સૌ.યુનિ.નો સ્ટડી કેસ:કોરોના બાદ લોકો બન્યા શારીરિક અને માનસિક નબળાઈના વિકૃતભયનો શિકાર, 54% મહિલાઓ અને 45% પુરુષો ભોગ બન્યા
- આ પ્રકારના ભયમાં વ્યક્તિ અવાસ્તવિક નબળાઈ અનુભવે છે
વિકૃત ભય એક એવી માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ અમુક વસ્તુ કે પરિસ્થિતિ જે ભયજનક ન હોય છતાં તેનાથી ડર અનુભવે છે. આવો વિકૃત ભય વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક કાર્ય અને ચયાપચયનની ક્રિયાને નુકસાન કરે છે. આ ઉપરાંત વાર્તનિક પરિવર્તનોનું કારણ પણ બને છે. આ વિકૃત ભય સામાન્ય ચિંતાથી અલગ હોય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને વિદ્યાર્થિની પુરોહિત નિશાએ મનોવિજ્ઞાન ભવનમાં આવેલા ફોન કોલ્સથી વિશ્લેષણ કર્યું છે. જેમાં ચોંકવનારી વિગતો સામે આવી છે. જેમાં 54% મહિલાઓ અને 45% પુરુષો એથેનોફોબિયાના ભોગ બન્યા છે.
કોરોના બાદ લોકોમાં નબળાઈનો ભય પણ સતાવે છે
મનોવિજ્ઞાન ભવનના મતે આશરે 54% મહિલાઓ અને 45% પુરુષોમાં કોરોનામુક્ત થયા બાદ નબળાઈનો વિકૃત ભય જોવા મળી રહ્યો છે. કોરોના દરમિયાન લોકોને સૌથી વધુ મોતનો ડર અનુભવાય છે. આ ઉપરાંત કોરોના બાદ લોકોમાં નબળાઈનો ભય ( ફિયર ઓફ વીકનેસ) જોવા મળે છે.
એથેનોફોબિયાના લક્ષણો અને કારણો
1 ગભરામણ થવી
2. વધુ પડતો પરસેવો થવો
3. લોકોથી દૂર ભાગવું
4. માથું ભારે લાગવું
5. કાનમાં અલગ અલગ અવાજ સંભળાય
6. હૃદયના ધબકારા વધી જવા
7. ચક્કર આવવા
8. ખુબ ઊંઘ આવવી તથા અનિદ્રા
9. અકારણ ચિંતા
10. રોજિંદુ કાર્ય કરવામાં તકલીફ
11.અચાનક શ્વાસ લેવામાં તકલીફ
લક્ષણ પોતે વિકસિત થાય છે
આ પ્રકારના ભયમાં વ્યક્તિ અવાસ્તવિક નબળાઈ અનુભવે છે. તેને જ્યારે ખબર પડે કે કોઈ રોગ મટ્યા પછી અમુક વ્યક્તિમાં અમુક લક્ષણો જોવા મળે છે તો તેવા લક્ષણ તે પોતે વિકસાવે છે અને તેનામાં એ લક્ષણ દેખાય છે. જેમ કે લોકોને ખબર છે કે કોરોના મટ્યા પછી ઘણી વ્યક્તિને નબળાઈ લાગતી હોય છે. આ બાબત વારંવાર સાંભળીને આ લક્ષણ પોતે વિકસિત કરી નબળાઈ અનુભવે છે.
માનસિક સ્વાસ્થ્ય અત્યંત નબળું થઈ જાય
આજકાલ કોરોના પછી લોકોમાં ઘણા ભય જોવા મળે છે તેમાં સૌથી વધુ જોઈ તો લોકો કોરોના થઇ ગયા પછી નબળાઈના ભયનો ભોગ બને છે. 21મી સદીમાં આજે માનવીએ પોતાના જીવનને વધુ સુખસુવિધા પૂર્ણ બનાવા ઘણી શોધો કરી છે. પણ તેની સામે માનવી ઘણી જગ્યાએ પોતાને નબળો બનાવી દીધો છે. જેમ કે માનવીનું માનસિક સ્વાસ્થ્ય, આજે કોરોનાના સમયમાં માનવીની જીવનશૈલી પહેલેથી ઘણી અલગ થઈ ગઈ છે. જે ઘણા લોકો સ્વીકારી શક્યા નથી તેથી તે માનસિક રોગ જેમ કે અકારણ ચિંતા, ચિડીયાપણું, ડિપ્રેશન વગેરેનો ભોગ બન્યા છે. કોરોના થઈ ગયેલા દર્દી કોરોના સામે લડીને સાજા થઈ ગયા છે પણ તેઓના માનસિક સ્વાસ્થ્યને ક્યાંક કોરોના મટી ગયા પછી પણ અસર કરે છે એટલે કે તેઓના નબળાઈનો ભય વધુ જોવા મળે છે. જેવો શારીરિક રીતે હવે એકદમ સ્વસ્થ હોય છતાં તેમને એવો જ અનુભવ થાય કે પોતાનામાં નબળાઈ છે.
1. શારીરિક નબળાઈનો ભય
કોરોના પછી જ્યારે વ્યક્તિ શારીરિક રીતે એકદમ સ્વસ્થ હોય છતાં તેમને કોઈ કાર્ય કરવામાં સંકોચ આવે છે તેમને એવું લાગે કે તે આ કાર્ય કરવા સક્ષમ નથી. જેવો કોઈ ભારે વસ્તુ કે શારીરિક પરિશ્રમ માગે તેવું કાર્ય કરતા ડર અનુભવે છે.
2. માનસિક નબળાઈનો ભય
જેમાં વ્યક્તિને એવો જ ડર સતાવે છે કે તે આ સમય એકલા રહ્યા પછી હવે તે માનસિક રીતે અસ્વસ્થ છે. તેમને કોરોના તો મટી ગયો પણ માનસિક રોગ નો શિકાર બન્યા છે. સતત ચિંતા કરવા લાગે છે. તેમને એવો જ ડર લાગે છે કે તે કોઈ માનસિક બીમારી નો ભોગ બની ગયા છે.
3. આવેગીક નબળાઈનો ભય
જેમાં વ્યક્તિ પોતાના આવેગોને લઈને ભય અનુભવે છે. જેમાં વ્યક્તિ એવો ડર અનુભવે છે કે તે કોઈ સાથે સારા સંબંધો નહિ રાખી શકે કારણ કે તે પોતે આવેગીક નબળાઈ નો ભય અનુભવે છે.
4. બોધત્મક નબળાઈનો ભય
જેમાં વ્યક્તિ પોતે કોઈ નિર્ણય લેવા સક્ષમ નથી તેમજ પોતાની વિચાર શક્તિ ગુમાવી દીધી છે , કશું યાદ નથી રહેતું એટલે કે સ્મરણ શક્તિ ગુમાવી દીધી,કોઈ તર્ક કાર્ય નથી કરી શકતા તેવો ભય અનુભવે છે.
મનુષ્ય અમુક ઘાતક ઘટના જે પોતાના મગજ માં બેસાડી દે છે
મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞો મુજબ બધા મનુષ્યમાં જોવા મળતી અલગ અલગ સહજ ભાવના માંથી ડર એક છે. મનુષ્યમાં જોવા મળતી અન્ય સહજ ભાવના જેમ કે ક્રોધ, ચિંતા, ખુશી વગેરે ની જેમ ડર પણ છે.માનવીના મગજ માં એમીગડાલા જોવા મળે છે તે ભય સાથે જોડાયેલ હોય છે. એમીગડાલા પીટ્યૂટરી ગ્રંથિની પાછળ સ્થિત હોય છે. એમીગડાલા હોર્મોન્સ નો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે આક્રમકતા અને ભય ને પ્રભાવિત કરે છે. તેથી જ ભય માં ક્યારેક આક્રમકતા પણ જોવા મળે છે. મનુષ્ય અમુક ઘાતક ઘટના જે પોતાના મગજ માં બેસાડી દે છે અને વારંવાર યાદ કરે છે જેથી અમુક સમય કે સ્વપ્ન માં પણ તે ઘટના આવે છે જેથી ભય નો શિકાર બને છે.
નબળાઈનો ભય દૂર કરવાના ઉપાયો
1. કોરોના મારો ભૂતકાળ હતો, જેની સામે મે જીત મેળવી છે
2. કોરોના તથા તેની દવાઓ ની વાતો કરવાનું બંધ કરવું
3. કોરોના પહેલાની જીવનશૈલી વિશે વિચારવું
4. પહેલા જેવું જીવન જીવવું
5. યોગ કરવા
6. હું શારીરિક, માનસિક રીતે સ્વસ્થ છું. એવો વિચાર નિત્ય કરવો
7. સવાર સાંજ પરિવાર સાથે બેસવું
8. કોરોના ના સમાચારથી દૂર રહેવું
9. નબળાઈ છે જ નહિ તેથી બધા કાર્યો કરવા
10. જીવન ધ્યેય બનાવી સામે રાખવું અને તેને લગતા કર્યો કરવા
11. કંટાળો આવે તો તર્ક કે ગાણિતિક રમત રમવી
12. દોસ્ત સાથે ભણવાની તેમજ વ્યવસાયની વાતચીત કરવી
13. નવા નવા શોખ વિકસાવવા
14. નવી પ્રવુતિઓ કરવી
15. સેવાભાવ વિકસાવવો.
થેરાપી
1. બોધાત્મક વર્તન
આ થેરાપી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી થેરાપી છે. થેરાપીસ્ટ દર્દીને ભયના કારણો સમજવામાં માટે અલગ અલગ રીત શીખવાડે છે. જેથી ભયનો સામનો કરવામાં આસાની રહે. ભયને જોવા તેમજ સમજવા માટે અલગ અલગ રીત સમજવામાં આવે છે. દર્દીને સમજવામાં આવે છે કે અલગ દ્રષ્ટિકોણ થી શું પ્રભાવ પડે છે અને નવો દ્રષ્ટિકોણ જિંદગીને બદલી શકે છે. થેરાપી નું સંપૂર્ણ ધ્યેય દર્દીના નિષેધક વલણો તથા ખોટી ધારણા દૂર કરવાનો હોય છે.
2. એક્સપોઝર
જો આ થેરાપી યોગ્ય રીતે કરવામાં આવે તો દર્દી ભય પ્રત્યેની પ્રતિક્રિયામાં પરિવર્તન લાવી શકાય. દર્દીને ભયનો ધીમે ધીમે અનુભવ કરાવી દૂર કરવામાં આવે છે.જો કોઈ વ્યક્તિને વિમાન માં બેસવાથી ડર લાગે છે તો પેલા તેને વિમાન યાત્રા વિશે વિચારવાનું કહેવામાં આવે, પછી વિમાન નજીકથી બતાવવામાં આવે, એરપોર્ટ પર લઈ જવામાં આવે, વિમાન જેવા રૂમ માં બેસવામાં આવે વગેરે પ્રયત્નો થી છેલ્લે વિમાન યાત્રા કરી શકે છે.
એકદમ સચોટ વિશ્લેષણ...
ReplyDelete