Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

10 September 2019

નિવૃત્તજીવનની જરૂરિયાતો અલગ હોય છે?

નિવૃત્તજીવનની જરૂરિયાતો અલગ હોય છે?



અબ્રાહમ મેસ્લો નામના મનોવિજ્ઞાાનીએ ૧૯૪૩માં ‘હાઇરાર્કી ઓફ્ નીડ્સ’ નામની થિયરી રજૂ કરી હતી. તે ‘મેસ્લોસ લો’ તરીકે પણ ઓળખાય છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવાની સ્થિતિમાંથી આત્મબોધની સ્થિતિ સુધીની સફરને  મેસ્લોસ લો માં આવરી લેવામાં આવી છે.

મેસ્લો કહે છે કે મનુષ્યના જીવનમાં સૌથી પહેલાં મૂળભૂત જરૂરિયાતો સંતોષવાની હોય છે. અન્ન-જળનો તેમાં સમાવેશ થાય છે. આ જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ આપણે બીજી જરૂરિયાતો પૂરી કરવાની હોય છે. એ જરૂરિયાતોને તેમણે સલામતી માટેની જરૂરિયાતો ગણાવી છે. માથું ઢાંકવા માટે ઘર, સુરક્ષા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જીવનમાં સ્થિરતા લાવનારી વસ્તુઓ, વગેરે જરૂરિયાતો આપણે પૂરી કરવાની હોય છે.

આપણી મૂળભૂત અને સલામતી માટેની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંની જરૂર પડે છે. એ જરૂરિયાતો પૂરી થયા બાદ આપણને પોતાપણું, પ્રેમ, સ્નેહ, હૂંફ્ એ બધાની જરૂર પડે છે. પરિવારજનો, મિત્રો અને સમાજ એ જરૂરિયાતો પૂરી કરે છે.

ત્યાર પછી આવે છે આત્મસમ્માન માટેની જરૂરિયાતો. આપણને કોઈ માન આપે, આપણો સામાજિક મોભો હોય, ગૌરવ હોય એ બધી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. ત્રીજા અને ચોથા તબક્કાની જરૂરિયાતો નાણાં પૂરી કરી શકતાં નથી.

ઉપરોક્ત ચારે પ્રકારની જરૂરિયાતોને ખાધ પૂરી કરવા માટેની જરૂરિયાતો કહેવાય છે. તેનો અર્થ એવો થયો કે એક તબક્કાની બધી વસ્તુઓ મળી જાય ત્યારે ખાધ પૂરી થઈ ગઈ કહેવાય અને પછી આપણે બીજા તબક્કા તરફ્ આગળ વધીએ છીએ. દા.ત. અન્ન-જળની જરૂરિયાત પૂરી થયા બાદ આપણને વસ્ત્રો, ઘર, કાયદો-વ્યવસ્થા, વગેરે જોઈએ છે. આ બંને તબક્કા બાદ પ્રેમ, હૂંફ્ જોઈએ છે અને પછી માન-સમ્માન, ગૌરવ, વગેરેની જરૂર પડે છે.

મનુષ્યની છેલ્લી જરૂરિયાત આત્મબોધની છે. કુદરત સાથે તાદાત્મ્ય સાધવાની, એકરૂપ થઈ જવાની આ ઈચ્છા હોય છે. આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. આત્મબોધ નાણાંથી ખરીદી શકાતો નથી.

આ બધી વાતનો નિવૃત્તજીવન સાથે શું સંબંધ છે? નિવૃત્ત લોકોની જરૂરિયાતો પણ આ જ ક્રમમાં હોય છે. નિવૃત્તિ બાદ સૌથી પહેલાં તો રોટી, કપડાં ઔર મકાનની જરૂરિયાત પૂરી કરવાની હોય છે. આપણા બધાની જેમ નિવૃત્ત લોકોને પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઈ લડવાની હોય છે. પોતાના અવસાન સુધી નાણાં ટકશે કે નહીં એ સવાલ ઘણો મોટો હોય છે. નિવૃત્તિ માટેનું પૂરતું ભંડોળ એકઠું કરી લીધું હોય તો આ ચિંતાનો અંત આવી જાય છે.

આજકાલ વરિષ્ઠ નાગરિકો પર હુમલા, તેમના ઘરમાં ચોરી, લૂંટફટ, વગેરે પ્રકારના ગુનાઓ વધતા જાય છે. પોલીસ, સરકાર અને સમાજ ભેગાં મળીને આ સમસ્યાના હલ માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ લેખમાળામાં અત્યાર સુધી આપણે નિવૃત્તજીવનની નાણાકીય આવશ્યકતાઓ વિશે જ વાત કરી છે. હવે પછી આપણે ત્રીજા અને ચોથા તબક્કાની જરૂરિયાતો વિશે ચર્ચા કરીશું.

નિવૃત્ત લોકોને પરિવારજનો, મિત્રો અને સમાજનાં સ્નેહ અને હૂંફ્ની જરૂર હોય છે. ભારતીય સમાજમાં વડીલો પરિવારનો જ હિસ્સો ગણાય છે. તેમનું માન સચવાય છે તથા તેમની દેખરેખ રાખવામાં આવે છે. વળી, આજકાલ પરિવાર ઉપરાંત અનેક ઔપચારિક અને અનૌપચારિક વર્તુળો/કેન્દ્રો કાર્યરત છે. તેમાં વડીલો ભેગા મળીને સમય વ્યતીત કરી શકે છે. પોતાપણું તથા સ્નેહની જરૂરિયાત આવાં કેન્દ્રોમાં પૂરી થતી જોવા મળે છે.

આગામી વર્ષોમાં વરિષ્ઠ નાગરિકો માટેની ખાસ વસાહતો રચવામાં આવશે. તેમાં મૂળભૂત આરોગ્યસેવા, દેખભાળ, ચોવીસે કલાકની સુરક્ષા, મનોરંજક પ્રવૃત્તિઓ જેવી સુવિધાઓ હશે. વસાહતોમાં મૂળભૂત જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો અને પોતાપણાની જરૂરિયાત સંતોષાશે.

આત્મસમ્માન, ગૌરવ, વગેરે પ્રાપ્ત કરવા માટે વડીલો પોતાના જ્ઞાાન, અનુભવનો લાભ પરિવારને, સમાજને કે સમુદાયને આપી શકે છે. તેઓ સ્વૈચ્છિક સંસ્થાઓ, આશ્રમો, જેવાં સ્થળે સેવા આપી શકે છે, વંચિત વર્ગનાં બાળકોને કે પ્રૌઢોને શિક્ષણ આપી શકે છે, નવી પેઢીને માર્ગદર્શન આપી શકે છે. જોકે, આ બધું કહેવા કરતાં કરવું અઘરું છે. ઘણા બધા લોકોને સ્વૈચ્છિક સંસ્થામાં જવાનો કે સામુદાયિક કાર્ય કરવાનો અનુભવ નથી હોતો. વળી, જો તેઓ નિવૃત્તિ બાદ આવું કરે ત્યારે અહમ્ વચ્ચે નડે એવું પણ શક્ય છે. જો યુવા પેઢી તેમનું સાંભળે નહીં તો તેમને મનદુઃખ થઈ શકે છે. આથી મોટાભાગના નિવૃત્ત લોકોને શું કરવું તે સમજાતું નથી.

આત્મબોધ માટે મેડિટેશન એ એક ઉપાય છે. મેડિટેશનનો અર્થ ટટ્ટાર બેસીને, પલાંઠી વાળીને કે આંખો બંધ કરીને બેસી રહેવું એ જ નથી. મેડિટેશન એટલે કે ચિંતન કરવાના અનેક રસ્તા છે. ભગવદ્ ગીતામાં તથા અન્ય ધર્મગ્રંથોમાં મેડિટેશનના અનેક વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે.

આમ, નિવૃત્ત જીવન માટે ફ્ક્ત નાણાકીય વ્યવસ્થા કરી લેવાથી કામ પતી જતું નથી. નાણાંથી તો ફ્ક્ત મૂળભૂત જરૂરિયાતો સંતોષાશે. બીજા તબક્કા બાદની જરૂરિયાતોને સંપૂર્ણપણે નાણાં સાથે સંબંધ નથી. આથી, તેના વિશે અલગથી વિચાર કરવો જરૂરી છે.

યોગિક વેલ્થઃ ગૌરવ મશરૂવાળા

No comments:

Post a Comment