Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

22 January 2026

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ : બુદ્ધિકસોટીઓ

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ : બુદ્ધિકસોટીઓ




વ્યક્તિત્વના આંતરિક ગુણોના આવિષ્કૃત સ્વરૂપના વ્યવસ્થિત અભ્યાસ પરથી સંખ્યાત્મક સ્વરૂપ આપીને પરીક્ષા કરવી તે માનસિક પરીક્ષણ-કસોટીની પદ્ધતિ મનોવિજ્ઞાનની અન્ય પદ્ધતિ કરતાં વધારે વૈજ્ઞાનિક ગણાય છે. તેનાં કારણો નીચે મુજબ છે :
 (1) પ્રાપ્ત થયેલી માહિતીની યથાર્થતા (validity), 
(2) પ્રાપ્ત થયેલી માહિતીની વસ્તુલક્ષિતા (objectivity), 
(3) માહિતીની ચકાસણી કે પરીક્ષણની સુવિધા, 
(4) વર્તન વિશેનું વસ્તુલક્ષી અને સંખ્યાત્મક જ્ઞાન, (5) એક જ વ્યક્તિના વ્યક્તિત્વના વિવિધ પાસાંની તુલના, 
(6) વિવિધ વ્યક્તિઓ વચ્ચે એક જ માનસિક પરિબળને અનુલક્ષીને થતી તુલના, 
(7) સંખ્યાત્મક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિના ઉપયોગની સુગમતા, 
(8) વ્યક્તિત્વના સામાન્યીકરણમાં વધારે ઊંડા જવાની સુગમતા.

આ પ્રકારના પરીક્ષણનો ઉદભવ ફ્રાંસમાંથી 1905થી થયો. આલ્ફ્રેડ બીને (1857–1911) અને તેના મદદનીશ સાયમને વિવિધ ઉંમર માટેની ત્યાંની શાળામાં ભણતાં બાળકોની બૌદ્ધિક શક્તિ માપવા માટેનું કાર્ય શરૂ કર્યું. બૌદ્ધિક કે માનસિક માપન એટલે વિવિધ ઉંમર માટેની દરેક પ્રકારની માનસિક પ્રક્રિયાઓનાં લાક્ષણિક ધોરણોની વાસ્તવિક ધોરણોને આધારે કરવામાં આવતી સ્થાપના.

તેમાં નીચેનાં લક્ષણો મહત્વનાં ગણાય છે : 
(1) વ્યક્તિની ઉંમરને અનુરૂપ સ્વરૂપ, 
(2) ચિકિત્સકનો કસોટી સાથેનો પરિચય, 
(3) કસોટીની વિશ્વસનીયતા (reliability), 
(4) કસોટીની યથાર્થતા (અ) નિષ્ણાતનો અભિપ્રાય, (બ) ભવિષ્યકથનની સચોટતા (prediction), (ક) સમાન કસોટીનાં પરિણામો સાથે યોગ્ય સહસંબંધ, (5) કસોટીનાં પરિણામો માટેનાં યોગ્ય ધોરણો, 
(6) કસોટીનાં પરિણામોનો વર્તન સાથેનો સહસંબંધ.

બુદ્ધિકસોટીનો વિકાસ : 1905 : બીને – સાયમનની પ્રથમ કસોટી. 1908 : પ્રથમ સુધારો – 3 વર્ષથી 13 વર્ષ સુધીનો ગાળો વાર્ષિક રીતે વહેંચી નાખવામાં આવ્યો છે. માનસિક વય અને બુદ્ધિલબ્ધિના ખ્યાલો ઉમેરાયા છે.

1911 : કસોટીની વ્યાપકતા કસોટીને 15 વર્ષ સુધીનો વધારો. દરેક કસોટીમાં સરખી સંખ્યામાં મુદ્દાઓનો સમાવેશ.

1916 : એલ. એમ. ટર્મેન દ્વારા બુદ્ધિકસોટીનું અમેરિકામાં સ્થળાંતર – સ્ટેનફૉર્ડ – બીને કસોટી એ તેનું નવું નામ રાખવામાં આવ્યું. ‘બુદ્ધિ એટલે અમૂર્ત વિચારણા કરવાની શક્તિ.’ એમ બુદ્ધિની નવી વ્યાખ્યા કરવામાં આવી. સામાન્ય અને તેજસ્વી પુખ્ત વયની વ્યક્તિ માટેની બે વિશેષ કસોટીનો પણ ઉમેરો થયો – શાળાકીય પ્રવૃત્તિઓમાંથી બહાર લાવીને બૌદ્ધિક વ્યાખ્યામાં સામાન્ય અનુભવનો પણ ઉમેરો.

1937 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો પ્રથમ સુધારો – આ કસોટીના બે સમાંતર વિભાગ બહાર પાડવામાં આવ્યા છે. તેને Form L & M તરીકે ઓળખવામાં આવે છે. – 2 વર્ષથી શરૂ થતી આ કસોટીઓ 16 વર્ષ સુધી ચાલુ રહે છે. ઉપરાંત બે વર્ષ વધારીને અઢાર વર્ષ સુધી વિસ્તૃત કરી છે.

1960 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો દ્વિતીય સુધારો – 1937ના બુદ્ધિકસોટીના બંને વિભાગોમાંથી વધારે યથાર્થતા ધરાવતા મુદ્દાઓનું સંકલન – 2 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમર સુધીનો વ્યાપ – 1937થી 1960 સુધીની અમેરિકાની વૈજ્ઞાનિક પ્રગતિની કસોટી પર જણાતી અસર – Z scoreના ખ્યાલનો ઉમેરો.

સ્ટેનફૉર્ડ–બીને બુદ્ધિકસોટીની મર્યાદાઓ : (1) વ્યક્તિનો બુદ્ધિલબ્ધિનો કુલ ગુણાંક જાણી શકાય છે. પરંતુ કઈ વ્યક્તિ કઈ પ્રવૃત્તિમાં નિષ્ણાત છે તે કહી શકાતું નથી. (2) એક વ્યક્તિની અન્ય વ્યક્તિઓ સાથે વિવિધ પ્રવૃત્તિમાં સરખામણી થઈ શકતી નથી. (3) આ કસોટી શાબ્દિક જ્ઞાનને અતિ મહત્ત્વ આપે છે. (4) આ કસોટી મુખ્યત્વે શાળામાં ભણતાં બાળકો માટેની છે. પુખ્ત વયની વ્યક્તિઓ માટે વાપરી શકાતી નથી. (5) તે વ્યક્તિગત કસોટી હોવાથી મોટા સમૂહોને એકસાથે આપી શકાતી નથી.

વેશ્લર-બેલેવ્યૂ બુદ્ધિમાપન સામૂહિક કસોટી : આ કસોટી પુખ્ત વયની વ્યક્તિઓને ખ્યાલમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જે વ્યક્તિઓ શાળામાં ન જતી હોય તેમજ જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય તેવી વ્યક્તિઓના બુદ્ધિમાપનને માટે ડૅવિડ વેશ્લર નામના બેલેવ્યૂ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકે 1942માં આ કસોટીઓ વિકસાવી છે. તેમાં શાબ્દિક ને અશાબ્દિક કસોટીઓ આપવામાં આવી છે. આ કસોટીઓ સામૂહિક કસોટી તરીકે વપરાય છે.

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ મનોમાપન કસોટી : આ કસોટીને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવી છે : શાબ્દિક અને અશાબ્દિક. દરેક વિભાગના પેટાવિભાગો નીચે પ્રમાણે છે :

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ બુદ્ધિકસોટી

શાબ્દિક (verbal)અશાબ્દિક (non verbal)
1.શબ્દભંડોળ (vocabulary)ચિત્રની ગોઠવણી (picture arrangement)
2.માહિતી (information)ચિત્રપૂર્તિ (picture completion)
3.સામાન્ય સમજૂતી (comprehension)પાસાંની ગોઠવણી (block design)
4.સામ્ય (similarities)વસ્તુસંકલન (object assembly)
5.આંકડા વિસ્તાર (digit speen)આંકડા પ્રતીક કસોટી (digit symbol test)
6.ગાણિતિક તર્કવિચારણા (arithmetical reasoning)

ક્રિયાલક્ષી બુદ્ધિમાપન કસોટીઓ (performance tests) : અન્ય માતૃભાષા ધરાવતા તેમજ શ્રવણ અને કથનમાં મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓ માટે ક્રિયાલક્ષી કસોટીઓનો વિકાસ કરવામાં આવ્યો છે. અહીં વાતચીતને બદલે વ્યક્તિને મનોવૈજ્ઞાનિક એક કાર્ય કરી બતાવવામાં આવે છે. પછી તે પ્રકારનાં અન્ય કાર્યો વ્યક્તિએ ઝડપથી અને ભૂલ વિના કરવાનાં હોય છે. આ કસોટીને આર્થર પોઇન્ટ સ્કેલ એવું નામ આપવામાં આવ્યું છે.

આર્થર પોઇન્ટ સ્કેલમાં આવતી કસોટીઓ : (1) નોક્સ ઘનની કસોટી (Knox cube test), (2) સેંગ્વીનનું આકૃતિદર્શક પાટિયું (Senguine form board), (3) દ્વિ પ્રતિમાદર્શક પાટિયું (two figures form baord), (4) કેશુઇસ્ટ આકારનું પાટિયું (casuist form board), (5) મેનિકીન અને ચહેરાકૃત કસોટી (Manikin & feature profile), (6) ઘોડી અને વછેરો સમજૂતી દર્શક કસોટી (mare & focal distinction), (7) હિલિ-ચિત્રપૂર્તિ કસોટી (healy-picture competition), (8) પોર્શિયસ ભુલભુલામણીની કસોટી (poreteus mares), (9) કોહસી બ્લૉકરચના કસોટી (Kohsi block design).

ગુજરાતની મનોમાપન કસોટીઓ : આ કસોટીઓ મુખ્ય બે વિભાગમાં છે : 1. વ્યક્તિગત અને 2. સામૂહિક.

1. વ્યક્તિગત કસોટીઓ : આ કસોટીઓમાં મુખ્ય બે કસોટીઓનો સમાવેશ થાય છે. (i) WISC (વેશ્લર ઇન્ટલિજન્સ સ્કેલ ફૉર ચિલ્ડ્રન) : આ કસોટી ડૉ. મહેન્દ્રિકા ભટ્ટે 1971માં બહાર પાડેલ છે અને તેમાં 2થી 10 વર્ષ સુધીનાં બાળકો માટેની શાબ્દિક અને અશાબ્દિક કસોટીઓનો સમાવેશ થાય છે. (ii) સ્ટેનફૉર્ડ – બીનેની 1960ની કસોટીનું ગુજરાતીમાં રૂપાંતર – આ કસોટી ડૉ. જે. એચ. શાહે 1971માં પ્રસિદ્ધ કરેલ છે. તેમાં ગુજરાતી સંસ્કૃતિને ખ્યાલમાં રાખીને મૂળ કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

2. સામૂહિક બુદ્ધિકસોટીઓ : (i) દેસાઈ સામૂહિક બુદ્ધિકસોટીઓ આ કસોટી ડૉ. કે. જી. દેસાઈએ 1952માં પ્રસિદ્ધ કરેલ છે અને આઠમાંથી અગિયારમા ધોરણ સુધી ભણતાં બાળકો માટે વાપરી શકાય તેવી છે.

(ii) અશાબ્દિક બૌદ્ધિક કસોટી : આ કસોટીઓ મુખ્યત્વે લેખનની કે ઇન્દ્રિયની કોઈ પણ ક્ષતિ ધરાવતાં હોય તેવાં બાળકો માટે તૈયાર કરવામાં આવી છે.

(iii) સામૂહિક શાબ્દિક અને અશાબ્દિક બૌદ્ધિક કસોટીઓ : ધોરણ પાંચથી સાતમાં ભણતાં બાળકો માટે આ કસોટીઓ 1962માં પ્રસિદ્ધ થયેલ છે.

(iv) અશાબ્દિક સામૂહિક બૌદ્ધિક કસોટીઓ : 1966માં પ્રસિદ્ધ થયેલ આ કસોટીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓના વર્ગીકરણ માટે વાપરવામાં આવે છે. તે પણ અત્યારે શાળાઓમાં વપરાય છે અને વિદ્યાર્થીઓને તેમની યોગ્ય કક્ષા પ્રમાણે વર્ગમાં મૂકવામાં આવે છે.

બૌદ્ધિક કસોટીઓની મર્યાદાઓ : (1) ભાષાકીય મર્યાદા : બધી જ કસોટીઓ બધે વાપરી શકાતી નથી. (2) સંખ્યાત્મક મર્યાદા : એક કસોટી વધારેમાં વધારે કેટલા વિદ્યાર્થીઓ ઉપર વાપરી શકાય તેની માહિતી ઘણી કસોટીઓમાં આપી હોતી નથી. (3) સ્થળ અને સમયની મર્યાદા : સ્થળ અને સમય બદલાતાં દરેક કસોટીમાં જરૂરી સુધારા ઉમેરવા પડે છે. જે દરેક કસોટીમાં બની શકતું નથી. (4) વયની મર્યાદા : નાનાં બાળકો સ્કૂલના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિશે જેટલી કસોટીઓ અત્યારે અસ્તિત્વ ધરાવે છે તેટલી પ્રૌઢ અને વૃદ્ધત્વ માટે નથી. (5) નાણાંની મર્યાદા : અતિશય ગરીબ દેશો આ કસોટીઓનો લાભ મેળવી શકતા નથી.

કુસુમ ભટ્ટ

No comments:

Post a Comment