Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 October 2021

માનવશાસ્ત્ર (anthropology) પેટાશાખાઓ

માનવશાસ્ત્ર (anthropology)
પેટાશાખાઓ
માનવશાસ્ત્ર માનવીનો સર્વાંગીણ અભ્યાસ કરતું શાસ્ત્ર હોઈ તેનું અભ્યાસક્ષેત્ર ઘણું વિસ્તૃત છે. 20મી સદીમાં બીજા વિશ્વયુદ્ધ પછી તેની પેટાશાખાઓ દ્વારા વિશેષીકરણ શરૂ થયું. આજે તેણે ભૌતિક વિજ્ઞાનો તથા સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ વિકસાવી માનવ, તેનાં કાર્યો તથા સમસ્યાના સંદર્ભમાં વિવિધ પેટાવિજ્ઞાનો વિકસાવ્યાં છે. જીવવિજ્ઞાનના સાથ દ્વારા ‘શારીરિક માનવવિજ્ઞાન’, ગણિતના સાથ દ્વારા ‘મેથેમૅટિકલ ઍન્થ્રોપૉલોજી’, ભૂગોળના સાથ દ્વારા ‘ઈકોલૉજિકલ ઍન્થ્રોપૉલોજી’, પુરાતત્વના સાથથી ‘આર્કિયોલૉજિકલ ઍન્થ્રોપૉલોજી’, ભાષાશાસ્ત્રના સાથથી ‘લિંગ્વિસ્ટિક ઍન્થ્રોપૉલોજી’, અર્થશાસ્ત્રના સાથથી ‘ઈકોનૉમિકલ ઍન્થ્રોપૉલોજી’, સમાજશાસ્ત્રના સાથથી ‘સોશ્યલ ઍન્થ્રોપૉલોજી’, શિક્ષણશાસ્ત્રના સાથથી ‘એજ્યુકેશનલ ઍન્થ્રોપૉલોજી’, રાજ્યશાસ્ત્રના સાથથી ‘પોલિટિકલ ઍન્થ્રોપૉલોજી’ જેવાં આગવાં પેટાશાસ્ત્રો કે શાખાઓ વિકસાવી છે. તે ઉપરાંત માનવજીવનનાં પાસાંઓને સમજવા માટે ‘રુરલ ઍન્થ્રોપૉલોજી’, ‘અર્બન ઍન્થ્રોપૉલોજી’, ‘મરીન ઍન્થ્રોપૉલોજી’, ‘ઇન્ડસ્ટ્રિયલ ઍન્થ્રોપૉલોજી’, ‘વિમેન ઍન્થ્રોપૉલોજી’, ‘એજિંગ ઍન્થ્રોપૉલોજી’, ‘મેડિસિન ઍન્થ્રોપૉલોજી’, ‘ઍન્થ્રોપૉલોજી ઑવ્ ડેવલપમેન્ટ’, ‘એપ્લાઇડ ઍન્થ્રોપૉલોજી’ ‘સ્પિરિચ્યુઅલ ઍન્થ્રોપૉલોજી’ વગેરે જેવી આગવી પેટા વિજ્ઞાન-શાખાઓ પણ તેણે વિકસાવી છે. અહીં તેની મુખ્ય શાખાઓ વિશે વિચાર કરીશું.


શારીરિક માનવશાસ્ત્ર : આ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને તેનાં પેટાવિજ્ઞાનો માનવસ્વરૂપશાસ્ત્ર (human morphology), માનવ-ઉત્પત્તિશાસ્ત્ર (human genetics), માનવમિતિશાસ્ત્ર (anthropometery), રક્તવિજ્ઞાન (serology) વગેરેની મદદ લઈને માનવીનું ‘એક જૈવકીય પ્રાણી’ તરીકે તેની ઉત્પત્તિ, શારીરિક અવયવોનું બંધારણ, ઘાટ, લંબાઈ-પહોળાઈ, રંગ-રૂપ, પ્રકૃતિ તથા તેની વિભિન્નતાઓનું અધ્યયન કરે છે. સસ્તન પ્રાણીઓ, વાનર, એપ વાનર, આદિમાનવ, મેધાવી માનવથી આધુનિક માનવશરીર, તેનાં લક્ષણો, પ્રજાતિજૂથો અને તેનું વર્ગીકરણ વગેરેને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં રક્તવિજ્ઞાનનો ઉપયોગ આજે મહત્વનો બન્યો છે. મનુષ્ય અંદાજે પાંચ કરોડ વર્ષો પહેલાં સૃષ્ટિમાં આવ્યો હશે. તે વાંદરામાંથી ઊતરી આવ્યો નથી, તથા ઉચ્ચ કોટિના ગોરીલા, ચિમ્પાન્ઝીની જાતનો પણ નથી તે વાત આ વિજ્ઞાને સ્પષ્ટ કરી છે. માનવ તેના શારીરિક બંધારણ અને મગજના વિકાસને લીધે પશુજગતથી જુદો પડ્યો છે તથા બુદ્ધિ તથા હાથનો ઉપયોગ કરી તેણે સાધનો અને સંસ્કૃતિનું સર્જન કર્યું છે. માનવશરીરની શારીરિક ભિન્નતાઓ છતાં માનવજીવન એકસરખું છે તથા જાતિજૂથોના ભેદો અને ભ્રમોને દૂર કરવામાં આ વિજ્ઞાને ઘણો મોટો ફાળો આપ્યો છે. માનવશરીરના વિકાસમાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે. તથા માનવે અનેક કારણોસર ઘણાં સ્થળાંતરો કર્યાં છે, તેથી આંતરપ્રજનન અને સંમિશ્રણ ઘણું થયું છે. પરિણામે માનવશરીરનાં લક્ષણોમાં ભેળસેળ થયેલી છે. તેથી આજે કોઈ શુદ્ધ જાતિજૂથો જોવા મળતાં નથી. આધુનિક શારીરિક માનવશાસ્ત્ર આજે માત્ર શારીરિક રચનાની માહિતી પૂરતું મર્યાદિત ન રહેતાં તે વિશ્વનાં વિવિધ વસતીજૂથોના રચનાતંત્રને તથા તેની કાર્યવાહી, તેનાં ક્ષય અને વૃદ્ધિ, વિકાસગતિ (growth rate) વગેરે પણ સ્પર્શતું રહ્યું છે. વધુમાં અમેરિકન પ્રો. શેરવુડ વૉશબર્નના મત મુજબ તેને ‘નૂતન શારીરિક માનવશાસ્ત્ર’ (new physical anthropology) તરીકે ઓળખાવી તેના અભ્યાસમાં માનવઉત્પત્તિને કેન્દ્રમાં રાખી માનવજૂથોમાં ભૂતકાળ અને વર્તમાનમાં થતાં જનીનિક (genetic) રૂપાંતરો વિશે સંશોધનો કરવા પર ભાર મૂકવામાં આવે છે.

સાંસ્કૃતિક માનવશાસ્ત્ર : માનવે પોતાના જીવનને ચલાવવા માટે પોતાની બુદ્ધિ અને અંગોનો ઉપયોગ કરીને કોઈ ને કોઈ પ્રકારની એક વ્યવસ્થાનું સ્વરૂપ ઊભું કર્યું છે. આ સમગ્ર વ્યવસ્થાસ્વરૂપને ‘સંસ્કૃતિ’ કહેવામાં આવે છે. આ સંસ્કૃતિના સર્જનથી તે પશુસમાજથી જુદો પડ્યો છે. આ સંસ્કૃતિ માનવસમાજનો વારસો છે. પરંતુ તે શારીરિક અંગોની જેમ આનુવંશિક નથી. તે બુદ્ધિ તથા અંગોથી શીખી શકાય છે. આમ સંસ્કૃતિ માનવે શીખેલા વ્યવહારોનો સરવાળો કે સંકલન છે, જે તેનો વિશાળ અનુભવવારસો છે. તે માનવથી પર છે. માનવવ્યવહારોનું તે નિયંત્રણ કરે છે તથા માનવસમાજનું પોષણ કરે છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્ર માનવીની આ ‘સંસ્કૃતિ’નો અભ્યાસ કરે છે. તેથી કેટલાક તેને ‘સંસ્કૃતિશાસ્ત્ર’ (culturology) નામે પણ ઓળખાવે છે. આ સંસ્કૃતિનાં ભૌતિક અને અભૌતિક એમ બે પાસાં છે. ભૌતિક સંસ્કૃતિમાં સાધનો, વાસણો, વસવાટવ્યવસ્થા, આવાસરચના, પોશાક, શૃંગાર, હથિયારો વગેરેનું અધ્યયન થાય છે. જ્યારે અભૌતિક સંસ્કૃતિમાં ભાષા, કલા, સંગીત, નૃત્ય, વાદ્યો, રિવાજો, પ્રથાઓ, રૂઢિઓ, માન્યતાઓ, શ્રદ્ધાઓ તથા કુટુંબ, લગ્ન, સગાઈસંબંધ, કુળ, રાજ્ય, અર્થ, ધર્મસંસ્થાઓ, સામાજિક નિયમનવ્યવસ્થા, ખેતી, શિકાર, પશુ-પંખીપાલન અને તેનો ઉપયોગ કરવાની કલા, મચ્છીમારી, સિંચાઈ, વેપાર, વિનિમયવ્યવસ્થા, નાણાવ્યવસ્થા, સંપત્તિની માલિકીની ભાવના તથા તેનાં સ્વરૂપો, લિપિ, વણાટકામ, છપાઈ, જમીન, પાણી અને હવા તથા અંતરીક્ષમાં ચાલવાનાં તથા લડવાનાં સાધનો, ઍટમ અને ટૅકનૉલૉજીની શોધ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ઉપરાંત તે બધી વ્યવસ્થામાં આવતાં પરિવર્તનો, સમસ્યાઓ તથા તેનાં પરિબળો વગેરેના અભ્યાસવિસ્તારનો સમાવેશ કરે છે. આ વિશાળ ફલકવાળા અભ્યાસવિસ્તાર માટે તે વિવિધ સામાજિક વિજ્ઞાનોનાં જ્ઞાનોનો ઉપયોગ કરે છે અને વિભિન્ન માનવસમુદાયો, એથ્નિક જૂથો, આદિમ-જાતિઓ, પ્રજાતિજૂથો, ગ્રામીણ તથા શહેરી સમુદાયો, ઔદ્યોગિક સમુદાયો વગેરેની આંતરવ્યવસ્થા અને વર્તનો, સર્જનોનો–તેના સમગ્રપણા(holistic opproach)ના અભિગમથી અભ્યાસ કરે છે.

માનવજાતિવિજ્ઞાન : એ સાંસ્કૃતિક માનવશાસ્ત્રની મહત્વની શાખા ગણાય છે. તેમાં વિવિધ માનવસંસ્કૃતિઓ અને સમૂહોના જીવન-ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે છે. તે ખાસ કરીને પ્રાથમિક કે આદિમ જાતિસમુદાયોનાં કુટુંબ, લગ્ન, સગાઈ, અર્થપ્રવૃત્તિઓ, કાયદો, સરકાર, ધર્મ, ભૌતિક, સાંસ્કૃતિક ટૅકનૉલૉજી, ભાષા, ચિત્રકલા, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, લોકવાર્તાઓ, પૌરાણિક આખ્યાનો વગેરે – આદિ માનવસમાજનાં સર્વ પાસાંઓનો તથા તેમનો તુલનાત્મક અભ્યાસ કરે છે.

માનવજાતિવર્ણન પણ સાંસ્કૃતિક માનવશાસ્ત્રનું એક મહત્વનું અંગ છે. અગાઉ વિવિધ મુસાફરો, પ્રવાસીઓ, વેપારીઓ, મિશનરીઓ અને વહીવટદારો દ્વારા વિવિધ માનવસમુદાયો વિશેનાં – રિવાજો, પ્રથાઓ, ધર્મ, સંસ્કૃતિ વગેરે અંગેનાં–વર્ણનો બહાર આવ્યાં ત્યારે તે માનવજાતિવર્ણનોને નામે ઓળખાતાં હતાં, જે સાંસ્કૃતિક માનવશાસ્ત્રના વિકાસના પ્રાથમિક સ્વરૂપ કે તબક્કારૂપ હતાં. એ પછી 19મી સદીમાં તાલીમ પામેલા વિવિધ માનવશાસ્ત્રીઓ પહેલપ્રથમ અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસ(1858–1942)થી પ્રત્યક્ષ નિરીક્ષણો અને મુલાકાતની પદ્ધતિ દ્વારા આદિમ સમાજો વિશે શાસ્ત્રીય વર્ણનો આપવાની શરૂઆત થઈ.

સામાજિક માનવશાસ્ત્ર (social anthropology) : સાંસ્કૃતિક માનવશાસ્ત્ર સમગ્ર સંસ્કૃતિ અને તેનાં વિવિધ સ્વરૂપોનો અભ્યાસ કરે છે. જ્યારે સામાજિક માનવશાસ્ત્રમાં સંસ્કૃતિના ભાગરૂપ એવા સમાજનાં સામાજિક માળખાંઓ(social structures)ના અભ્યાસને કેન્દ્રસ્થાને રાખીને સામાજિક સંબંધોનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે છે. આ વિજ્ઞાનનો વિકાસ ઇંગ્લૅન્ડમાં 1920ની આસપાસ એમિલ ડર્ખેમ, રેડક્લિફ બ્રાઉન, મેલિનૉવ્સ્કીના વિચારોમાંથી થયો છે. સામાજિક ઘટનાઓને સમજવા માટે ઉત્ક્રાન્તિવાદી અભિગમને બદલે રચનાતંત્રીય અને કાર્યવાદી અભિગમ દાખલ થયો છે. તથા સામાજિક સંસ્થાઓ અને તેના આંતરગુંફનને સમજવા તુલનાત્મક અભ્યાસની શરૂઆત થાય છે. લૉવી સ્ટ્રોસ (1949) દર્શાવે છે કે માનવીને બે પ્રકારે દર્શાવી શકાય : (1) ઉપકરણનિર્માણકારી, (2) સામાજિક પ્રાણી તરીકે. માનવીનો જો ઉપકરણનિર્માણ કરનાર પ્રાણી તરીકે અભ્યાસ કરીએ અને પછીથી સામાજિક પ્રાણી તરીકે સંસ્થાઓના અભ્યાસને અગત્ય આપીએ તો તે સાંસ્કૃતિક માનવશાસ્ત્રનો વિષય બને છે. પરંતુ માનવીને પ્રથમ સામાજિક પ્રાણી તરીકે સ્વીકારી તેણે વિકસાવેલી સામાજિક સંસ્થાઓ અને સંબંધોના અભ્યાસને મહત્ત્વ આપી પછી તેનાં ઉપકરણોના નિર્માણને વિચારીએ તો તે સામાજિક માનવશાસ્ત્રના અભ્યાસનો વિષય બને છે.

આમ, સમાજ-માનવશાસ્ત્ર સમગ્ર સંસ્કૃતિનો ‘whole’ તરીકે અભ્યાસ કરતું નથી. પરંતુ સંસ્કૃતિના ભાગરૂપ સામાજિક સંસ્થાઓ કે – કુટુંબ, સગાઈસંબંધો, લગ્ન, અર્થ, ધર્મ, રાજ્યસંસ્થાઓ, માન્યતાઓ, તેની વ્યવસ્થા તથા નિયમનતંત્રોનું તુલનાત્મક અધ્યયન કરનારું શાસ્ત્ર છે. તેથી કેટલાક વિદ્વાનો તેને ‘તુલનાત્મક સમાજશાસ્ત્ર’ (comparative sociology) તરીકે પણ ઓળખાવે છે. પરંતુ તે પોતાના અભ્યાસમાં આદિમ સમુદાયોને પ્રાથમિકતા જરૂર આપે છે.

સાધારણ રીતે વૈજ્ઞાનિક અભ્યાસોમાં અભ્યાસનું સ્વરૂપ સરળતામાંથી જટિલતા તરફની પ્રક્રિયાવાળું હોય છે. એટલે સરળ સમુદાયોના અધ્યયનથી જટિલ વિશાળ સમુદાયોના અધ્યયન તરફ જવું સુગમ હોય છે. આદિમ સમુદાયો કદમાં નાના, પ્રાથમિક જીવનસ્વરૂપની સમાજરચનાવાળા, સરળ અને સાદું રચનાતંત્ર ધરાવનારા હોઈ તેમનું અધ્યયન, આધુનિક જટિલ સામાજિક રચનાતંત્રો કરતાં આવા સરળ સમુદાયોના અધ્યયનથી જે જ્ઞાન, અનુભવ મળે છે તેના આધારે આધુનિક, વિશાળ અને જટિલ સમુદાયોને સમજવામાં તથા તેનું વિશ્લેષણ કરવામાં સહાયક બને છે. બીજું, આદિમ સમુદાયો માનવ-સાંસ્કૃતિક વારસાની કડી સમા હોઈ તેમના અભ્યાસો જેટલા જલદીથી થઈ શકે તેટલા જલદીથી કરી લેવા જરૂરી છે; તથા સંપર્કોને પરિણામે ઝડપી પરિવર્તનોથી તેમનાં વિશિષ્ટ સાંસ્કૃતિક તત્વો નાશ પામે તે પહેલાં તેમના અધ્યયન દ્વારા તેમનો વારસો જાળવવા શક્ય તેટલા ઉપાય કરી લેવા તે આવશ્યક છે.

ત્રીજું, તેમનામાં માનવજીવનની વાસ્તવિકતા અને સ્વાભાવિકતાની ઝલક વધુ જોવા મળે છે. માનવશાસ્ત્રી કલખોન (1949) દર્શાવે છે કે માનવસભ્યતાને વધુ સારી રીતે સમજવા માટે આદિમ સમુદાયોનું અધ્યયન એક સરળ માર્ગ છે. રેડમંડ ફર્થ (1964) દર્શાવે છે કે તેથી સૂક્ષ્મદર્શીય અભ્યાસો કરવામાં સરળતા રહે છે, જે દ્વારા બૃહદ્ર્શીય (macrocosm) અભ્યાસો કરવાની તક મળે છે. ઉપરાંત વિશ્વમાં ઘણા આદિમ સમુદાયો સભ્ય સમાજના સંપર્કમાં આવવાને કારણે જે સાંસ્કૃતિક સંઘાત થયો છે તેથી તેઓ તેમનાં સાંસ્કૃતિક મૂલ્યો ગુમાવતા જાય છે. આ સ્થિતિ અમેરિકામાં રેડ ઇંડિયનોમાં, દક્ષિણ અમેરિકામાં, આફ્રિકા, અગ્નિ એશિયા, ઑસ્ટ્રેલિયા, ભારતમાં ટોડા, નાગા તથા આસામની જાતિઓમાં વિશેષ જોવામાં આવે છે. વેરિયર એલ્વિન (1943) તેને સાંસ્કૃતિક પતન(Loss of Nerves)ની સ્થિતિ ગણાવે છે. આવા સમુદાયો અત્યંત નિરાશાજનક સ્થિતિમાં છે. પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઈ છે અને નવામાં શ્રદ્ધા બેઠી નથી. તેથી ત્રિશંકુ જેવી સ્થિતિ પેદા થઈ છે. આમ સાંસ્કૃતિક પરિવર્તનની સ્થિતિએ તેમને માટે વિશિષ્ટ સમસ્યાઓ ઊભી કરી છે. આ સ્થિતિ સમાજમાનવશાસ્ત્રીને એક નવી દિશા તરફના અધ્યયન માટે દોરે છે.

વ્યવહારલક્ષી માનવશાસ્ત્ર : માનવશાસ્ત્રની આ પેટાશાખા છે. માનવસમાજોમાં આવતાં પરિવર્તનોને સમજી તેને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ તે અંગેના સિદ્ધાંતોને સ્પષ્ટ કરવા તથા તેમની સમસ્યાઓના ઉકેલ માટે માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનું કાર્ય તે કરે છે. માનવશાસ્ત્ર આદિમ સમાજો અને તેમની સંસ્કૃતિને અભ્યાસમાં મહત્વ આપતું હોઈ શરૂઆતના સમયમાં બ્રિટિશ વહીવટદારો, રાજ્યકર્તાઓ, વેપારીઓ તથા મિશનરીઓ સાથેનો તેમનો સંપર્ક થયો હતો. આ સાંસ્કૃતિક સંપર્કને પરિણામે આદિમ સમાજો પર પોતાના વિચારો, રિવાજો, આચારો, ધર્મ લાદવાના તથા રાજકીય પ્રભુત્વ સ્થાપવાના પ્રયત્નો કરેલા હતા. આદિમ સમાજોએ તેનો સમયે સમયે વિરોધ કર્યો અને તેમાંથી સંઘર્ષો પણ થયા છે. આમ સાંસ્કૃતિક સંપર્કને પરિણામે પેદા થયેલી સમસ્યાઓને સમજવા તથા તેના ઉકેલ માટે માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનું કાર્ય આ વ્યવહારલક્ષી માનવશાસ્ત્રનું ક્ષેત્ર છે.

અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસે 1928માં સૌપ્રથમ માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો. આ ઉપયોગ કેવળ આદિમ સમાજો પૂરતો મર્યાદિત ન રાખતાં સભ્ય સમાજમાં થતા અપરાધ, પ્રજાતીય સમસ્યાઓ, વંશાનુક્રમણ તથા અપરાધની સજા વગેરે બાબતોમાં ઉપયોગ કરવાનું સૂચવ્યું અને પોતે તેનો અમેરિકન ઇંડિયનોના સંદર્ભમાં તથા અન્ય સમુદાયો માટે ઉપયોગ પણ કર્યો. આ પછી રેડક્લિફ બ્રાઉને જણાવ્યું કે ‘સંસ્કૃતિ’ કેવળ વ્યક્તિને નહિ, પરંતુ સમગ્ર સમાજના અસ્તિત્વને તેની સંસ્થાઓ દ્વારા ટકાવી રાખવામાં સહાયક થાય છે. તેથી વ્યક્તિ અને સમાજનું અસ્તિત્વ સરળ અને સુંદર બને તથા માનવસમાજ પ્રકૃતિ તથા જૈવકીય ગુલામીમાંથી મુક્ત થઈ ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત કરે તેમ થવું જોઈએ. આ માટે માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ સમાજના હિત માટે કરવો જાઈએ. મેલિનૉવ્સ્કીના મતે ‘સંસ્કૃતિ’ મનુષ્ય માટે કાર્ય કરે છે. તેથી તે મનુષ્યને પ્રકૃતિ તથા જૈવકીય પ્રાણી તરીકેની ગુલામીમાંથી મુક્ત કરી તેના માનસિક જીવનને ઉચ્ચ સ્તર પર લાવવાનો પ્રયત્ન કરે છે. આમ સાંસ્કૃતિક તત્વોનાં કાર્યોની જાણકારી તથા તેના જ્ઞાનનો ઉપયોગ સમગ્ર માનવસમાજના હિત માટે કરવા પર તેઓ ભાર મૂકે છે.

માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ રીતે કરવામાં આવ્યો છે. માનવશાસ્ત્રે વિશ્વના અનેકવિધ આદિમ સમુદાયોના અભ્યાસો કરીને જગત સમક્ષ વિવિધ માનવ-સમાજોમાં જોવા મળતી સાંસ્કૃતિક ભિન્નતાઓને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે દ્વારા તેઓ જંગલી, અજ્ઞાન, ક્રૂર, પછાત, બુદ્ધિહીન છે તેવા પ્રકારની સભ્ય સમાજોમાં રહેલી ખોટી માન્યતાઓને દૂર કરવામાં મદદ મળી છે. ઘણી એવી સંસ્કૃતિઓ છે જેમનાં તત્વો આધુનિક સમાજોની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. એટલે ગેરસમજો, પૂર્વગ્રહો દૂર કરવામાં તથા માનવ તરીકે સૌ સરખા છે તે ભાવના સ્થાપવામાં ઘણી મદદ મળી છે. શરૂઆતમાં આ શાસ્ત્રના અધ્યયનથી જાતિજૂથોનાં લક્ષણો અંગેની એકાંગી સમજ ઊભી થતાં જાતિજૂથવાદનો વિકાસ થયો અને કાળા-ગોરા, યહૂદી-નૉર્ડિક વગેરે ભેદભાવ ઊભા થયા. પછીના સમયમાં સાચી સમજ પ્રવર્તતાં જાતિજૂથોનાં લક્ષણોની યોગ્ય સમજ અને માનવ-માનવ વચ્ચેની સમાનતાની ભાવનાને વિકસાવવા તરફ સ્તુત્ય પ્રયત્નો થયા છે. કેટલાક વહીવટકર્તાઓએ આદિમ સંસ્કૃતિને સમજ્યા વિના તેમની પ્રથાઓ, રિવાજો, જીવનપદ્ધતિઓમાં ફેરફાર કરવા કાયદા ઘડી અન્યાય કર્યો. દા.ત., ફરતી ખેતી જંગલને નુકસાન કરનાર છે. જમીન અંગેના, જંગલ અંગેના તેમના હક્કોને માન્ય ન રાખ્યા. તેમની આંતરિક ન્યાય અને વહીવટી વ્યવસ્થાના અસ્વીકારને કારણે અનેક સંઘર્ષો પેદા થયા છે. વિવિધ માનવશાસ્ત્રીય અધ્યયનોએ આ બધા અંગે સાચી સમજ દર્શાવી છે. તેથી કેટલાક સંઘર્ષો ટાળી શકાયા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માનવશાસ્ત્રીઓનો ઉપયોગ ખૂબ થયો છે. સૈનિક સેવાઓનાં સંગઠનોમાં, યુદ્ધના સૂચના વિભાગમાં, સૈનિકોની તાલીમમાં, રાજ્ય વિભાગોમાં, આર્થિક યુદ્ધના બૉર્ડમાં તેમણે મહત્વની કામગીરી બજાવી હતી. તેમણે નાગરિકોની નીતિમત્તાનું સ્તર ઊંચું લાવવામાં, તેમનો સહકાર પ્રાપ્ત કરવામાં, તેમની સમસ્યાઓનો ઉકેલ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કોરિયાના યુદ્ધમાં પણ માનવશાસ્ત્રીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. રૂથ બેનિડિક્ટને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં રહેતા જાપાનીઓના નિરીક્ષણને આધારે તેમની સામૂહિક અભિવૃત્તિઓ વિશે અભ્યાસ સોંપાયો હતો, જેમાંથી તેમના રાષ્ટ્રીય ચારિત્ર્ય અંગેનો ખ્યાલ પ્રાપ્ત થયો. બ્રિટનમાં ઔદ્યોગિક સમસ્યાને હલ કરવા એલ્ટન મેયો અને સહાધ્યાયીઓએ માનવશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તે જાણીતું છે. માર્ગરેટ મીડ(1929)ને અમેરિકન તરુણ-તરુણીઓની સમસ્યાઓને સમજવા સામોઆ આદિમ સમાજનાં તરુણ-તરુણીઓના અભ્યાસથી વધુ સમજ પ્રાપ્ત થઈ. મેલિનૉવ્સ્કી(1922)ના ટ્રોબ્રિયન્ડ જાતિનાં રિવાજો, પ્રથાઓ, ઉત્સવો તથા ‘કુલા’ વિનિમયપ્રથાના અભ્યાસથી બ્રિટનના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સમસ્યાઓ પર પ્રકાશ પડ્યો. ઇવાન્સ પ્રિચાર્ડ(1937)ના એઝેન્ડે જાતિના ડાકણવિદ્યા વિશેના અભ્યાસથી સામ્યવાદી રશિયાને સમજવાની એક વધુ તક મળી.

અરવિંદ ભટ્ટ

No comments:

Post a Comment