Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

31 October 2020

વિચારવાયુ અભિશાપ છે

 

વિચારવાયુ અભિશાપ છે

                          આજના આ આધુનિક યુગમાં લોકો માત્ર સ્વાર્થી અને લોભી થઈ ગયા છે એ વાત સદંતર ખોટી… આજે પણ આ દુનિયામાં ભાવુક, ભોળા અને હૃદયનું સાંભળી કામ કરવાવાળા લોકો છે અને આવા લોકો માટે અભિશાપ સ્વરૂપ કોઈ રોગ હોય તો એ છે, વિચારવાયુ! આ એક એવો રોગ છે જેનો એકમાત્ર ઈલાજ એટલે સકારાત્મક વિચારસરણી. આ વિચારવાયુ એ ખતરનાક બીમારીઓ કરતાં પણ ખતરનાક છે. એને અંગ્રેજીમાં “ઓવર થિંકિંગ” કહી શકાય. સાદી ભાષામાં કહીએ તો કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે વિષય વિશે હદ વિનાના વિચારો કરવા એટલે વિચારવાયુ. અહીં નોંધપાત્ર વાત એ છે કે આવા વિચારોમાંના નેવું ટકા વિચારો નકારાત્મક જ હોય છે. આ નકારાત્મક વિચારો આપણી અંદર રહેલી સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે. આપણા વિકાસને પણ અવરોધે છે. સામાજિક અને પારિવારિક સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે અને આ વિચારવાયુની સૌથી ખરાબ અસર આપણા શરીર ઉપર થાય છે.

                આ વિચારવાયુ એટલે શંકારૂપી બીજમાંથી ઊગી નીકળેલું વટવૃક્ષ અને શંકા-કુશંકા ક્યારે થાય? તો એનો જવાબ છે અવિશ્વાસ અથવા અપૂરતો આત્મવિશ્વાસ. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, કે વાત પર આપણો આત્મવિશ્વાસ ઓછો પડે છે અથવા એના પર અવિશ્વાસ રાખીએ છીએ ત્યારે ઉપજે છે શંકા-કુશંકા. એ શંકા જન્મ આપે છે વિચારવાયુને…

                આ વિચારવાયુના નુકસાન ઘણા છે એ તો ખબર પડી ગઈ, પણ આ રોગનું એમ કહો કે આ કુટેવનું નિદાન શું? વિચારવાયુ ન ઉપજે, નકારાત્મકતા અંતરમાં ન પ્રવેશે એ માટે કરવું શું? તો એનો જવાબ છે, સકારાત્મક અભિગમ સાથે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન…

           સર્વપ્રથમ એક વાત આપણે સૌએ યાદ રાખવી જોઈએ કે સંસારમાં દરેક વસ્તુ એકબીજાની સાપેક્ષમાં ચાલે છે, કોઈપણ એક વસ્તુ, વાત, ટેવ/કુટેવ એમનેમ છોડી શકાતી નથી. એ માટે તેને બીજી કોઈ વસ્તુ, વાત, ટેવ/કુટેવ સાથે બદલવી પડે છે. માટે જો વિચારવાયુની કુટેવથી છૂટકારો જોઈએ તો આપણે તેને બીજી સુટેવથી બદલવી પડશે, પછી જ આ કુટેવ નાબૂદ થશે. સારા વિચારો આવે, કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મકતા અડગ રહે તે માટે પોતાના રોજિંદા જીવનમાં નવીનતા અને નિયમનો સમાવેશ કરવો જોઈએ. આપણે રોજ કરતાં હોઈએ એનાથી અલગ કોઈ ક્રિયા કરવાનો નિયમ લઈ શકીએ, જેમ કે રોજ વાંચન કરવું, પોતાની રોજનીશી લખવી,વગેરે. આમ કરીશું તો આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. અને આ ઉર્જા નકારાત્મક વિચારોને મનમાં આવવા જ નહીં દે. જ્યારે પણ આવા કોઈ વિચારો આવે ત્યારે મન એ તરફથી હટાવી કોઈને કોઈ પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. કંઈક એવું કે જેમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની જરૂર હોય. આમ કરવાથી આપણું ધ્યાન જે-તે મનને વ્યથિત કરનારી વાતથી હટી જશે અને મન શાંત થઈ જશે. શાંત મન આનંદ અને પ્રસન્નતાને જલ્દી ગ્રહણ કરે છે, અને પ્રસન્ન ચિત્ત આવેલી કોઈપણ પરિસ્થિતિને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં મદદરૂપ થાય છે અને આ જ સકારાત્મક દ્રષ્ટિકોણ વિચારવાયુના આ ગંભીર રોગનો નાશ કરે છે અને એનાથી થતાં સંભવિત નુકશાન ટાળી શકાય છે.

             પોતાના ઉપર વિશ્વાસ રાખીએ, અને બીજાની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરીએ તો આપણે આ વિચારવાયુથી બચી શકીએ છીએ. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આત્મવિશ્વાસ રાખીશું તો કોઈના પર મૂકેલો વિશ્વાસ ખોટો નહીં પડે અને શંકાનું બીજ પણ નહીં રોપાય કે વિચારવાયુનું વટવૃક્ષ પણ નહીં થાય. આપણી ખુશી એ આપણા જ હાથમાં છે. હંમેશા ખુશ રહેવા પ્રયત્ન કરીએ. જે થાય છે તે સારા માટે જ થાય છે, અને જે થઈ રહ્યું છે એ પણ સારા માટે જ છે એમ માની જીવનને માણીશું તો ક્યારેય આ વિચારવાયુનો રોગ આપણને અડકી પણ નહીં શકે.

“વિચારવાયુ કોઈ કાયમી બીમારી કરતાં પણ વધુ ખતરનાક છે.”- 
હાર્દિક કલ્પદેવ પંડ્યા

No comments:

Post a Comment