાર (underload) અથવા અનુકૂળ ભારની સ્થિતિ (optimum level) અનુભવે છે. જો માનવી પોતાની સહનશક્તિ કરતાં વધુ માત્રામાં ભાર અનુભવે તો તે અતિભારની સ્થિતિ કહેવાય. શહેરી જીવનશૈલી, તેમજ ભીડ અને ગીચતાની સમસ્યાઓ પર્યાવરણના અતિભારના સંદર્ભમાં સમજાવી શકાય. જો પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીમાં વર્તનની કોઈ ઉત્તેજના જન્માવી શકે નહિ એટલી ઓછી માત્રામાં ભાર હોય ત્યારે અલ્પભાર કહેવાય. માનવીની એકધારી પ્રવૃત્તિ, નીરસ જીવન, અને એકલતાની અસરોને અલ્પભારના સંદર્ભમાં સમજાવી શકાય. અતિભાર માનવીમાં તનાવ (stress) ઉત્પન્ન કરે છે. જ્યારે અલ્પભાર તીવ્ર ચિંતાનો અનુભવ કરાવે છે. આમ આ બંને પરિસ્થિતિઓ માનવી માટે હાનિકારક છે. માનવી જ્યારે પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને વર્તે છે ત્યારે અનુકૂળ ભાર (optimum level) કહેવાય છે. આવી અનુકૂળ ભારની સ્થિતિમાં માનવી કોઈ પ્રકારનો તણાવ કે ચિંતા અનુભવ્યા વિના સાધારણ પ્રતિક્રિયાઓ કરી શકે છે.

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં મુખ્યત્વે
 (1) પર્યાવરણની પરિસ્થિતિઓ અને તેની સાથેની આંતરક્રિયાનાં પાસાંઓ; 
(2) પર્યાવરણનું પ્રત્યક્ષીકરણ અને બોધન; 
(3) વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ઘોંઘાટ, હવામાન-તાપમાન, કુદરતી આપત્તિઓ, પ્રદૂષણ, વ્યક્તિગત અવકાશ, ભીડ અને ગીચતા વગેરેની વર્તન પર થતી અસરો; 
(4) પર્યાવરણની વાર્તનિક અસરો અને ઇચ્છિત વર્તન નિપજાવવા માટે વાતાવરણની તરેહો, 
(5) બદલાતા પર્યાવરણને લગતાં બોધનો, પ્રત્યક્ષીકરણ અને વર્તન તેમજ 
(6) પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુદરતી પર્યાવરણની સમતુલામાં મનુષ્યની દખલગીરીથી પર્યાવરણ દૂષિત બને છે ત્યારે વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ ઉદભવે છે. પર્યાવરણને દૂષિત બનાવવું એટલે પ્રદૂષણ સર્જવું. માનવનિર્મિત પ્રવૃત્તિઓથી ઘોંઘાટ, હવા, પાણી, ભૂમિ વગેરેને લગતાં પ્રદૂષણો અત્યારે ચિંતાનો વિષય બન્યાં છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ સંદર્ભમાં ઘોંઘાટ, હવામાન-તાપમાન, ભૂમિ, માનવવસ્તી વગેરેનો અભ્યાસ કરે છે.

હવાના પ્રદૂષણ માટે ઘરવપરાશમાં, વ્યાપારી ધોરણે તથા ઉદ્યોગોમાં વપરાતું બળતણ વગેરે જવાબદાર છે. હવામાં ઊડતા રજકણો, મિલો, કારખાનાં, ચૂનાની ભઠ્ઠી, સિરામિકનાં કારખાનાં તેમજ અન્ય અસંખ્ય કારખાનાંઓ જવાબદાર છે. જેના કાર્બનકણો હવામાં ભળે છે, જે સૂર્યપ્રકાશ ઘટાડે છે. માનવી શ્વસનતંત્રના રોગોનો ભોગ બને છે, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

જળપ્રદૂષણ માટે ગંદા વસવાટોનું બહાર ફેંકાતું પાણી, રંગ-રસાયણોનાં કારખાનાં, રાસાયણિક ખાતરો તેમજ કારખાનાંઓનાં ગંદાં અને ઝેરી પાણીનો નિકાલ વગેરે જવાબદાર છે. આ બધું ગંદું પાણી જળાશયોનાં સ્વચ્છ પાણીમાં ભળે છે અને તેને દૂષિત કરે છે. આ પાણી પીવામાં આવે એટલે પાચનતંત્રના અને ચામડીના રોગો થાય છે.

ઘોંઘાટ એટલે અરુચિકર, અસહ્ય અને ન ગમતો અવાજ. ઘોંઘાટનું પ્રદૂષણ વિવિધ પ્રકારનાં વાહનો, કારખાનાનાં યંત્રો, જેટ વિમાન વગેરેના અસહ્ય અવાજથી ફેલાય છે. અવાજની તીવ્રતાશક્તિ માપવા માટેના ખાસ એકમને ડેસિબલ (DB) કહેવાય છે. સામાન્ય રીતે 30 DB સુધીનો અવાજ સાંભળવો ગમે છે. આશરે 80 DBનો અવાજ માણસને અકળાવે છે. અને તેથીયે વધારે તીવ્રતાવાળો અવાજ માનવીના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. માનવનિર્મિત પર્યાવરણથી ઘોંઘાટનું પ્રદૂષણ ભયંકર રીતે ફેલાયું છે જે માનવીના સમગ્ર જ્ઞાનતંત્રને અસર કરે છે. કાર્યક્ષમતા ઘટે છે, સાંભળવાની ક્ષમતા ઘટે છે, નિર્ણયશક્તિ ઘટે છે – આ બધું અન્ય મનોદૈહિક બીમારીઓનું કારણ બન્યું છે. આમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે.

ભૂમિપ્રદૂષણ પણ માનવીને અનેક રીતે નુકસાનકારક છે. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં બિનજરૂરી ફેરફારોથી જમીનની ગુણવત્તા અને ઉપયોગિતા નષ્ટ થાય એવા પ્રદૂષણને ભૂમિ કે જમીનનું પ્રદૂષણ કહેવાય. ભૂમિપ્રદૂષણ માટે વિનાશક વાવાઝોડું, વરસાદનું પાણી, વિનાશક પૂર, હિમપ્રપાત, જ્વાળામુખીનો વિસ્ફોટ વગેરે જેવી કુદરતી ઘટનાઓ તો જવાબદાર છે જ, પણ એથીયે અનેકગણું વધારે માનવનિર્મિત પર્યાવરણ જવાબદાર છે. જેમ કે રસ્તા, રેલમાર્ગ, જળાશયો અને બંધો માટે આડેધડ જમીનનું ખોદકામ, જંતુનાશકો, રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ, આ બધાંથી ભૂમિ-પ્રદૂષણનો વ્યાપ વધતો ગયો છે.

પ્રદૂષણની વિનાશક અસર હવામાન-તાપમાન ઉપર પણ થઈ છે. માનવનિર્મિત પ્રદૂષણને કારણે જ પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. ઋતુચક્ર પણ અનિયમિત બની ગયું છે. 11° સે.થી નીચું અને 32° સે.થી ઊંચું તાપમાન માનવી અને પ્રાણી ઉપર ઘાતક અસરો પેદા કરે છે અને તનાવ સર્જે છે. ઔદ્યોગિક ક્રાન્તિ માટે ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રયાસો પણ વિનાશક સાબિત થયા છે. આ ઉપરાંત પૃથ્વીની આસપાસ અવકાશમાં હાલ ખૂબ જ ઉપગ્રહોનો ભરાવો થઈ ગયો છે. આ ઉપગ્રહોનો ભંગાર તેમજ અવકાશયાત્રીઓએ ઠાલવેલો કચરો અવકાશીય (spatial) પ્રદૂષણ સર્જે છે. માનવવસ્તીમાં થતા ઝડપી વધારાથી ભીડ અને ગીચતા જેવી સમસ્યાઓ સર્જાઈ છે, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. વિશ્વબૅંકનો 1990નો હેવાલ જણાવે છે કે, ‘વિકાસગામી દેશોના સંપૂર્ણ ગરીબ એવા એક અબજથી પણ વધુ લોકો પર્યાવરણમાં પ્રમાણ બહારનો બગાડ સર્જે છે.’ માનવસંખ્યામાં થતો ઝડપી વધારો માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે પાણી, સેનિટેશન, ખોરાક, ઊર્જા, રહેઠાણ, તેમજ મોકળાશભરી જગ્યાની ભારે ખેંચ અને તંગી સર્જે છે. યુનોના પૉપ્યુલેશન ફંડના વિશ્વ-વસ્તી વિશેના 1990ના હેવાલમાં દર્શાવાયું છે કે ‘પર્યાવરણમાં બગાડ સર્જવા માટે જો કોઈ મહત્ત્વનું જવાબદાર પરિબળ હોય તો તે માનવવસ્તી છે. આપણે જો પર્યાવરણની જાળવણી નહિ કરીએ તો આપણાં બાળકોને ઝેરનો વારસો આપી જવાનો રહેશે.’

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં પણ પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વિશેનો અભ્યાસ તેમજ સૂચનો કરવામાં આવે છે. સંશોધકો વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ અને વ્યક્તિ પોતાના અવકાશનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનો અભ્યાસ કરીને નવી ઇમારતોની તરેહો રચવા માટેનાં સૂચનો કરે છે. ભીડ અને ગીચતા વ્યક્તિમાં ક્યારેક તનાવ (stress) જેવી નકારાત્મક પ્રતિક્રિયાઓ નિપજાવે છે તો કેટલાક સંજોગોમાં હૂંફ અને વ્યક્તિગત આનંદની લાગણી જન્માવે છે. આવી વિવિધ અસરોનો અભ્યાસ મનોવિજ્ઞાનની આ શાખામાં કરવામાં આવે છે. એ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક રસપ્રદ અને વ્યવહારુ શાખા છે. તેમાં સંશોધનો તેમજ તેના વ્યાવહારિક અમલીકરણને ઘણો અવકાશ છે.

પર્યાવરણને નજર સમક્ષ રાખીને સજીવો અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છેલ્લા એકાદ સૈકા દરમિયાન અસ્તિત્વમાં આવ્યું છે, જે પરિસ્થિતિવિજ્ઞાન (ecology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રે 1968માં આર. જી. બાર્કરે સજીવો (living organism) અને પર્યાવરણના પારસ્પરિક સંબંધને તપાસતાં અનેક સંશોધનો કર્યાં. તેમણે પોતાના આ કાર્યને ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’ (ecological psychology) એવું નામ આપ્યું. બાર્કરનાં સંશોધનો ‘વર્તન પરિવેશ’(behaviour setting)ને લગતાં છે. આમ 1968માં ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો અને બાર્કર તેના પ્રણેતા ગણાય. પરંતુ પાછળથી અન્ય મનોવૈજ્ઞાનિકોએ માનવવર્તન અને ભૌતિક પર્યાવરણ (કુદરતી તેમજ માનવનિર્મિત) વચ્ચેના પારસ્પરિક સંબંધના અભ્યાસને મહત્વ આપ્યું, જે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખાયું.

05 May 2026

ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ...૨૦૨૬

 ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ...૨૦૨૬

ધો .૧૦ ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 


                  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: - ૧૦ (એસ.એસ.સી.) અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૮/૦૫/૨૦૨૬ નાં રોજ ગુરુવારે સવાર 8.00 કલાકે  બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે.વિદ્યાર્થીઓ WhatsApp Number  ૬૩૫૭૩૦૦૯૭૧  પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન








 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "

                                                            - ડો.જીજ્ઞેશ વેગડ

04 May 2026

ધોરણ: -૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ...૨૦૨૬

 ધોરણ: -૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ...૨૦૨૬


ધો .૧૨  વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉ.ઉ.બુ.પ્રવાહ,GUJCET-૨૦૨૬ અને સંસ્કૃત મધ્યમાના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 



         
                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ , ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૪/૦૫/૨૦૨૬નાં રોજ સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રીઝલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રીઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.



ઓફિસિયલ નોટિફિકેશન 




 ધોરણ: -૧૨  વિદ્યાર્થીઓને  સંદેશ ... 


                  ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                  - ડો.જીજ્ઞેશ વેગડ

07 April 2026

અફવા

અફવા 


અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર (Rumor) ’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય છે અને તેમાં વાતનું વતેસર કઈ રીતે થાય છે તે અંગે નોંધપાત્ર પ્રમાણમાં પ્રાયોગિક અધ્યયનો થયાં છે. આ અધ્યયનોમાં એક વ્યક્તિ ચિત્ર જોઈને કે વાર્તા સાંભળીને બીજી વ્યક્તિને તે અંગેનો અહેવાલ આપે છે અને બીજી વ્યક્તિ તે અહેવાલ ત્રીજી વ્યક્તિને અને ત્રીજી ચોથીને અને ચોથી વ્યક્તિ પાંચમીને અહેવાલ આપે એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાર્તા કે અહેવાલ એક વ્યક્તિ પાસેથી બીજી પાસે જાય તે દરમિયાન તેમાં કેવા ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. પ્રાયોગિક અધ્યયનોએ સ્પષ્ટ કર્યું છે કે વાર્તા કે અહેવાલ એક મુખેથી બીજે મુખે જાય ત્યારે કેટલીક વિગતો છૂટી જાય છે (levelling), કેટલીક વિગતો પર વધારે પડતો ભાર મુકાઈ જાય છે (sharpening), જ્યારે કેટલીક વિગતોમાં પ્રયોગપાત્રોનાં આશા-અરમાનો-ઇચ્છાઓ અને અપેક્ષાઓ ભળી જાય છે (assimilation). આ ત્રણે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને લીધે મૂળ વાર્તામાં વિકૃતિઓ આવે છે. ઑલપોર્ટ અને પોસ્ટમૅનના આ વિશ્લેષણથી વિરુદ્ધ કેટલાક અભ્યાસીઓનું મંતવ્ય એવું છે કે અફવાના શ્રીગણેશ એક સરળ વિધાન કે વિગતથી થાય છે. આ વિધાન કે વિગત શરૂઆતથી જ ખોટું કે વાહિયાત હોય છે. તેને જ જાણ્યેઅજાણ્યે આગળ ને આગળ ધપાવવામાં આવે છે. કોઈ પણ અફવા કેટલી આગળ વધશે તેનો આધાર તે અફવાનો વિષય કેટલો ‘મહત્વપૂર્ણ’ છે અને તે સમયે પરિસ્થિતિ કેટલી ‘સંદિગ્ધ’ છે તેના પર છે. નજીવી બાબતો કે નગણ્ય વ્યક્તિઓ વિશે અફવાઓ ફેલાતી નથી. સંદિગ્ધ પરિસ્થિતિમાં અફવાને પાંખો આવે છે. અંધાધૂંધી, હુલ્લડ, યુદ્ધ કે રમખાણના સમયે અફવાઓનું બજાર ગરમ થઈ જાય છે. અફવાથી ટોળાંઓ સર્જાય છે અને ટોળાંઓ સર્જાતાં અફવાને વધુ વેગ મળે છે. લોકલાગણીને ઉશ્કેરે તેવી કોઈ બાબત હોય અને વિશ્વસનીય સાધનો દ્વારા ત્વરિત ખુલાસો ન થાય તો અફવા દાવાગ્નિની જેમ ફેલાય છે. અફવાઓમાં બન્યું હોય તે નહિ પણ શું બન્યું હોત તે ઘણી વાર તો રજૂ કરવામાં આવે છે. અફવાઓમાં કેટલીક વાર વ્યક્તિઓ ‘ઇચ્છાપૂર્તિ’ પણ કરે છે. દા.ત. હુલ્લડ, રમખાણ કે યુદ્ધમાં જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં હોય તેઓ મરણનો આંકડો આસમાને ચઢાવે છે. આ રીતે તેમણે એકલાએ ગુમાવ્યું નથી પરંતુ તેની જેમ ઘણાં બધાંએ ગુમાવ્યું છે એવું તે આશ્ર્વાસન મેળવે છે. અફવામાં પોતાની માનસિક સ્થિતિ કે પ્રેરકબળોનું પ્રક્ષેપણ થાય છે. કેટલાક અભ્યાસીઓ એવું માને છે કે પ્રજાના જીવનમાંથી રસકસ ઊડી ગયો હોય અને પ્રજા એક પ્રકારનો કંટાળો કે અકળામણ અનુભવતી હોય તો તેવા સંજોગોમાં પણ અફવાઓને મોકળું મેદાન મળે છે. અફવાઓથી પ્રજાજીવનમાં ઉશ્કેરાટ અને ઉત્તેજના આવે છે અને લોકોને જીવનમાં રસ પેદા થાય છે. કેટલીક વ્યક્તિઓ પોતે બહુ મહત્વની વાત જાણી લાવેલ છે અને મહત્વની વાતની જાણ તો મહત્વના લોકો હોય તેમને જ થાય એવું દર્શાવવામાં અફવાઓ ફેલાવે છે. વર્તમાનપત્રો જેવાં સમૂહમાધ્યમો અને ટેલિફોન જેવાં સંચારમાધ્યમો અફવા ફેલાવવામાં નિમિત્તરૂપ બને છે. અફવાને સાધારણ રીતે વખોડી કાઢવામાં આવે છે, પરંતુ અફવા એક રીતે સાંભળનારને ચેતવે છે, સાવધાન કરે છે.

અફવાઓના મનોવિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા વ્યવસ્થાપન-મૅનેજમેન્ટ ક્ષેત્રના અભ્યાસીઓએ પારખી છે. અર્વાચીન વ્યવસ્થાપન પદ્ધતિઓમાં કંપનીઓમાં કેવી ગુસપુસ ચાલે છે તે જાણવા માટે કર્મચારીઓની સાથે નાનાં નાનાં જૂથમાં અનૌપચારિક મિલનમુલાકાતો ગોઠવવા પર ભાર મુકાવા માંડ્યો છે. આવાં મિલનમુલાકાતોમાં ગપસપને બદલે સાચી માહિતી અને તથ્યો કર્મચારીઓને આપવામાં આવે છે અને કર્મચારીઓ કર્ણોપકર્ણ તે માહિતી બીજાઓને પહોંચાડે છે. પ્રત્યાયન(communication)ની આ અનૌપચારિક પદ્ધતિને ‘ગ્રેઇપવાઇન મેથડ’ કહેવામાં આવે છે. ‘ગ્રેઇપવાઇન’ એટલે દ્રાક્ષનો વેલો. દ્રાક્ષનો વેલો જેમ આડોઅવળો ફેલાય તેમ અહીં પ્રત્યાયન એક મુખેથી બીજા મુખે એમ ચારે તરફ ફેલાય છે અને વ્યવસ્થાપન તંત્રનું ધાર્યું લક્ષ્ય પાર પડે છે.

હુલ્લડ, રમખાણ કે યુદ્ધની પરિસ્થિતિમાં અફવા ફેલાતી રોકવી તે અનિવાર્ય બની જાય છે.

નટવરલાલ શાહ