Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

04 July 2022

મનોરોગને સ્વીકારવો મુશકેલ:સાઇકોલોજીસ્ટ પાસે જતા 69.32% શરમ અનુભવે છે, 97.10%ના મતે શાળા - કોલેજમાં કાઉન્સેલર હોવા જરૂરી

મનોરોગને સ્વીકારવો મુશકેલ:સાઇકોલોજીસ્ટ પાસે જતા 69.32% શરમ અનુભવે છે, 97.10%ના મતે શાળા - કોલેજમાં કાઉન્સેલર હોવા જરૂરી


મનોવિજ્ઞાનની માન્યતા અને 1241 સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ચોંકવનારા તારણો સામે આવ્યા


માણસના મનની સમસ્યા અને તકલીફોને સમજવા માટે મનોવિજ્ઞાનનો ખ્યાલ આજના સમયમાં પ્રસ્થાપિત થયો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિત દ્વારા ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાનની માન્યતા અને 1241 સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકવનારા તારણો સામે આવ્યા હતા.

મનોવિજ્ઞાન વિશેની ખોટી માન્યતા

શૈક્ષણિક ક્ષેત્રે જોવા મળતા ઘણા વિષયોમાં મનોવિજ્ઞાન પણ એક વિષય છે, જે રીતે વિદ્યાર્થીઓને અન્ય વિષયોનું જ્ઞાન પોતાના જીવનમાં પોતાના વ્યવસાયમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બની રહે છે તેવી જ રીતે મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓના જીવનમાં સાથે સાથે જ દરેક લોકોના જીવનમાં ઘણી રીતે ઉપયોગી બને છે. પોતાના રોજિંદા વ્યવહારમાં, વ્યવસાયમાં, અભ્યાસમાં, લગ્ન જીવનની સમસ્યા, કુટુંબ સમસ્યા તથા અન્ય ઘણી બાબતોમાં મનોવિજ્ઞાનનું જ્ઞાન દરેક માટે ઉપયોગી બની રહે છે. સામાન્ય રીતે મનોવિજ્ઞાન વિશેની માન્યતા ઘણી ખોટી થાય છે કે જે લોકો માનસિક રીતે બીમાર હોય છે તેના માટે જ મનોવિજ્ઞાન છે પરંતુ માત્ર અસાધારણ વ્યક્તિઓ જ નહીં સાધારણ વ્યક્તિઓના સમાયોજનમાં પણ તથા વિદ્યાર્થીઓ અને સમાજના કોઈપણ લોકો બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા માટે મનોવિજ્ઞાન વિષય ઉપયોગી બને છે.


મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે

આજનાં સમયમાં ઔદ્યોગિકરણ અને શહેરીકરણ અતિશય વેગવાન બન્યું છે આ સમયગાળામાં યંત્રોની બોલબાલા વધી છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ વગેરે ખૂબ વધી રહ્યું છે પરિણામે વ્યક્તિગત રીતે સામાન્ય લોકોમાં મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા વગેરેનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સોશિયલ નેટવર્કના લીધે મોટા સમૂહમાં જોડાયેલો તો છે છતાં એકલતા અનુભવે છે. બધી જ જાતની સુખ સુવિધા સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી, આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજવા માટે તેની આંતરિક બાબતોને ઓળખવી અને યોગ્ય દિશામાં લોકોના જીવનને વધારે શાંતિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદભવી છે. જેના માટે મનોવિજ્ઞાન ખૂબ ઉપયોગી બની રહે છે. માનવ જાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે.

મનોવિજ્ઞાન વિશેની સમજૂતી

મનોવિજ્ઞાન વિષય એ સામાન્ય રીતે માનવીના બાહ્ય વર્તનનો અભ્યાસ કરે છે. તેમજ મનોવિજ્ઞાનમાં માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વિષયના મુખ્ય ધ્યેયમાં માનવીના વર્તનનું વર્ણન કરવું છે, વર્ણન કર્યા બાદ સ્પષ્ટીકરણ કરવું, માનવીના વર્તન વિશે આગાહી કે ભવિષ્યકથન કરવું એ મનોવિજ્ઞાન વિષયના મુખ્ય ધ્યેયો તો છે જ સાથે સાથે માનવીના વર્તનને નિયંત્રિત કરવું અને યોગ્ય વર્તન દ્વાર વ્યક્તિ સમાયોજન સાધી શકે તેટલું યોગ્ય બનાવવું છે. આ ઉપરાંત માનવીના જીવનમાં ઉપયોગી બની શકે એ રીતના વર્તનમાં સુધારણા કરવી તે પણ મનોવિજ્ઞાનનું એક મુખ્ય ધ્યેય છે.



મનોવિજ્ઞાન : એક સાયન્સ

મનોવિજ્ઞાન એ પહેલાં તત્વજ્ઞાનની એક શાખા હતી પરંતુ આગળ જતા મનોવિજ્ઞાનમાં ઘણા વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યા તથા મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનનો યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો જેથી મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો મનોવિજ્ઞાનના અભ્યાસમાં ઘણી વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિઓ જેવી કે નિરીક્ષણ પદ્ધતિ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ પ્રશ્નાવલી પદ્ધતિ મનોવૈજ્ઞાનિક કસોટી વગેરે જે ઉત્તમ વિશ્વસનીયતા અને યથાર્થતા ધરાવે છે તેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓથી મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે.

સ્તોત્ર :- દિવ્ય ભાસ્કર  

No comments:

Post a Comment