Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 August 2022

શાળાકીય મનોવિજ્ઞાન

શાળાકીય મનોવિજ્ઞાન


શાળાકીય મનોવિજ્ઞાન(school psychology)નો સંબંધ શાળાઓમાં થતા શિક્ષણ સાથે છે અને તે શૈક્ષણિક મનોવિજ્ઞાનની એક પેટા શાખા છે. બાળક નાનું હોય ત્યારે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, જ્યાં તેને શિક્ષકો વિવિધ વિષયો અંગે શિક્ષણ આપે છે. તે ઉપરાંત તે સહઅભ્યાસક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જેથી તે રમતો, વાદવિવાદો, પ્રદર્શનો, ક્ષેત્ર-મુલાકાતો અંગે શિક્ષણ મેળવે છે. ઉપરાંત શાળાઓમાં એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ હોય છે, જેમાંથી તે પોતાના વ્યક્તિત્વના વિવિધ અંશોનો વિકાસ સાધે છે.

શિક્ષકોએ બાળકોના શારીરિક વિકાસ, ભાવાત્મક વિકાસ, ભાષાવિકાસ તથા વ્યક્તિત્વના વિવિધ અંશોના વિકાસનું જ્ઞાન પણ મેળવવું જરૂરી બને છે, કેમ કે બાળકની શીખવાની શક્તિનો ઘણો આધાર તેના વિવિધ પ્રકારના વિકાસો પર નિર્ભર રહે છે.

શીખવાની પ્રક્રિયા (learning process) એ શાળા મનોવિજ્ઞાનનો કેન્દ્રીય વિષય છે. તેમાં ઉત્પ્રેરણ(motivation)નો ઘણો મોટો હિસ્સો છે. બાળકને જો શીખવાની વસ્તુ અંગે ઉત્પ્રેરણ થાય તો શીખવાની પ્રક્રિયા ત્વરિત બને છે. અન્યથા શિક્ષકના મોટાભાગના પ્રયત્નો વ્યર્થ જાય છે.

શિક્ષકો જ્યારે વિવિધ વિષયો શીખવે છે ત્યારે તે દરેક વિષયની અનેક શિક્ષણપદ્ધતિઓને પ્રયોજી જુએ છે. ઉપરાંત સર્વ વિષયોની શિક્ષણપદ્ધતિઓમાં કેટલાંક સામાન્ય તત્વો હોય છે. આ સર્વની ચકાસણી માટે પરીક્ષાઓ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ તથા સિદ્ધિ કસોટીઓનો ઉપયોગ થાય છે. આ બધાંમાં આંકડાશાસ્ત્રનો ખૂબ ઉપયોગ થાય છે.

શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિસ્ત પાળતાં શીખવવાનું હોય છે. વળી ઘણા વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારની વર્તનસમસ્યાઓ ઊભી થાય છે. તેથી તેમના ઉકેલ માટે શિક્ષકોએ માર્ગદર્શનની વ્યવસ્થા કરવી પડે છે. જ્યારે વિદ્યાર્થી મોટો થઈ કૉલેજમાં જાય છે ત્યારે તેણે ઘણા વિષયો ઝડપથી પોતાની જાતે શીખી લેવા પડે છે, એટલે કે સ્વયંશિક્ષણ દ્વારા ઘણો અભ્યાસ કરવાનો હોય છે.

વિદ્યાર્થીઓના વૈયક્તિક ભેદો (individual differences) જાણવા તથા તેમનું માપન કરવા મનોવૈજ્ઞાનિક માપનનું એક મોટું ક્ષેત્ર ઊભું થયું છે, જેમાં પ્રચુર માત્રામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. અવયવ પૃથક્કરણ (factor analysis) જેવા આંકડાશાસ્ત્રનો ઉદભવ શાળા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાંથી મહદ્અંશે થયો છે.

ઔપચારિક શિક્ષણ (formal education) સાથે વિદ્યાર્થીઓએ અનૌપચારિક શિક્ષણના અનેક માર્ગ શાળામાં અપનાવવા પડે છે. તે રમતો, ચર્ચાવિવાદો, પ્રદર્શનો, શૈક્ષણિક સ્થળોની મુલાકાતો વગેરેમાં પણ શાળા દરમિયાન ભાગ લે છે. એટલે ઔપચારિક તેમજ અનૌપચારિક (non formal education) એમ બંને પ્રકારનાં શિક્ષણનો સમાવેશ શાળા મનોવિજ્ઞાનમાં થાય છે.

શિક્ષકોની તાલીમી સંસ્થાઓમાં શાળા મનોવિજ્ઞાનની સર્વ બાબતો અંગે શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષકોને તેમનાથી સજ્જ કરવામાં આવે છે. અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોમાં શાળા મનોવિજ્ઞાની  (school psychologist)ની નિમણૂક કરેલી હોય છે. તે વિદ્યાર્થીઓના વૈયક્તિક ભેદોનું માપન કરે છે તથા તેમના અભ્યાસની કચાશ તથા વર્તન સમસ્યાઓના નિકાલ માટે માર્ગદર્શન આપે છે.

No comments:

Post a Comment