Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

17 July 2021

પાયરોમેનિયા - આવેગ નિયંત્રણ ડિસઓર્ડર

પાયરોમેનિયા - આવેગ નિયંત્રણ ડિસઓર્ડર

લોકડાઉન-કરફ્યુમાં 54% તરૂણો કારણ વિના ગાળાગાળી-મારામારી કરતા થયા, જાણો કેમ

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને જાદવ તૌફીકે વાલીઓ, યુવાનો, તરૂણો સહિતનાં કુલ 940 વ્યક્તિઓને રૂબરૂ મળી એક સર્વે કર્યો છે. આ સર્વેમાં લોકડાઉન અને કરફ્યુ દરમિયાન છેલ્લા દોઢેક વર્ષમાં પાયરોમેનિયાનો ફેલાવો વધ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં 54% તરૂણો કારણ વિના ગાળાગાળી-મારામારી કરતા થયા હોવાનું અને 36% યુવાનોમાં આવેગ પર નિયંત્રણનો અભાવ હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. પાયરોમેનિયા આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે. જે તરૂણો અને યુવાનોમાં સતત સ્ટ્રેસ અને ભયથી વધ્યો છે. કેટલાક તરુણો અને યુવાનોને કારણવગરની મારામારી કે ગાળાગાળી કરતા આપણે જોયા છે. આ કુસંસ્કાર કરતા માનસિક બીમારી વઘુ છે. કાચ ફોડતી ગેંગ, વાહનની કતારને પાડી આનંદ લેતા તરૂણો, કોઈ ઘરના કાચ ફોડવાની વૃત્તિ વિગેરે લક્ષણો આ રોગનાં દર્દીઓમાં જોવા મળે છે. છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરૂણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે તે કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

પાયરોમેનિયા ધરાવતા વ્યક્તિમાં પરિણામોને ધ્યાનમાં લીધા વિના, હાનિકારક કે ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી હોય છે. આ રોગને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -5) માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસ ઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે એક આવેગ નિયંત્રણ વિકાર છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે. કેટલાક લોકોને કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે જે એક માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર) છે, તેને જ મનોવિજ્ઞાનમાં પાયરોમેનિયા કહે છે.

પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે. વિશેષ બાબત એ છે કે, જે લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે, તે કામ કરવું તેમના માટે મજબૂરી બની જાય છે. જો તેઓ આ કામ ન કરે અથવા કામ કરવાનું બંધ કરે તો બેચેની, ગભરાહટ, અનિચ્છનીય વિચારો આવવા લાગે છે, તેથી મજબૂરીમાં તે આ કામ કરે છે. અને વ્યક્તિ સમજે છે તે કામ કરવું જોખમી હોય શકે છે તેમજ તે કરી રહ્યું છે તે ખોટું છે તે, જાણતા હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી, જો કે પીડિત વ્યક્તિને પોતે વારંવાર એવું નહીં કરે, કરવાના વિચારો તેના મગજ તરફથી મળતા હોય છે.

મનોવિજ્ઞાન ભવનનાં સર્વેમાં સામે આવેલી મહત્વની બાબતો

– પાયરોમેનીયા ધરાવતા લગભગ 90% વ્યક્તિઓ યુવાન પુરુષો છે.

– જેને પાયરોમેનીયા હોય છે તે દર 6 અઠવાડિયાની આસપાસ આ અસામાન્ય વર્તન શરૂ કરે છે.

– લક્ષણો તરુણાવસ્થા દરમિયાન શરૂ થઈ શકે છે અને પુખ્તાવસ્થા સુધી અથવા ત્યાં સુધી ચાલે છે.

– પાયરોમેનિયાની શરૂઆત 3 વર્ષની ઉંમરે થઈ શકે છે.

પાયરોમેનિયા લાગુ પડવાના મુખ્ય કારણો

જે વ્યક્તિ આવેગાત્મક સમસ્યાઓથી પીડાય છે અને વ્યક્તિગત રીતે ભૂતકાળમાં કેટલીક બાબતોને લઈને હતાશા, ચિંતા, ડિપ્રેશનનો ભોગ બનેલ હોય છે, તેના કારણે વ્યક્તિમાં રોષ પેદા થાય છે. આ અવ્યવસ્થામાં, અસંતોષકારક વ્યક્તિત્વની હાજરી પ્રવર્તતી રહે છે, તેમજ સરેરાશથી આઇક્યુ ઓછો હોવો, (જો કે આ બધા કિસ્સાઓમાં સાચું નથી) બાળપણમાં દુર્વ્યવહાર ભોગ બનવું, જાતીય શોષણનો ભોગ બન્યા હોય, ઉચ્ચ સ્તરે હતાશા, આવેગ નિયંત્રણનો અભાવ, હીનતાભાવ, પોતાના મૂલ્યને વધારવાની તીવ્ર ઈચ્છા, માનસિક અસ્વસ્થ હોવું, મગજના રસાયણો, વધુ સમય તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો, અથવા આનુવંશિકતાના કેટલાક અસંતુલનને સંબંધિત હોઈ શકે છે.

સંશોધનોના આધારે કેટલાંક કારણો જાણવા મળે છે. જેમ કે, ડ્રગ્સનો દુરૂપયોગ, સામાજિક કુશળતા અથવા બુદ્ધિ ખામી, હેતુપૂર્વક એક કરતા વધારે જગ્યાઓ પર આગ લગાડવી, આગ લગાડતા પહેલા તીવ્ર તણાવની સ્થિતિ, આગ લગાડીને અથવા આગ જોઈને આનંદનો અનુભવ કરવો, એક પ્રકારના લાભ મેળવવા (પૈસાની જેમ), વૈચારિક કારણોસર ગુસ્સો અથવા વેર વ્યક્ત કરવા, અન્ય ગુનાહિત કૃત્યને આવરી લેવા માટે, પોતે અન્યથી અલગ છે તેવું બતાવવા માટે અને અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર બનવા તેમજ ન્યુરોબાયોલોજીકલ સ્તરે જોઈએ તો, મગજમાં રહેલ ન્યુરોટ્રાન્સમીટર્સ જેમકે, સેરોટોનિન અને ડોપમાઇન અને પ્રમાણ ઘટવું, તેવી જ રીતે, આવેગો અને લાગણીઓના સંચાલનને કારણે ટેમ્પોરલ લોબ-લિમ્બીક સિસ્ટમમાં અવ્યવસ્થા, અને ફ્રન્ટલ લોબ અને ઓર્બિટોફ્રન્ટલ કોર્ટેક્સ જે વર્તન અવરોધવાની પ્રક્રિયાને ખાસ અસર કરે છે.

આ આવેગ નિયંત્રણ મેળવવું અને મનોચિકિત્સા

આવેગ નિયંત્રણ, આત્મ-નિયંત્રણ કરવુ, મનો-શિક્ષણ, સમસ્યા હલ કરવાની કુશળતા, આંતર વ્યક્તિત્વપૂર્ણ સંચાર વ્યૂહરચના શીખવી, અને ક્રોધ, ગુસ્સાનું નિયમન કરવું, સંઘર્ષનું નિરાકરણ જલ્દી લાવવું, જ્યારે કેટલાક કિસ્સાઓમાં, મનોરોગ ચિકિત્સાને ડ્રગ થેરેપી સાથે જોડીને આ ઇમ્પલ્સ નિયંત્રણના અભાવની સારવાર આપવામાં આવે છે. પિરોમેનીયા એ એક દુર્લભ વિકાર છે. તેની સારવાર મુખ્યત્વે બોધનાત્મક-વર્તણૂકીય ઉપચાર, મનોવૈજ્ઞાનિક વર્તન સુધારણા તકનીકીઓ, વિરોધાભાસી નિરાકરણ તકનીકીઓ, તણાવના સ્તરની સ્વ-તપાસ અને ડીપ મસલ્સ રિલેક્સશન ટેક્નિક દ્વારા કરવામાં આવે છે. આ તકનીકો વ્યક્તિની સમસ્યાનો સામનો કરવામાં મદદરૂપ બને છે. અને કેટલીક વખત એન્ટીડિપ્રેસન્ટ્સ, જેમ કે પસંદગીયુક્ત સેરોટોનિન રીઅપપેક ઇન્હિબિટર(એસએસઆરઆઈ) ચિંતા વિરોધી દવાઓ કે એન્ટિપાયલેપ્ટિક દવાઓ આપવી પડે છે. તેમજ યોગ, ધ્યાન, પ્રાણાયામ પણ આ રોગનો ઈલાજ કરવામાં મદદરૂપ બને છે.

No comments:

Post a Comment