Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

16 June 2021

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: .....અમે વેક્સિન લીધી નથી અને લેવી પણ નથી


અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા:સૌ.યુનિ. ટીમ ચોટીલામાં, 54% લોકોએ કહ્યું- કોરોના મટતા અમે માનતા પૂર્ણ કરવા આવ્યા, 72%એ કહ્યું- અમે વેક્સિન લીધી નથી અને લેવી પણ નથી


ચોટીલામાં ઉમટેલું માનવ મહેરામણ.
  • ચોટીલામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા ચામુંડ માતાજીના મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને તેઓ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. દર્શન કરવા આવેલા મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. ચોટીલામાં આ લોકો કોરોનાની માનતા પુરી કરવા અને ત્રીજી લહેર ન આવે તે માટેની માનતા લેતા નજરે પડ્યા હતા. આ લોકોને પૂછતા 54 ટકા લોકોએ કહ્યું હતું કે, અમે કોરોના મટતા માનતા પુરી કરવા આવ્યા છીએ. બીજી તરફ 72 ટકા લોકોએ કહ્યું હતું કે, અમે વેક્સિન લીધી નથી અને લેવાના પણ નથી.

દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી

આજે મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા લોકોની માનસિકતા જાણવા અને વેક્સિનેશન કેટલાએ કર્યુ છે તે જાણવા ગઈ હતી. દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી, સવારના 9થી 12 વાગ્યા સુધીમાં લોકોને પૂછીને જાણ્યું તો મોટાભાગના લોકોએ કોરોનાની માનતા લીધી હતી, પરિવારના સભ્યોને કોરોના ન થાય અને પોતાને ન થાય એ માટે માનતા લીધી હતી. જેમાંથી 54% લોકોએ સ્વીકાર્યું કે અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. વેક્સિનેશન કરાવ્યું કે કેમ તેનાં જવાબમા 72% લોકોએ ના કહી કે હજુ કરાવ્યું નથી અને કરાવવું પણ નથી.

વેક્સિનને લઇને લોકોના મનમાં ઘર કરી ગયેલી વાતો

કારણ પૂછતાં કહ્યું કે વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, લોકોના મૃત્યુ થયા છે, રસી લેવાથી કોરોના થાય છે. માતાજીની રક્ષા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. મોટામોટા લોકો પણ માનતા લે છે તો અમે તો સાવ નાનાં માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય? મનોવિજ્ઞાન ભવનનું સૂચન આસ્થા અને શ્રદ્ધા એ ભારતની જનતાનો રૂહ છે માટે સરકારે એવો નિયમ લાવવો જોઇએ કે જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જોઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જો આવી થાય તો શ્રદ્ધા એ વેક્સિનેશનમાં મદદરૂપ થશે.


ચોટીલામાં દર્શન કરવા આવેલા મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા.

જસદણ પંથકમાં બહાનાબાજીનું જોર જોવા મળ્યું

જસદણ પંથકમાં 45 ટકાથી વધુ લોકો કોરોનાની રસી લઈ ચૂક્યા છે. પરંતુ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રસી ન લેવા માટે લોકો દ્વારા આરોગ્ય કર્મીઓ સમક્ષ અનેક બહાનાઓ આગળ ધરવામાં આવી રહ્યાં છે. જેમાં અમુક લોકો કહે છે કે, અમારે માતાજીની આડી છે, અમારા ભુવા ના પડે છે એટલે એ લે તો અમે લઈએ, અમારા ગામમાં કોરોના હતો જ નહીં એટલે અમે રસી ન લઈએ, સરકાર બધાને મારી નાખવા માંગે છે, 3 વર્ષમાં બધા રસી લેવા વાળા મરી જવાના છે, રસી લીધા પછી 3 દિવસ સુધી પથારીમાં રહેવું પડે છે, અમે વાડીયુંમાં કામ કરવાવાળા અમને કોઈ દિવસ કંઈ થયું જ નથી તો રસી શું લેવી? અમે કોઈ દિવસ ઈન્જેક્શન નથી લીધું એટલે અમે આ રસી નહી લઈએ. જેવા અનેક જવાબો લોકો દ્વારા આરોગ્ય અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે.

ઉપલેટાના અમુક ગામમાં તો સરપંચ જ ગામમાં આવવાની ના પાડી દે છે

એવું પણ જાણવા મળ્યું હતું કે ઉપલેટા પંથકના અમુક ગામમાં કોરોના સંક્રમણ બાદ મોત થતાં લોકો એટલા બધાં ડરી ગયા છે કે રસી લેવાની પણ ના પાડી દે છે અને ગામના સરપંચ જ આરોગ્ય કર્મચારીને કહી દે છે કે અહીં ધક્કો ખાવાની જરૂર નથી. અમારા ગામમાં કોઇને રસી લેવાની નથી.

જેતપુરમાં હેલ્થકર્મી સાથે ગેરવર્તન

જેતપુર પંથકમાં ઘરે ઘરે વેક્સિન આપવા જતા હેલ્થ કર્મચારીઓને ખૂબ જ કડવા અનુભવ થાય છે તો ક્યાંક અપમાનિત થવું પડે છે અને કેટલાક કિસ્સામાં શારીરિક હુમલો થયાના કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. જેમાં કર્મચારીઓ જીવ બચાવીને ભાગવું પડ્યાના દાખલા મળ્યા છે. જે લોકોમાં અક્ષરજ્ઞાન નથી તેને સમજાવવા મુશ્કેલ જ નહી પણ જાણે કે લોઢાના ચણા ચાવવાથી પણ કઠીન કામ બની ગયું છે. લોકો નીતનવા બહાના કરીને રસી લેવાનું ટાળી રહ્યા છે. લોકો સુધી સરકાર અને તંત્ર વેક્સિન પહોંચાડી શક્યા પણ તેના​​​​​​​ માટે ની જાગૃતિ ન હોવાના લીધે તંત્રના હાથ હેઠાં પડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર - રાજકોટ 

No comments:

Post a Comment