Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

18 July 2021

ડેમોફોબિયા - ભીડનો ભય

ડેમોફોબિયા - ભીડનો ભય

સર્વે:કોરોના બાદ 70.4% લોકોને ભીડવાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં તકલીફ પડે, 65%ને કોઈના ઘરે જવામાં ભય લાગે છે, આ બીમારીનું નામ ડેમોફોબિયા


મનોવિજ્ઞાન ભવન દ્વારા 621 લોકો પર સર્વે કરાયો, જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા

હાલ વર્તમાનપત્ર અને ટીવીમાં જોઈએ છીએ કે લોકો પ્રવાસના સ્થળે ઉમટી પડ્યા છે અને લોકોએ ભેગા થવાનું શરૂ કર્યું છે. પણ જેના ઘરમાં લોકોએ કોરોના ભોગવ્યો અને કોઈનું મૃત્યુ થયું તે પરિવારનું દર્દ અલગ છે. તેઓ આજે પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે. ગુગલ ફોર્મના માધ્યમ દ્વારા એવા લોકો પાસેથી જેમના ઘરમાં કોરોના આવ્યો હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો પાસેથી માહિતી એકઠી કરવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવીએ ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ ગુગલફોર્મ દ્વારા 621 લોકો પાસેથી માહિતી એકઠી કરી. જેમાં કોરોના બાદ 70.4% લોકોને ભીડવાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને 65%ને કોઈના ઘરે જવામાં ભય લાગે છે.

મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં પૂછાયેલા સવાલો

પ્રશ્ન: કોરોના સમય પહેલા તમને ભીડમાં જવું અને લોકો સાથે રહેવું ગમતું હતું?
જવાબ: 77.8% ના મતે 'હા' અને 22.2% ના મતે 'ના'

પ્રશ્ન: શું હવે ક્યારેક 10થી15 લોકો ભેગા થયા હોય ત્યાં જતા પણ ભય લાગે છે?
જવાબ: 60% ના મતે 'હા' અને 40% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડમાં જવાનું તમે ટાળો છો?
જવાબ: 85.2% ના મતે 'હા' અને 14.8% ના મતે 'ના'

પ્રશ્ન: કોઈ દુકાનમાં ખરીદી કરવા જાવ અને 2કે 3 ગ્રાહક હોય તો પણ ત્યાં જવાનું ટાળો છો?
જવાબ: 51.9% ના મતે 'હા' અને 48.1% ના મતે 'ના'

પ્રશ્ન: ફરવા જવામાં કે કોઈના ઘરે જવામાં ભય લાગે છે?
જવાબ: 65% ના મતે 'હા' અને 35% ના મતે 'ના'

પ્રશ્ન: તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ભય લાગે છે?
જવાબ: 55.6% ના મતે 'હા' અને 44.4% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડ વાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં પણ ક્યારેક તકલીફ પડે છે?
જવાબ: 70.4% ના મતે 'હા' અને 29.6% ના મતે 'ના'

પ્રશ્ન: વર્તમાન પત્રમાં ભીડ જોતા કોરોનાના વિચાર આવવા લાગે છે?
જવાબ: 51.9% ના મતે 'હા' અને 48.1% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડ જોતા ગુસ્સો કાબુમાં ન રહેતો હોય એવું લાગે છે?
જવાબ: 66.7% ના મતે 'હા' અને 33.3% ના મતે 'ના'

પ્રશ્ન: શું ભીડને કારણે માર્કેટમાં જવાનું બંધ કર્યું છે?
જવાબ: 63% ના મતે 'હા' અને 37% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડના ભયને લીધે ઓનલાઈન ખરીદી શરૂ કરી છે?
જવાબ: 55.6% ના મતે 'હા' અને 44.4% ના મતે 'ના'

શું છે ડેમોફોબિયા?

ગ્રીક ભાષામાં ડેમો એટલે ભીડ અને ફોબિયા એટલે ડર. ડેમોફોબિયા એટલે ભીડનો ભય. જેને બીજા એન્કોલોફોબિયાના નામથી પણ ઓળખાય છે. હાલ કોરોના કાળ ઘણા લોકો ડેમોફોબિયા એટલે કે ભીડના ભયનો ભોગ બન્યા છે. આ ફોબિયાથી પીડાતા લોકો ભીડ અથવા લોકોને જોઈને અકારણ અને અતાર્કિક ભયનો અનુભવ કરે છે. ઉપરાંત ભીડને જોઇને ચિંતાનો અનુભવ કરે છે. ડેમોફોબિયાની પ્રતિક્રિયા શારીરિક તેમજ માનસિક બંને જોવા મળે છે.

લક્ષણો
  • ભીડને જોઈને છાતીમાં દુખાવો થવો, શ્વાસ ચડવો કે શ્વાસ ઝડપી થવો.
  • હૃદયના ધબકારા વધી જવા
  • શરીરમાં ધ્રુજારી આવવી
  • પરસેવો વળવો
  • ગભરામણ થવી
  • અસ્વસ્થતાનો અનુભવ થવો
  • વધારે ચિંતાનો અનુભવ થવો
  • ભીડને જોઇને અકારણ ભય લાગવો
  • પોતાની લાગણીઓ કે વાત ને રજૂ ન કરી શકે
  • એકાંત વધારે ગમે
કારણો

ડેમોફોબિયા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે જેમકે કોઈ ઘટના કે બનાવ, મગજના રસાયણોમાં ખામી વગેરે. હાલના સમયે કોરોના જેવા રોગના કારણે લોકો, લોકો થી દૂર થયા છે. લોકો સાથે મળવાથી કે વધારે લોકો ને જોઈ ને ઘણા લોકોને ચિંતા નો કે ગભરામણ નો અનુભવ થાય છે જેથી ઘણા લોકો આ સમયે ડેમોફોબિયા નો ભોગ બન્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે આખો દિવસ ઘરમાં રહેતા થયા છે, ઘરે બેસીને કામ કરતા થયા છે, બાળકો શાળાએ જતા કે શેરીમાં રમવા જતા અટકી ગયા છે અને ઘરમાં પુરાયા છે.

ઊંડી અસર મગજ પર પડે છે

વૃદ્ધો જે પોતાની ઉંમરના લોકો સાથે બેસીને સત્સંગ કરતા કે મંદિરે જતા એ પણ ઘરમાં પુરાયા છે. ગૃહિણીઓ પણ જે પોતાની સહેલીઓ કે પરિવાર સાથે બહાર જતી તેના બદલે ઘરમાં પુરાઈ ગઈ છે. આ બધી બાબતો ડેમોફોબિયા ને પ્રેરે છે. આ સિવાય ટેલિવિઝન, સોશિયલ મીડિયા, મેગેઝિન, ન્યુઝ પેપર, ફોનની કલરટયુન માં, રસ્તાઓ પરના સ્પિકરોમાં વગેરે જગ્યાઓ એ સતત સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ ને પાલન કરવાનો સંદેશ મળે છે ઉપરાંત વધારે લોકો ભેગા થાય તો તેની સજા આપવામાં આવે છે વગેરે બાબતોની ઊંડી અસર મગજ પર પડે છે જે ડેમોફોબિયા જેવા અસાધારણ અને અતાર્કિક ભયને પ્રેરે છે.

નિષ્ણાતની મદદ જરૂરી બને છે

આવા અસાધારણ ભય નો અર્થ એ નથી કે જે વ્યક્તિ નબળી છે અથવા ગાંડી છે. આથી આવું કંઈ જ ન વિચારતા યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાંતની સલાહ અને મદદ લેવી એ ખૂબ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક, સલાહકાર કે મનોચિત્સકની સલાહ કોઈ જ સંકોચ વગર લેવી એ ખૂબ જરૂરી છે. ડેમોફોબિયા એ વ્યક્તિના રોજિંદા કાર્યોમાં પણ ખલેલ પહોચાડે છે. શાળા, ઓફિસ, સામાજિક મેળાવડો વગેરે જગ્યાએ વ્યક્તિ અસમર્થતા અનુભવે છે. પોતાનું કાર્ય કે ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી આથી નિષ્ણાંતની મદદ જરૂરી બને છે.

માદક પદાર્થોના દુરૂપયોગ માટે પણ પ્રેરાય

ભીડનો ભય અન્ય ઘણી સમસ્યાઓનો પણ પ્રેરે છે જેમ કે, મૂડ ડિસઓર્ડર (મનોદશા વિકૃતિ), ઉદાસીનતા, અસ્વસ્થતા અને આત્મઘાતી વિચારધારા સહિત સામાજિક એકલતા, સંબંધોમાં એકલતા અને અનેક સમસ્યાઓ તરફ દોરી જાય છે. ઘણી વખત વ્યક્તિ પોતાના ભય ને ઓછો કરવા દારૂ અથવા માદક દ્રવ્યો સાથેના પદાર્થોના દુરૂપયોગ માટે પણ પ્રેરાય છે.

ઉપચાર

મનોવિજ્ઞાનના ડેમોફોબિયા દૂર કરવા માટે અનેક તકનીકો નો ઉપયોગ થાય છે. ખાસ કરીને ટોક થેરાપી ( Talk therapy ) દ્વારા ઝડપી પરિણામ મેળવી શકાય છે. આ સિવાય કાઉન્સેલિંગ દ્વારા વ્યક્તિની ભીડ પ્રત્યેની પ્રતિક્રિયા, વિચારધારા, માન્યતા, પૂર્વગ્રહો વગેરે ને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

No comments:

Post a Comment