Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

10 December 2024

વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)

વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)

વૃત્તિવિરેચન (catharsis) : ભૂતકાળના આઘાત આપનારા પ્રસંગોને મનમાં ફરીથી અનુભવીને, સંબંધિત આવેગોનો સંઘરાયેલો બોજો હળવો કરવાની, અને એ દ્વારા પોતાના તણાવો અને ચિંતાઓને દૂર કરવાની પ્રક્રિયા; દા. ત., એક બાળક માબાપની જાણ વિના મિત્રો સાથે નાળામાં નહાવા જાય અને અચાનક પાણીમાં તણાવા માંડે. એને મિત્રો માંડમાંડ બચાવી લે. આને લીધે એ બાળકને આઘાત લાગવાથી એના મનમાં પાણીનો તીવ્ર ભય પેસી જાય. મોટો થયા પછી પણ એ બાથરૂમની ડોલમાં ભરેલા પાણીને જોતાં જ ફફડી ઊઠે, ત્યારે એની આ વિકૃત ભીતિને દૂર કરવા માટે મનોચિકિત્સા કરવામાં આવે છે. ચિકિત્સક એના મનના ઊંડાણમાં રહેલા પાણી સાથેના આઘાતજનક અનુભવનું અને ભયનું વિરેચન કરે છે. એ વ્યક્તિના અજ્ઞાત મનમાં ભરાઈને જામી પડેલો પાણીમાં તણાઈ જવાનો અનુભવ (વિરેચનને કારણે) એના જ્ઞાત મનમાં બહાર આવે છે. એ બાળપણનો પ્રસંગ યાદ કરવાથી, પોતે હાલ પાણીથી કેમ ગભરાઈ જાય છે તેનું મૂળ કારણ વ્યક્તિને સમજાય છે. તેથી એનો પાણીનો ભય દૂર થાય છે.

આમ વ્યક્તિની દબાઈ રહેલી જાતીયતા કે આક્રમકતા જેવી વૃત્તિઓનું, ભય કે ચિંતા જેવા આવેગોનું કે ભાવગ્રંથિઓ(complexies)નું વિરેચન થાય છે. એને ભાવવિરેચન પણ કહે છે.

બીજી વ્યક્તિ સમક્ષ પોતાના આવેગો કે લાગણીઓનો ઊભરો ઠાલવવાની ક્રિયા પણ એક જાતનું વૃત્તિવિરેચન જ છે. એને લીધે વ્યક્તિની માનસિક હાલત સુધરે છે. તેથી આ પ્રક્રિયાને ‘સંભાષણ વડે ઉપચાર’ (અં. ટૉકિંગ ક્યૉર) પણ કહે છે.

ચિકિત્સાપ્રક્રિયાના એક વ્યવસ્થિત તબક્કા તરીકે વૃત્તિવિરેચનનો આરંભ ઓગણીસમી સદીના અંતભાગમાં વિયેનામાં ચેતાશાસ્ત્રી બ્રુઅર અને મનોવિશ્લેષક ફ્રૉઇડે કર્યો. શરૂઆતમાં અસીલ(client)ને સંમોહિત કર્યા પછી જ તેની વૃત્તિનું વિરેચન કરવામાં આવતું હતું, પણ પછીથી સંમોહન(hypnosis)નો ઉપયોગ કર્યા વિના પણ વિરેચનની આ પ્રક્રિયા પ્રચલિત બની.

વૃત્તિવિરેચનને આ રીતે સમજાવવામાં આવે છે : વ્યક્તિને આઘાત લાગે એવો અનુભવ થવાથી એના મનમાં ભાવાત્મક ઉત્તેજનાનો અને માનસિક ઊર્જાનો વિશાળ જથ્થો ભેગો થાય છે. જો ટૂંક સમયમાં એ ઉત્તેજનાને સીધી રીતે કે રૂપાંતર દ્વારા બહાર લાવવાનો માર્ગ ન મળે તો તેનું દમન થાય છે. એ ઉત્તેજના વ્યક્તિના અજ્ઞાત મનમાં ચાલી જાય છે. પણ અજ્ઞાત મનમાં જવાથી એની ઊર્જાનો નાશ થતો નથી પણ એ વ્યક્તિના વિકૃત વર્તનનાં ચિહ્નો રૂપે પ્રગટે છે. જો ઊર્જાના આ જથ્થાને વિરેચન વડે વ્યક્તિના સભાન મનમાં લાવવામાં આવે તો એના ઉપરનો ઊર્જાનો બોજો હળવો થાય છે. તેથી ચિકિત્સકનું કાર્ય એ છે કે એ વ્યક્તિને એના જીવનના આવેગાત્મક કે સંઘર્ષોથી ભરેલા પ્રસંગોને યાદ કરાવી એ પ્રસંગોને પહેલાંની જેમ ફરીથી અનુભવવામાં મદદ કરવી.


આમ વૃત્તિવિરેચન દમનની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. દમનમાં વૃત્તિઓ અને આવેગોની બાહ્ય સપાટીથી મનના ઊંડાણ તરફ, નીચાણ તરફ ગતિ થાય છે. વૃત્તિવિરેચનમાં વૃત્તિઓ અને ભાવોની મનના ઊંડાણમાંથી મનની બાહ્ય સપાટી તરફ ઉપરની તરફ ગતિ થાય છે.

અજ્ઞાત વૃત્તિઓનું વિરેચન કરાવવા માટે કેટલીક પ્રવિધિઓનો ઉપયોગ થાય છે; દા. ત., વ્યક્તિને સંમોહિત કરવી, પોતાના વિચારોનું મુક્ત રીતે સાહચર્ય (જોડાણ) કરવા માટે વ્યક્તિને પ્રેરવી, વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતાં વચ્ચે અટકી જાય ત્યારે મૌન રહીને પણ મુખભાવ દ્વારા તેને પ્રોત્સાહન આપીને વધારે બોલવા માટે પ્રેરવો, વ્યક્તિના વ્યક્ત થયેલા વિચારો ઉપર ટીકા-ટિપ્પણ કરવાનું ટાળવું, વ્યક્તિ પોતાના દમન કરેલા અનુભવો વર્ણવતી હોય ત્યારે તેને ધ્યાનથી સાંભળવું, તેના વર્ણનમાં દખલ ન કરવી, પણ અભિવ્યક્તિને અંતે રસ લઈને ટૂંકા પ્રશ્ર્નો પૂછવા, વ્યક્તિએ જણાવેલા વિચારોને એ જ કે સમાનાર્થી શબ્દો વડે ફરી વ્યક્ત કરવા વગેરે.

યોગ્ય રીતે વૃત્તિવિરેચન થવાને લીધે અસીલ કે દર્દી શાંતિ, રાહત, સલામતી અને પ્રસન્નતા અનુભવે છે. તે આવેગોના ભાર અને તણાવમાંથી મુક્ત થાય છે. ભૂતકાળના બનાવો કે તેના જેવી અત્યારની પરિસ્થિતિઓ તેને આકળવિકળ બનાવી દેતી નથી. તેને પોતાને થતા અનુભવોમાં સૂઝ આવે છે, અને તે પરિસ્થિતિનો સામનો સ્વસ્થ રીતે કરી શકે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

26 November 2024

સાહચર્ય–કસોટી (Association test)

સાહચર્ય–કસોટી (Association test)



સાહચર્ય–કસોટી (Association test) : મનોવિશ્લેષણમાં ઉપયોગી બનતી એવી પ્રવિધિ (ટૅકનિક) જેમાં અસીલ શાંત બનીને પોતાના મનમાં જે કાંઈ આવે તે [ગમે તેટલું ક્ષોભ કે પીડા ઉપજાવે એવું હોય કે ક્ષુલ્લક જણાય તોપણ] કહે છે. સાહચર્ય-કસોટી એક પ્રકારની ભાવવિરેચન(Catharsis)ની પદ્ધતિ છે.

આપણા એક અનુભવનું અન્ય અનુભવો સાથે મનમાં સાહચર્ય વડે જોડાણ થાય છે. વ્યક્તિના મનમાં કયા કયા વિચારો વચ્ચે જોડાણ છે તે જાણવા માટે સાહચર્યની કસોટી કરવામાં આવે છે. એ મોટેભાગે શબ્દ-સાહચર્યના પ્રયોગના રૂપમાં હોય છે, જેમાં પ્રયોગકર્તા એક શબ્દ (ઉદ્દીપક શબ્દ) બોલે છે. અસીલ કે પ્રયોગપાત્ર એ શબ્દ સાંભળીને પોતાના મનમાં જે પહેલો વિચાર આવે તેને એક શબ્દ (પ્રતિક્રિયા-શબ્દ) બોલીને વ્યક્ત કરે છે; દા.ત., પતંગ (ઉદ્દીપક શબ્દ) → ફીરકી (પ્રતિક્રિયા-શબ્દ).

સાહચર્યની કસોટી વિવિધ પ્રકારે થાય છે. જ્યારે આપેલા ઉદ્દીપક શબ્દ પ્રત્યે એક જ પ્રતિક્રિયા-શબ્દ બોલીને જવાબ આપવાનો હોય ત્યારે તેને પૃથક (discrete) સાહચર્ય-કસોટી કહે છે; દા.ત., રાત-દિન. જ્યારે એકથી વધુ શબ્દોની હારમાળા વડે જવાબ આપવાનો હોય ત્યારે તે સતત (continuous) સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., સફેદ (ઉદ્દીપક શબ્દ) → કાળો, કાગડો, પોપટ, જામફળ વગેરે (પ્રતિક્રિયા-શબ્દો). એક ઉપરથી બીજો અને તેના ઉપરથી ત્રીજો એમ વિચારોની સાંકળ રચાય છે.

જ્યારે વ્યક્તિએ મનમાં આવતો ગમે તે વિચાર શબ્દ વડે વ્યક્ત કરવાનો હોય ત્યારે તે મુક્ત સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., ‘નદી’ શબ્દના જવાબમાં કોઈ પણ નદીનું નામ અથવા ‘તળાવ, સરોવર’ અથવા ‘હોડી, વહાણ’ અથવા ‘પ્રવાસ’ કે ‘માછલી’ જેવા શબ્દ બોલી શકાય છે. જ્યારે પ્રયોગ કરીને દર્શાવેલી શરત પ્રમાણે સંબંધ ધરાવતા શબ્દ વડે જ જવાબ આપવાનો હોય ત્યારે તેને નિયંત્રિત (controlled) સાહચર્ય-કસોટી કહે છે. શરત વિવિધ પ્રકારની હોઈ શકે; દા.ત., જાતિ-ઉપજાતિ કસોટીમાં ઉદ્દીપક શબ્દ વડે સૂચવાતી જાતિ(વ્યાપક વર્ગ)માં સમાઈ જતી ઉપ(પેટા)જાતિ વ્યક્ત કરતો શબ્દ જવાબમાં કહેવાનો હોય છે; દા.ત., માણસ → એશિયાવાસી. ખંડ-અખંડ કસોટીમાં પ્રયોગકર્તા ભાગનું નામ બોલે છે. તે સાંભળીને પ્રયોગપાત્રે એ જે આખી વસ્તુનો ભાગ છે એ વસ્તુનું નામ કહેવાનું હોય છે; દા.ત., સૂંઢ → હાથી. વિરુદ્ધાર્થ કસોટીમાં આપેલા શબ્દના વિરોધી અર્થવાળો શબ્દ જવાબમાં બોલવાનો હોય છે; દા.ત., ઢીલું → સખત.

સાહચર્ય-કસોટીમાં પ્રયોગપાત્રે ઉચ્ચારેલો પ્રતિક્રિયા-શબ્દ, તેણે એ પ્રતિક્રિયા શરૂ કરવામાં લીધેલો સમય (પ્રતિક્રિયા-કાળ) અને પ્રતિક્રિયા દરમિયાન તેના મુખભાવ તથા તેની આવેગની અભિવ્યક્તિઓ નોંધવામાં આવે છે.

મુક્ત સાહચર્ય-કસોટીમાં મોટાભાગનાં પ્રયોગપાત્રોએ આપેલી પ્રતિક્રિયાઓ આ પ્રમાણે કોઈ એક પ્રકારની હોય છે : 

(1) (ક) વ્યાખ્યારૂપ કે સમાનાર્થી શબ્દ; દા.ત., માણસ → નર. 
     (ખ) ઉપલી જાતિ કે વ્યાપક વર્ગ સૂચવતા શબ્દ; દા.ત., પીપળો →ઝાડ. 

(2) પૂરક કે વિધેયરૂપ શબ્દ; દા.ત., મરચું → તીખું. હરણ → દોડે. 

(3) (ક) સમવર્ગી શબ્દ; દા.ત., વાઘ → સિંહ. શાળા → કૉલેજ (એ જ કક્ષાનો અન્ય વર્ગ). 
      (ખ) વિરોધી શબ્દ; દા.ત., ઠંડું → ગરમ, ચડતી → પડતી. 

(4) મૂલ્યાંકનરૂપ અને અંગત પ્રતિક્રિયાઓ; દા.ત., બાળકો → ભોળાં. અમદાવાદી → કંજૂસ. વ્યક્તિએ સેંકડો શબ્દોને આપેલી પ્રતિક્રિયાઓમાંથી કયા પ્રકારની કેટલી પ્રતિક્રિયાઓ છે તેનું વિશ્લેષણ કરવાથી તેનાં માનસ અને વ્યક્તિત્વ ઉપર ઠીક ઠીક પ્રકાશ પડે છે.

સાહચર્ય-કસોટીના વિવિધ ઉપયોગો છે : પ્રક્ષેપણ-પ્રવિધિ તરીકે તેના વડે વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ્યાં પાસાં ઓળખી શકાય છે. તેનો કેટલીક વાર ગુનાશોધનમાં પણ ઉપયોગ થાય છે. ગુનાના સ્વરૂપ-સ્થળ વગેરે સાથે સંકળાયેલા ઉદ્દીપક શબ્દો બોલીને શકમંદોને તેમનો જવાબ આપવાનું કહેવાય છે. તેમના પ્રતિક્રિયા-શબ્દ, સમય અને તેમના હૃદયના ધબકારા જેવા શરીરના આંતરિક ફેરફારોની અસત્યશોધકયંત્ર (lie detector) વડે નોંધ લેવાય છે. એના આધારે ગુનામાં ખરેખર સંડોવાયેલ વ્યક્તિ ઓળખાઈ જાય છે. કેટલીક વાર સાહચર્ય-કસોટી વડે મૂંઝવણો અને મનોવિકૃતિઓનું નિદાન પણ થાય છે.

સ્વસ્થ વ્યક્તિઓના વ્યક્તિત્વની વિશિષ્ટતાને ઓળખવા માટે કૅન્ટ અને રોઝાનૉફ-રચિત સાહચર્ય-કસોટી વપરાય છે. એમાં અંગ્રેજી ભાષાનાં પરિચિત નામો, વિશેષણો, ક્રિયાપદો વગેરે મળીને 100 ઉદ્દીપક શબ્દો રજૂ કરાય છે. વ્યક્તિએ દરેક શબ્દના આપેલા જવાબો નોંધી એ જવાબો કેટલા પ્રચલિત કે વિરલ (અનોખા) છે તેનું આંકડાકીય વિશ્લેષણ થાય છે; દા.ત., ‘સોય’ શબ્દ 1000 વ્યક્તિઓને સંભળાવાયો, ત્યારે તેમાંના 160 માણસોએ ‘દોરી’, 158 વ્યક્તિઓએ ‘ટાંકણી’, 152 વ્યક્તિઓએ ‘અણીદાર’ અને 242 વ્યક્તિઓએ ‘સીવવું’ એવા જવાબ આપ્યા. આ બધા પ્રચલિત જવાબો છે; પણ 11 જણાએ ‘વાગવું’, 2 જણાએ ‘ઈજા’, 2 જણાએ ‘ઇન્જેક્શનની’ અને 1 વ્યક્તિએ ‘લોહી’ કે ‘શસ્ત્ર’ એવો જવાબ આપ્યો. આ વિરલ જવાબો છે. વ્યક્તિના જવાબોની વ્યાપકતા/સામાન્યતા ઉપરથી તેનું વ્યક્તિત્વ અમુક અંશે ઓળખાય છે.

વ્યક્તિની ભાવગ્રંથિઓને શોધવા માટે મનોચિકિત્સક યુંગે બીજી સાહચર્ય-કસોટી રચી છે. ભાવગ્રંથિ (complex) વ્યક્તિની ઇચ્છાઓ, આવેગો અને સ્મૃતિઓનું એક વસ્તુ કે ઘટનાની આસપાસ ગૂંથાયેલું તંત્ર હોય છે. એમાં તણાવ, નિષ્ફળતા, અસંતોષ કે દોષની લાગણી પણ સમાવિષ્ટ હોય છે. મોટાભાગે પ્રેમલગ્ન અને જાતીય પ્રેરણા, કૌટુંબિક કે આર્થિક મુશ્કેલીઓ, પોતાની મર્યાદાઓથી અસંતોષ, અન્યાયની લાગણી, મૈત્રી કે દુશ્મનાવટ કે માંદગી ઈજા કે મૃત્યુના ભય જેવી બાબતો અંગે ભાવગ્રંથિ રચાય છે. ઘણી ભાવગ્રંથિઓ અજ્ઞાત હોય છે, જ્યારે બીજી કેટલીક જ્ઞાત હોવા છતાં વ્યક્તિ તેમને ટાળે છે. વ્યક્તિ કઈ ભાવગ્રંથિથી પીડાય છે તે સાહચર્ય-કસોટીથી શોધી શકાય છે. એ માટે ઉપર દર્શાવેલી બાબતો સાથે સંકળાયેલા શબ્દોવાળી કસોટી રચાઈ છે.

યુંગની સાહચર્ય-કસોટી વ્યક્તિને બે વખત આપવામાં આવે છે. બીજી રજૂઆત વખતે વ્યક્તિને કહેવામાં આવે છે કે તેણે બને ત્યાં સુધી પહેલી વખત આપેલો પ્રતિક્રિયા-શબ્દ બોલવો.

પોતાના જીવનની જે બાબતો વિશે વ્યક્તિના મનમાં ભાવગ્રંથિ હોય તેને લગતા શબ્દો અંગે તે નીચેની વિશિષ્ટ પ્રતિક્રિયા આપે છે : 
(1) તેનો પ્રતિક્રિયાકાળ લાંબો હોય છે. 
(2) તે પ્રતિક્રિયા આપતો જ નથી. 
(3) તે ઉદ્દીપક શબ્દનું જ પુનરાવર્તન કરે છે. 
(4) તે ઉદ્દીપક શબ્દનો ખોટો અર્થ સમજે છે. 
(5) તે ઉદ્દીપક શબ્દ સાથે બિલકુલ સંબંધ ન હોય એવી કે અંગત પ્રતિક્રિયા આપે છે. 
(6) તેના ચહેરા ઉપર ક્ષોભ કે ઉત્તેજનાનાં ચિહ્નો દેખાય છે. 
(7) તે તોતડાય છે, હસી પડે છે કે બહુ જ ધીમેથી અથવા ઘાંટો પાડીને પ્રતિક્રિયા-શબ્દ બોલે છે. 
(8) તે બીજી રજૂઆત વખતે નવો પ્રતિક્રિયા-શબ્દ બોલે છે.

સાહચર્ય-કસોટી દ્વારા વ્યક્તિની ભાવગ્રંથિ ઓળખવાથી તેનો મનોપચાર વધારે અસરકારક રીતે કરી શકાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

25 October 2024

ગુનાશાસ્ત્ર (criminology)

ગુનાશાસ્ત્ર (criminology) :



ગુનાશાસ્ત્ર (criminology) : ગુના સંબંધી વિજ્ઞાન. ‘ગુનાશાસ્ત્ર’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેંચ માનવશાસ્ત્રી પી. ટોપિનાર્ડનાં લખાણોમાં ઓગણીસમી સદીના અંત ભાગમાં થયેલો. વ્યક્તિના ગુના સ્વરૂપના ગેરકાયદેસર વર્તનનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ‘ગુનાશાસ્ત્ર’ને વિકસાવવામાં મુખ્ય ભાગ ભજવનારાં વિજ્ઞાનોમાં મુખ્યત્વે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનોચિકિત્સાશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, તેમજ કાયદાશાસ્ત્રને ગણાવી શકાય.

આધુનિક સંદર્ભોમાં, ગુનાશાસ્ત્ર એટલે ગુનો ગણાતું વર્તન, તેનાં કારણરૂપ પરિબળો અને પરિણામો, તેમજ તેનાં નિવારણ અને નિયંત્રણ અંગેનો અભ્યાસ કરનારું તથા તેમાંથી તે અંગેની સૈદ્ધાંતિક સમજ અને જરૂરી પરિભાષા વિકસાવતું વિજ્ઞાન.

સામાન્ય રીતે, આ વિજ્ઞાનમાં મુખ્યત્વે નીચેના વિષયવસ્તુને આવરી લેવામાં આવે છે :

(1) ગુનાઇત વર્તન, તેનું સ્વરૂપ (nature) તથા વિવિધ ર્દષ્ટિએ તેના પ્રકારો. સમાજવિરોધી પરંતુ ગુનો ન ગણાતું વર્તન; ખાસ કરીને જે વર્તન અમુક સમાજમાં ગુનો ગણાય છે; પરંતુ અન્ય દેશોમાં ગુનો ગણાતું નથી.

(2) ગુનેગારોની શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓ; તેમનાં ભૂતકાલીન જીવન, ઉછેર અને ગુનાઇત કારકિર્દી (વિશેષ કરીને, રીઢા અને સતત ગુના કરનારાઓનાં); તેમની ગુનાઇત વૃત્તિનાં કારણો; ગુનેગારોનું અન્ય અસામાન્ય (વિકૃત) વર્તન અને તેમનો ગુનાઇત વૃત્તિ સાથેનો સંબંધ;

(3) ગુનેગારોનો શિકાર બની જનારા તથા તેમની ખાસિયતો;

(4) ગુનાઇત વર્તન શક્ય એટલે અંશે અટકાવવાનાં તથા નિયંત્રિત કરવાનાં પદ્ધતિઓ અને પ્રયત્નો. તેમાં પોલીસતંત્ર તથા ન્યાયતંત્રનાં કાર્યો અને સ્થાન. ગુનેગારોને સજા કરવી, યથાર્થ રીતે કેળવવા તેમજ તેમની સાથે વ્યવહાર કરવા માટેની નીતિ, પદ્ધતિ અને સંસ્થાઓ; તેમનાં (ખાસ કરીને, સજા/સુધારા સંબંધી) માળખાં, સંગઠનો અને કામગીરીઓ.

આ ઉપરાંત, કેટલાક વિદ્વાનો ગુનાઓ શોધી કાઢવાની તથા ગુનેગારોને પકડી પાડવાની પદ્ધતિઓ, ફોજદારી (ગુનાઇત વૃત્તિ સૂચક) સંવિધાનના ઉદભવ અને વિકાસ તેમજ ગુના તથા ગુનેગારો પ્રત્યેનાં લોકવલણોને પણ આ વિજ્ઞાનના અભ્યાસક્ષેત્રમાં આવરી લે છે.

ગુનાશોધન : કાયદાનું ઉલ્લંઘન કરતી સજાપાત્ર પ્રવૃત્તિઓની તપાસનું કાર્ય.

ગુનાશોધન એ કેટલીક કાર્યપદ્ધતિનો સરવાળો છે, જેમાં ગુનાથી અસર પામેલ વ્યક્તિની ઓળખ, ગુનો કરવા પાછળ ગુનેગાર વ્યક્તિનો ઇરાદો, ગુનેગારે ગુનો કરવા માટે અને ગુનો પકડાઈ ન જાય તે માટે અપનાવેલ ગુનાઇત પદ્ધતિનું શોધન, ગુનેગારની પહેચાન, અને ગુનો થયો હોય તે સ્થળનું ચોક્કસપણે નિરીક્ષણ તથા ગુનો સાબિત કરવા માટે પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ વગેરેનો સમાવેશ થાય છે.

ગુનાનાં કારણોમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ ન થવાનું કારણ અને જાતિભેદ, વર્ણભેદ, ધર્મ અને સંપ્રદાયભેદ અને પેઢી દર પેઢી ઊભું કરવામાં આવેલ પૂર્વગ્રહગ્રસ્ત ધિક્કારનું માનસ પણ ગુનાઓને વધારે છે. વસ્તીવધારો પણ ગુનાનું બીજ છે.

ભૌગોલિક સ્થિતિ, વસ્તીમાં પુરુષો અને સ્ત્રીઓના પ્રમાણમાં તફાવત, યુવાનો અને વૃદ્ધોની વસ્તીમાં સંખ્યાનું વધુ પ્રમાણ, અક્ષરજ્ઞાનનો અભાવ અને એકબીજાંને સહી લેવાની અનિચ્છા પણ ગુના પ્રેરે છે.

નિરાશા, હતાશા, નિષ્ફળતા, શારીરિક ક્ષમતાનો અભાવ, વ્યસન અને રુગ્ણ, માનસિક કે શારીરિક સ્થિતિ પણ ગુના નિપજાવે છે. ગુનાશોધન અભ્યાસીઓ આવાં બધાં પાસાં લક્ષમાં લઈને નિયમો, ધારાઓ, કાયદાઓ અને નીતિઓ ઘડે છે. સંશોધન માટે આ સર્વ નોંધાતા ગુનાઓ, પુરવાર થતા ગુનાઓ અને ન પુરવાર થતા ગુનાઓના આંકડા ઉપરથી અભ્યાસ કરવામાં આવે છે, પણ સામાજિક ર્દષ્ટિએ નીચા પડવાનો ભય, અન્ય ભય, આબરૂ જવાના ભયથી કે ગુનાના કેસોના નિકાલ માટે થતા વિલંબને કારણે ઘણા ગુના નોંધાવવામાં આવતા નથી. એટલે આવી અધૂરી નોંધને કારણે ગુનાશોધન માટે થતી જોગવાઈઓ અધૂરી અને ખામીભરી બની જાય છે. ગુનાશોધન માટે જે તે વિસ્તારમાં થતા ગુનાઓનો ઇતિહાસ અને રેકૉર્ડ (નોંધ) ઉપયોગી બની રહે છે.

ગુનાશોધન માટે ગુનાશોધક તંત્ર, ગુનાશોધન પૃચ્છાની ટૅકનિક, ગુનાશોધન પ્રયોગશાળાઓ અને ગુનાશોધન સંસ્થાઓ તથા ગુનાના સ્થળેથી મેળવાયેલ પુરાવા ઉપર કામ કરનાર ગુનાશોધક ડિટેક્ટિવ(detective)ની સૂઝ ઘણું કામ કરી જાય છે.

મોટા ભાગના ગુનાઓમાં ર્દશ્ય કે અર્દશ્ય રીતે ગુના કર્યાનાં પુરાવારૂપ નિશાનો રહી જતાં હોય છે. ગુનાશોધનની ટૅકનિક અને તંત્ર, ગુનાશોધન પ્રયોગશાળા, ધારા કે અન્ય રીતે ગુનેગારને મોટે ભાગે પકડ્યા વિના રહેતાં નથી.

ગુનાશોધન તંત્ર : ગુનાની શોધ કરવા માટે ઊભું કરવામાં આવેલું શાસકીય અથવા ખાનગી તંત્ર. ભારતમાં તથા વિશ્વના બધા દેશોમાં ગુનાશોધન માટે પોલીસ ચોકીઓની વ્યવસ્થા હોય છે. ભારતના તાલુકાઓમાં તે માટે સવિશેષ વ્યવસ્થા હોય છે, જેમાં આંગળાંની છાપ લેવાય છે. પગના જોડા કે ચંપલની છાપ, પ્લાસ્ટર ઑવ્ પૅરિસની મદદથી ઉપાડાય છે, એનાં બીબાં કે ઢાંચાને સાચવી રાખે છે. આ બધી છાપના રેકૉર્ડ રાખે છે.

ચોરી, હિંસા, લૂંટ, ખૂનની ઘટનાના સ્થળના ફોટા લેવા, ગુનો થયાના સ્થળેથી મળી આવેલ પુરાવા સાચવવા, સાઇકલ, રિક્ષા, ખટારો, મોટર વગેરેનાં ટાયરની છાપ ઉપસાવવા ગુનેગારનાં પગરખાં ઉપર ચોંટેલી માટી તપાસવા, ગુનામાં વપરાયેલ સાધન, રિવૉલ્વર, પિસ્તોલ, બંદૂક, રાઇફલ આદિમાંથી છૂટેલી ગોળી સાચવીને કાઢવાં, તેની ઓળખ માટે તેવા જ પ્રકારની ગોળી છોડવાની સગવડ (રેંજ જાણવાનાં), ગુનેગારોએ પીધેલા દારૂના માદક દ્રવ્યનું પ્રમાણ તપાસવું, અથડામણમાં ઘા પડતાં ગુનાના સ્થળેથી મળી આવેલ કપડામાં લોહીના ડાઘ પરથી લોહી તપાસવું, મળી આવેલાં કપડાંમાંનાં પસીના-ડાઘ, ધોબીનાં નિશાન, કપડાંના ટુકડા કે તાંતણા વગેરે તપાસવા માટેનાં સાધનો અને વ્યવસ્થા હોય છે.

શહેરમાં ચોરી, ખૂન કે અન્ય ગુના વધુ બનતા હોઈ, ગુનેગારની ગંધ ઉપરથી સગડ મેળવવા કેળવાયેલાં કૂતરાંની ટોળી જિલ્લા પોલીસ ચોકીઓ પર હોય છે.

તાલુકાની પોલીસ ચોકીઓ ગામડાં કે શહેરોમાંથી આવેલ ગુનાની ફરિયાદ નોંધીને તેની તપાસ આગળ ચલાવે છે. ગુનામાં હિંસા, બળાત્કાર, અથડામણ કે ખૂન થયાં હોય ત્યારે તેનો ભોગ બનેલી વ્યક્તિની ડૉક્ટરી તપાસ કે મરી ગયેલ વ્યક્તિની ઑટૉપ્સિ (શબ ચીરીને તેમાં વણપચ્યા ખોરાકના આધારે તથા શબનાં અન્ય ખાસ અંગોની સ્થિતિ જાણી ગુનાનું કારણ જાણવાની રીત) માટે ડૉક્ટરની મદદ લેવાય છે.

ગુનાના પુરાવા તપાસવા માટે મુખ્ય જિલ્લા મથકોમાં સૂક્ષ્મદર્શક યંત્ર, જૂઠ પકડવા માટે ડર્મલનાઇટ્રેટ ચકાસણી થાય છે એટલે કે ઘાયલ વ્યક્તિને ગોળી જો નજીકથી છોડાઈ હોય તો એનો સ્ફોટક પદાર્થ પણ અડ્યો હોય છે, જ્યારે દૂરથી ગોળી છૂટી હોય તો એ સ્ફોટક પદાર્થ ન લાગ્યો હોય, માત્ર ગોળીનો જ આઘાત હોય. આવી રાસાયણિક પદાર્થથી થતી ચકાસણી માટેની વ્યવસ્થા પણ હોય છે.

સીમા-સુરક્ષા, સમુદ્ર રસ્તે થતી કસ્ટમ-જકાતની ચોરી રોકવા કે પકડવા, હથિયારોની ગેરકાનૂની હેરાફેરી રોકવાની કામગીરી, માદક દ્રવ્યો કે લોહીનો વેપાર રોકવા સમુદ્ર ચોકિયાતોનું દળ – ‘સાગરતટ રક્ષકદળ’ એક અલગ તંત્ર તરીકે કામ કરે છે.

આતંક ફેલાવનારાઓ, દેશની કીમતી ચીજવસ્તુઓ, ઐતિહાસિક અગત્યની વસ્તુઓ કે સુંદર મૂર્તિઓની ચોરી, રાજકીય કે લશ્કરી ગુપ્ત માહિતીની ચોરીઓ પકડવા અલગ ગુનાશોધન તંત્ર હોય છે જેને ભારતમાં સી.બી.આઈ. અને રૉ કહેવાય છે. આવાં તંત્ર કેન્દ્રીય સ્તરે કામગીરી બજાવતાં હોય છે.

ગુનાશોધન પૃચ્છા : ગુનાની શોધ કરી ગુનેગારને પકડી પાડવા માટે કરાતી તપાસ દરમિયાનની અગત્યની પ્રક્રિયા.

કેટલાક સાંયોગિક પુરાવાના આધારે કે શકને કારણે ગુનેગાર જેવા અન્ય શખ્સો સાથે ગુનેગારને – શકમંદને ઊભો કરી, સાક્ષી કે ઘાયલ થનાર અથવા ફરિયાદી દ્વારા ઓળખી બતાવેલ ગુનેગાર પાસેથી ગુનાની વિગત મેળવવા માટે પૂછપરછ કરવા માટે તેના નિષ્ણાતો કે તાલીમી પોલીસો કાર્ય કરતા હોય છે.

જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી આવી માહિતી મેળવવા સહાનુભૂતિભર્યું વલણ અપનાવાય છે. ક્યારેક ઓછી સજાની લાલચ અપાય છે. આરોપી કે સાક્ષી ખોટું બોલે છે કે સાચું તે જાણવા ‘લાઇ-ડિટેક્ટર’, જૂઠું પકડવા સ્કોપોલેમાઇન, સોડિયમ પેન્ટોથેલ, સોડિયમ એમાટેલ વગેરે સત્યાન્વેષી પ્રવાહી પગની, હાથની કે કમર ઉપરની નસના માર્ગે ધીમે ધીમે લોહીમાં દાખલ કરવામાં આવે છે. પહેલી વાર ગુનો કરનાર, નવા કે નબળા મનના ગુનેગારો ઉપર કે સ્ત્રીઓ ઉપર એની વધુ અસર થાય છે. આવી આલ્કલી દવાઓને કારણે તે અર્ધજાગ્રત તંદ્રામાં સરી જાય છે, તેથી તેનો બચાવવ્યૂહ તૂટી પડે છે અને વધારે વિચારવાની શક્તિનો હ્રાસ થતાં તે સાચા જવાબો આપી દે છે.

લાઇ-ડિટેક્ટર – પૉલિગ્રાફ (lie-detector and poligraph) અસત્યશોધક નામના યંત્ર દ્વારા આરોપી કે શકદારના હૃદયની ગતિ શરીરમાં ખોટું બોલવાને કારણે સુકાતી ભીનાશ, લોહીનું દબાણ, શ્વાસોચ્છવાસ, ચામડીની કુમાશ, પ્રતિકારશક્તિ વગેરે માપી લઈ તેમાં થતા ફેરફાર નોંધી તે દ્વારા એ શકદાર આરોપી છે કે નહિ તે નક્કી કરી શકાય છે. રીઢા આરોપી જ્યારે આવી કસોટીઓમાંથી છટકી જાય ત્યારે પોલીસ અધિકારી તેને ઢોરમાર મારી અથવા લાલચો આપી સત્ય કઢાવે છે. ઘણીવાર બે અધિકારીઓ યુક્તિ ગોઠવે છે. એક ઉચ્ચ અધિકારી પૃચ્છા કરનાર સબ ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટરને ખોટુંસાચું ધમકાવી, ડીગ્રેડ કરવાની ધમકી આપી, શકદાર પ્રત્યે સહાનુભૂતિ બતાવી તેને વિશ્વાસમાં લઈ, મિત્રતા બતાવીને ગુનેગાર પાસેથી ગુનાની હકીકતો બહાર લાવે છે.

ગુનાના શકદારના માનસને જાણી લઈ પૃચ્છા કરનાર તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું કે જબરજસ્તીપૂર્વક તેનો કુનેહથી નિર્ણય લે છે. કોઈ કોઈ વાર તો તેને વ્યવસાય કે ઇનામની લાલચ પણ અપાય છે.

પૃચ્છા કરનાર પોલીસ અધિકારી પહેલાં તો ગુનાનો હેતુ જાણવાનો પ્રયત્ન કરે છે. ગુનાથી કોને અને કેટલો લાભ મળશે તે જાણવા માટે મિત્રો તથા ઓળખીતાઓ વચ્ચે તેના મિત્ર તરીકે બેસે છે. થોડું ઘણું પોતે જે જાણતા હોય તેમાં અનુમાનનો આધાર ઉમેરી જાણકાર હોય તે રીતે વાતની રજૂઆત કરીને અનાયાસ સામી વ્યક્તિથી બોલાઈ જાય તેમાંથી સત્ય તારવવાની કોશિશ કરે છે.

પૃચ્છા કરનાર અધિકારી પોતે બધું જાણી ગયા છે એવા આત્મવિશ્વાસથી ગુનેગાર કે શકદાર સાથે વાતો કરે છે ત્યારે શકદાર એનો પ્રતિભાવ ખચકાઈને આપે છે કે તેનો ટોન બદલીને સજાગ થઈને ગોખેલું બોલતો હોય એમ આપે છે. તે ઉપરથી પણ સત્ય માહિતી પ્રાપ્ત કરે છે.

મોટે ભાગે તો જ્યારે ગુનેગારને ઇનામની અને પૂરા રક્ષણની લાલચ અપાય છે ત્યારે વધુ સાચી ને સારી એવી માહિતી મળે છે. સહાનુભૂતિનાં પરિણામો વધુ સારાં આવે છે. આ પૃચ્છાને આધારે કબૂલાત લખાવી લઈને તેમાં લાગતાવળગતાની સહી કરાવાય છે.

તે પ્રકારે કબૂલાત લખાવી, સાક્ષી રૂબરૂ સહી મેળવી લે તે પછી પણ ગુનેગાર છેલ્લી ઘડીએ ફરી જતા હોય છે.

ગુનાશોધન પ્રયોગશાળા (forensic laboratory) : ગુનેગારને પકડી પાડવા માટે ખાસ પ્રકારની રાસાયણિક પ્રકિયાઓ હાથ ધરવામાં આવે છે તે સ્થળ. આ પ્રયોગશાળામાં ગુનાના સ્થળેથી મળી આવેલા પુરાવારૂપ પદાર્થ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ કરીને અથવા પારજાંબલી (ultra-violet) કે અધોરક્ત (infra-red) કે ક્ષ-કિરણો (એક્સ-રે) દ્વારા પુરાવાઓ તપાસાય છે.

મરહૂમ માણસનાં કપડાં ઉપર પડેલ લોહીના ડાઘ કે મારામારી કે સ્વબચાવમાં કે વળતા પ્રહારમાં નખમાં ભરાયેલ મેલ કે લોહીના ડાઘ, મૃતકની લાળ તથા પસીનાના ડાઘને રસાયણો દ્વારા ઓળખી, મરનાર કે મારનારના લોહીનું ગ્રૂપ જાણી શકાય છે તેવી જ રીતે ગુનાના સ્થળેથી મળી આવેલ વાળ, પગરખાંને ચોંટેલા ધૂળમાટીના કણો, ગુના માટે વપરાયેલાં માદક અને વિષભરેલાં દ્રવ્યો, ખૂનીનાં કપડાંના તાંતણા, ગુનાના સ્થળેથી મળેલાં દીવાસળી વગેરે આ પ્રયોગશાળાઓમાં નિષ્ણાતો દ્વારા તપાસાય છે. તેના આધારે ગુનેગારનું પગેરું મળે છે.

આવી પ્રયોગશાળામાં જૂના લખાણ તરીકે ગણાવેલ દસ્તાવેજ, તેની શાહી, સહીની બનાવટી નકલ વગેરે રાસાયણિક પ્રક્રિયાથી સાચું છે કે ખોટું તે પારખી શકાય છે. બનાવટી ચલણી નોટ કે સિક્કાઓ પણ આ જ રીતે ઓળખી શકાય છે. હિંસામાં વપરાયેલ ધાતુની બુલેટ – ગોળીના માપ ને ઢાંચો સરખાવવા માટે બીજી તેવી જ ગોળી તે જ માપની રિવૉલ્વર દ્વારા છોડે છે અને પરખ કરે છે. તે માટે સૂક્ષ્મદર્શક યંત્રો હોય છે. આ યંત્રોથી હસ્તાક્ષર, ટાઇપ કરેલ લખાણ અને અન્ય ટાઇપરાઇટરના અક્ષરો, ગુનાના સ્થળેથી મળી આવેલ રંગ, આગ લગાડવામાં વપરાયેલ રસાયણ જાણવા માટે મળી આવેલ રાખ વગેરે તપાસવામાં પણ આ ખાસ પ્રકારનાં સૂક્ષ્મદર્શક યંત્રો (સ્ટીરિયોસ્કોપિક બાયનૉક્યુલર) વપરાય છે.

સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા મનુષ્યની આંખ દ્વારા ખોળી ન કાઢી શકાય તેવાં ઉષ્ણતા અને પ્રકાશનાં કિરણો નોંધી હસ્તાક્ષરોની નકલો ન દેખાય તેવી રીતે કાગળો કે દસ્તાવેજો ઉપરથી ભૂંસેલ અક્ષરોની વિગતો જાણી શકાય છે.

‘ગૅસ ક્રોમેટોગ્રાફ’ દ્વારા મનુષ્યના લોહીમાં ભળેલ દારૂનું પ્રમાણ જાણી શકાય છે. પોલેરાઇઝિંગ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા ધાતુના કણો, માદક દ્રવ્યો, નારકોટિક્સ ઓળખાય છે. ભારતના દરેક રાજ્યના મુખ્ય શહેરમાં આવી પ્રયોગશાળા હોય છે.

ગુનાશોધન સંસ્થાઓ (ખાનગી) : ગુનો કે ગુનેગારની ભાળ મેળવવાના કાર્યમાં રોકાયેલી વ્યાવસાયિક સંસ્થા. વિદેશોમાં ખાનગી ગુનાશોધન સંસ્થાઓની બહુ જ માગ રહે છે. કાયદા દ્વારા બધે જ તેને માન્યતા છે. જોકે તે તેવું બધું કબૂલ કરે નહિ છતાં પણ તે સંસ્થાઓ ઘણીવાર કાયદા ઉવેખીને પણ ગુનાશોધન કરતી હોય છે. એટલે સરકારી રીતે કે પોલીસ વડે જ્યારે ગુનો શોધાતો ન હોય, સરકાર અને પોલીસ તંત્રમાં આસ્થા ન હોય ત્યારે આવી સંસ્થાઓની મદદ લેવાય છે. પોલીસને યશ મળે તે રીતે તે સંસ્થાઓ પોતાની શોધ-તપાસ પોતે ભૂગર્ભમાં રહીને કરે છે, જેથી પોલીસ પાસે આવતી માહિતીનો લાભ તેને મળી શકે. ભારતમાં આવી જૂજ સંસ્થાઓ છે. અને તે પણ કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ જેવાં મેટ્રોપૉલિટન કે મોટાં શહેરોમાં આવેલી છે.

પોલીસ જ્યારે ગુનો શોધી શકતી ન હોય અથવા ગુનાશોધનમાં તેની ગતિ ધીમી હોય, કોઈ વાર ઉચ્ચ અધિકારીઓ કે રાજકારણીઓ આ તપાસને ધીમી કરી દેતા હોય ત્યારે ગુનાથી જેને અસર પહોંચી હોય તેવા લોકો ખાનગી ગુનાશોધન સંસ્થાની સેવા મેળવે છે.

આવી સંસ્થાઓ મેળવેલી માહિતી કે તપાસની વિગત પ્રથમ પોતાના ગ્રાહકને આપે છે, અને પછી તેની પરવાનગીથી પોલીસને પહોંચાડે છે, પણ તે તપાસ દરમિયાન જો તેને એવી માહિતી મળે કે જે કાયદાકીય રીતે ગુનાઇત હોય તો તેના ગ્રાહક તેને પરવાનગી ન આપે તોપણ તેને તે માહિતી કે તપાસનો નિષ્કર્ષ પોલીસને પહોંચાડવાની ફરજ પડે છે નહિ તો તેનું લાઇસન્સ રદ કરાય છે. આવી સંસ્થાઓ મેળવેલ માહિતી વડે તેના ઍાપરેટર – કર્મચારી કોઈને તે માહિતી જાહેરમાં ખુલ્લી કરવાની ધમકી આપી વધારે પૈસા પડાવી શકે નહિ. કાયદો તેમ કરતાં તેને રોકે છે. વળી આ માહિતી પ્રથમ તેને મળે ત્યારે તે સંભવિત ગુનેગારને પણ જાણ કરી પૈસા પડાવી શકે નહિ. ખાનગી સંસ્થાઓ આ શિસ્ત પાળતી હોય છે પણ અપવાદરૂપ આવી કોઈ સંસ્થા બ્લૅકમેલિંગ (ધમકી આપી ડરાવે) કરે તો તે પોતે કાયદેસર ગુનેગાર બને છે.

આ સંસ્થાના કર્મચારીઓ બહુ જ સામાન્ય માણસ હોય તેમ વર્તતા હોય છે. શંકા હોય તેવા લોકોને ત્યાં કોઈ વાર તેઓ હંગામી નોકરી કરીને, અન્ય કોઈ નજીકના સ્થળે છુપાઈને કોઈ વાર શંકા હોય તેનું પગેરું દબાવી તે દિવસરાત કાર્ય કરતા હોય છે. કોઈ વાર શંકા હોય તેવા મનુષ્યના રહેણાકની બાજુમાં રહી વચ્ચે સહમાલિકીની દીવાલ ઉપર ઉપકરણો ગોઠવી તેના રહેણાકમાં થતી માહિતીઓ મેળવતા રહે છે. વીજળીનું બિલ વાંચનારા, તેના ટેલિફોનના થાંભલેથી તેનો ટેલિફોન કાપી, પછી ઠીક (રિપૅર) કરવાને બહાને તે શંકાસ્પદ વ્યક્તિના ઘરમાં ઉપકરણ છુપાવી અન્ય સ્થળે તે રહેણાકમાંથી વાતચીત ટેપ કરી લેતા હોય છે.

વિદેશમાં એક ભાગીદાર અન્ય ભાગીદાર ઉપર કે પતિપત્ની એકબીજાં ઉપર શક કરતાં હોય ત્યારે આવી સંસ્થા-એજન્સીઓની મદદ મેળવી પુરાવા એકઠા કરતા હોય છે. આવી સંસ્થાના કર્મચારીઓ વિશેષ ફી મેળવી તેના માલિકની પરવાનગીથી કે પોલીસ દબાણ કરે ત્યારે કોર્ટમાં સાક્ષી આપતા હોય છે. ધંધાની હરીફાઈ માટે, ઉદ્યોગોની હરીફાઈ માટે પણ એકબીજાંની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી સંસ્થાની મદદ લેવાય છે. જોકે તેમ કરવું સ્વયં એક ગુનો છે. આપણી કલ્પનામાં ન આવે તેવાં કામો માટે પણ આવી સંસ્થાની મદદ લેવાય છે.

ખોવાઈ ગયેલ વ્યક્તિ કે વારસદાર કે સંભવિત વારસદારને શોધવા કે બચાવવા આવી સંસ્થા કામ કરે છે. તાતાનાં યેલો પેજમાં જાહેર થયેલાં નામો ઉપરથી તેનાં નામોનો ખ્યાલ આવશે. મુંબઈમાં એડવૉટર્સ (Adworts), કૉમર્શિયલ સર્વિસીસ, લીટલ મોર સર્વિસીસ જેવા ખબર ન પડે તેવાં નામો પણ તેનાં હોય છે. તો એબીસી સિક્યિૂરટી ઍન્ડ (ગનમૅન) ડિટેક્ટિવ, એવર્ક્સ ઇન્વેસ્ટિગેશન ઍન્ડ ડિટેક્શન, બૉમ્બે ઇન્ટેલિજન્સ , સિક્યૂરિટી બૉમ્બે ઇન્વેસ્ટિગેટર્સ, ડૅગર સિક્યૂરિટી ઍન્ડ ફાયર સર્વિસીસ, ફેડરલ પ્રોટેક્શન ઍન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ, આઇ.બી.આઇ. ડિટેક્ટિવ (પ્રા.) લિ. વગેરે. તેની જાહેરાતમાં ટ્રેડમાર્ક કે પેટન્ટની ચોરી, ધંધાકીય છેતરપિંડી, ઘરેલુ વિશ્વાસઘાત, મૂંઝવણો, નોકરીએ રાખતાં પહેલાં તેની તપાસ (એમ્પ્લૉયમેન્ટ સ્ક્રીનિંગ) લેબર કોર્ટ બાબતો, સંભવિત કોઈ પણ બાબતો, કોઈ પણ જગ્યાએ જ્યાં મુશ્કેલી હોય કે આવી પડવા સંભવ હોય તેની સેવા માટે તેવું દર્શાવાય છે. (વીમાનું ખોટી રીતે કોઈ વળતર ન મેળવી લે તે માટે પણ.)

આ કાર્યમાં કામ કરતા ઑપરેટરને ઈજાનું અને કોઈ વાર મૃત્યુનું જોખમ પણ હોય છે. સ્વસુરક્ષા માટે તેઓ હથિયારનું લાઇસન્સ ધરાવતા હોય છે.

હસમુખભાઈ હરજીવનદાસ પટેલ

11 October 2024

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ની ઉજવણી

સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં 

"વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ" ઉજવાયો.


            10 મી ઓક્ટોબર 2024 ના દિવસે સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ- ભાવનગરમાં "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ" ઉજવવામાં આવ્યો હતો. જેની અંતર્ગત શાળામાં પ્રાર્થનાસભામાં રજૂઆત, બુલેટિન બોર્ડ પર માનસિક સ્વાસ્થ્ય વિષયક લેખો, ચિત્રો, પોસ્ટર વગેરે દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.શાળામાં બ્લેકબોર્ડ પર વિદ્યાર્થીએ ચિત્રો બનાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત મનોવિજ્ઞાનના શિક્ષક શ્રી ડૉ.જીજ્ઞેશભાઈ વેગડ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તથા વિડિયો દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2024 ની થીમ,માનસિક સ્વાસ્થ્ય એટલે શું, માનસિક સ્વસ્થ વ્યક્તિના લક્ષણો, માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય,માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો, માનસિક સ્વાસ્થ્ય અને આપણે વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને પ્રશ્નોત્તરી પણ કરી હતી.








10 September 2024

"વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ"- જાગૃતિ કાર્યક્રમ

 "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ"- જાગૃતિ કાર્યક્રમ






                10 મી સપ્ટેમ્બર 2024 ના દિવસે સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ-ભાવનગરમાં "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ" - જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની અંતર્ગત શાળાના સાયકોલોજી કોર્નરમાં આત્મહત્યાના સમાચારો,આત્મહત્યા નિવારણના પોસ્ટરો ચિત્રો,લેખો વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શાળાના બ્લેકબોર્ડ પર ચિત્રો બનાવીને વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિશ્વ આઘાત નિવારણ દિવસ ઉપર શાળાના મનોવિજ્ઞાનના શિક્ષક શ્રી ડૉ.જીજ્ઞેશભાઈ  વેગડ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની 2024 ની થીમ, તેનો ઇતિહાસ,આત્મહત્યાના લક્ષણો, કારણો અને નિવારણના ઉપાયો વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વ ભાગ લીધો હતો.




18 August 2024

શું દરેક ક્રિયા અને વિચાર પાછળ મનોવિજ્ઞાન છે?

શું દરેક ક્રિયા અને વિચાર પાછળ મનોવિજ્ઞાન છે?


મોટેભાગે (એટલે કે, 99 ટકા) આપણે સૌ પહેલાં મનથી વિચારીએ છીએ અને કોઈ પણ કાર્ય કે વિચારને મનથી કરીએ છીએ, એનો માનસિક નકશો તૈયાર કરવામાં મનનો મોટો ફાળો હોય છે. આપણું શરીર એ મનનો નોકર છે. દાખલા તરીકે, તમારાં હાથમાં પેન છે પણ તમારું મન જાણે છે કે "ક" કેમ લખવો, "ખ" કેમ લખવો. આ સ્મૃતિમાં અકબંધ વસ્તુઓને મન ખોળી કાઢીને કાગળમાં ગોઠવવાં માટે હાથને કમાન્ડ કરે છે, એટલે, હાથ એ પ્રમાણે અક્ષરો, શબ્દો, વાક્યો કરવાં માટે વળે છે. માત્ર, એટલું જ નહીં પરંતુ સમગ્ર વાક્યો અર્થપૂર્ણ બનાવવાનું કામ પણ મન જ કરે છે. આવી નાની વાતથી શરૂ કરી ને જીવનના ગંભીરમાં ગંભીર નિર્ણયો મનથી જ થતાં હોય છે. અત્યારે હું આ ક્વોરાના એક પ્રશ્નનો જવાબ લખું છું ત્યારે પણ મારું મન એમાં પ્રવૃત્ત થયું છે અને મનની કમાંડ મુજબ મારી આંગળીઓ ટાઇપ કરી રહી છે.

મનની શક્તિઓ આકાશ જેટલી વિસ્તૃત અને મહાસાગરથી યે ઊંડી છે. મનનો તાગ મેળવવો એ અત્યંત મુશ્કેલ છે. આમ જોઈએ તો, મન એ મગજની એ ક્ષમતા છે જે વ્યક્તિને વિચારવાની શક્તિ, યાદશક્તિ (મેમરી), નિર્ણયશક્તિ, બુદ્ધિ, ભાવના, સંવેદનશીલતા, એકાગ્રતા, વર્તન, આંતરદૃષ્ટિ આપે છે. સામાન્ય ભાષામાં, મન એ શરીરનો તે ભાગ અથવા પ્રક્રિયા છે જે જાણીતી વસ્તુને સમજવા, વિચારવા અને સમજવા માટે કાર્ય કરે છે. વિચાર એ મનની એક પ્રોડક્ટ છે. આપણે માણસને એનાં વિચારો ને લીધે મહાન ગણતાં હોઈએ તો એ મનને શું કહીશું કે જે આવા વિચારો ને જન્મ આપે છે? અહીંયા, મને એક ફિલ્મ ગીતની પંક્તિઓ યાદ આવે છે: "મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ના કોય; મન ઉજિયારા જબ જગ ફૈલે, જગ ઉજિયારા હોય.." (ફિલ્મ "કાજલ" ના આ સુંદર ગીતમાં, સાચે જ, મનનો બહુ મોટો મહિમા ગાયો છે: "તોરા મન દર્પણ કહેલાયે").

મનના વિવિધ પાસાઓ અને તેની કામગીરી મનોવિજ્ઞાન નામની એક જ્ઞાનની શાખા કરે છે. માનસિક આરોગ્ય અને મનોચિકિત્સા વ્યક્તિના મનની કામગીરીનું વિશ્લેષણ કરે છે. મનોચિકિત્સા નામની એક શાખા મનની અંદર છુપાયેલી જટિલતાઓને સમજવાનુ અને એની સ્થિતિમાં માનસિક અથવા માનસિક સ્વાસ્થ્યમાં વિક્ષેપ પેદા કરે છે એને ઉકેલવાનું કાર્ય કરે છે. બીજી બાજુ, માનસિક આરોગ્ય પુનસ્થાપિત કરવાની રીતનું કામ પણ મનોચિકિત્સા કરે છે.

સિગ્મંડ ફ્રોઇડ નામના મનોવૈજ્ઞાનિકે મનને ત્રણ ભાગોમાં વર્ગીકૃત કર્યું છે:

સભાન મન: તે મનના લગભગ દસમા ભાગનું છે, જેમાં પોતાનાં વિશે અને પર્યાવરણ વિશેની માહિતી (ચેતના) શામેલ છે. દૈનિક કાર્યમાં, કોઈપણ વ્યક્તિ મનના આ ભાગને વ્યવહારમાં મૂકે છે.

અચેતન મન: તે મનનાં આશરે 90 ટકા ભાગનું છે, જેનું કાર્ય વ્યક્તિને ખબર નથી. તે મનના સ્વસ્થ અને આરોગ્યપ્રદ કાર્યોને અસર કરે છે. આપણને આવતાં સપનાંઓ એ આ મનની પ્રોડક્ટ છે. આ ભાગમાં જે કંઈ ચાલે છે એને સપનાથી આકાર દેવાતો હોય છે. એટલે કે એ સપનારૂપે વ્યક્ત થતું હોય છે. આમાં ભૂખ, તરસ, જાતીય ઇચ્છાઓ જેવી કોઈની મૂળવૃત્તિ સંબંધિત ઇચ્છાઓ દબાવવામાં આવે છે. એ કોઈની સાથે વ્યક્ત થતું નથી. એ એક જાતનું આપણે જાતે આપણાં પર કરેલું દમન છે, જે અચેતન મનમાં દબાઈને પડ્યું રહે છે. માણસ મનના આ ભાગનો સભાનપણે ઉપયોગ કરી શકતો નથી. મનનાં આ ભાગમાં દબાયેલી ઇચ્છાઓ નિયંત્રણ શક્તિમાંથી છટકીને પ્રગટ થાય છે. જે પછીથી મનોરોગનું રૂપ ધારણ કરે છે.

અર્ધ-સભાન અથવા પૂર્ણ-સભાન મન: તે મનના સભાન અને અચેતન વચ્ચેનો એક ભાગ છે, જેનો ઉપયોગ જ્યારે વ્યક્તિ ઇચ્છે ત્યારે કરી શકે છે, જેમ કે મેમરીનો તે ભાગ, જેનો ઉપયોગ વ્યક્તિ ઘટનાને યાદ કરવાનો અને યાદ રાખવા માટે કરી શકે છે.

ફ્રોઈડે એ પણ કામ મુજબ મનને ત્રણ મુખ્ય ભાગોમાં વર્ગીકૃત કર્યું છે. એ આ મુજબ છે:

ઇડ (મૂળ પ્રવૃત્તિ) આ આપણી મૂળભૂત ઈચ્છાઓ છે. આ મોટેભાગે આપણી બાયોલોજીકલ જરૂરિયાતો છે. આ ઈચ્છા અતાર્કિક અને બિન-મૌખિક છે અને ચેતનામાં પ્રવેશતી નથી. આપણાં મનનો એક ભાગ છે જે મૂળની ઇચ્છાઓ ધરાવે છે, જેમાં જાતીય ઇચ્છાઓ, આક્રમકતા, ખોરાક, વગેરે નો સમાવેશ થાય છે. જેનાથી ટૂંકાગાળાનો સંતોષ મળે છે અને એ સુખ અને દુઃખનાં સિદ્ધાંત પર આધારિત છે. આ વિભાગની સંતુષ્ટિ માટે આ જૈવિક જરૂરિયાતો પૂર્ણ થાય એ જરૂરી છે. જો એમ ન થાય તો એ વ્યક્તિનું વર્તન એબનોર્મલ બને છે.

ઈગો (અહમ્): આ મનનો સભાન ભાગ છે જે વાસ્તવિક વૃત્તિની ઇચ્છાઓને વાસ્તવિકતા અનુસાર નિયંત્રિત કરે છે. આની અસર સુપરઇગો (અંતિમ અહમ) ની છે. તેનો અડધો હિસ્સો સભાન અને અડધો અભાન રહે છે. તેનું મુખ્ય કાર્ય માણસને તાણ અથવા અસ્વસ્થતાથી બચાવવાનું છે. ફ્રોઇડની માનસિક પુત્રી એના ફ્રોઇડના જણાવ્યા અનુસાર, આ ભાગ દોઢ વર્ષની ઉંમરે ઉત્પન્ન થાય છે, જેનો પુરાવો એ છે કે આ સમયગાળા પછી, બાળક તેના અંગોની ઓળખ કરવાનું શરૂ કરે છે, અને તેનામાં અહંકારભાવ કે સ્વાર્થભાવ વિકસે છે.

સુપર ઇગો (અંતિમ અહમ્): આપણાં મનની આ વસ્તુ સામાજિક અને નૈતિક જરૂરિયાતો અનુસાર ઉદભવે છે અને આપણાં વ્યક્તિત્વ કે અનુભવનો ભાગ બને છે. તેના અભાન ભાગને "અહંકાર-આદર્શ" અને સભાન ભાગને "અંત:કરણ" કે "વિવેકભાન" કહે છે.

ઈગો (અહમ્) નું મુખ્ય કાર્ય વાસ્તવિકતા, બુદ્ધિ, ચેતના, કારણ-શક્તિ, મેમરી-શક્તિ, નિર્ણય-શક્તિ, ઇચ્છા-શક્તિ, અનુકૂલન, એકીકરણને અલગ કરવાની વૃત્તિ વિકસિત કરવાનું છે.

મનુષ્યનું મન સૌથી ઝડપી ગતિ કરે છે. આ જગતમાં હજી સુધી એવી એક પણ વસ્તુ શોધાઈ નથી કે જે મનની ગતિ ને પહોંચી શકે. હકીકતમાં મન એક જ એવી વસ્તુ છે કે જે ભૂતકાળ, ભવિષ્યકાળ માં જઈ શકે છે. આ સુખકારી અને દુઃખકારી એમ બંને છે. કેટલાંક અતીતરાગી (Nostalgic, ભૂતકાળ પ્રત્યેનો પ્રેમ, લગાવવાળા) લોકો વ્યથિત રહે છે, એનું કારણ એમનાં મનની ગતિ છે. આ એમને સુખ અને દુઃખ એમ ઉભય સંવેદનો, લાગણીઓ આપે છે.

અધ્યાત્મિક સ્તરે જોઈએ તો, મનને એક ભૂમિ માનવામાં આવે છે, જેમાં નિર્ધાર અને પસંદગી સતત ઉત્પન્ન થાય છે, અને એ અવિરતપણે ચાલુ જ રહે છે. વિવેકશક્તિનો ઉપયોગ સારા અને ખરાબનો ભેદ પાડવામાં થાય છે. વિવેકમાર્ગ અથવા જ્ઞાનમાર્ગમાં મનને સંયમિત રાખવાની ચેષ્ટા કરવામાં આવે છે, તેનું અંતિમ લક્ષ્ય શૂન્ય છે. ભક્તિના માર્ગમાં, મનને પરિણિત કરવામાં આવે છે, જેની પરાકાષ્ઠા ભગવાનના દર્શનમાં છે. આત્મા અને ઇન્દ્રિયો વચ્ચેના જ્ઞાનને મન કહેવામાં આવે છે.

આમ, આપણે કહી શકીએ કે, આપણી દરેક ક્રિયા અને વિચાર પાછળ મનનું વિજ્ઞાન કામ કરે છે.

અસ્તુ.


દિલીપ ભટ્ટ
વી. ડી. કાણકીયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, 


11 August 2024

“PSYCHOLOGY CORNER”

સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં “PSYCHOLOGY CORNER”
શરૂ કરવામાં આવ્યો.

 





શ્રી સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ-ભાવનગર ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મનોવિજ્ઞાન વિષયમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.જીજ્ઞેશભાઈ એ.વેગડ દ્વારા વિદ્યાર્થીઓમાં મનોવિજ્ઞાનના વિષય પ્રત્યે રસ અને રુચિ વધે તે માટે એક નવતર પ્રયોગના ભાગ રૂપે શાળામાં “PSYCHOLOGY CORNER” શરૂ કરવામાં આવ્યો હતો.જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનોવૈજ્ઞાનિક કૃતિઓનું સર્જન થતાં તેઓમાં આ વિષય પ્રત્યે જિજ્ઞાશા વધે, વિષય પ્રત્યેનો ભય દૂર થાય,આ વિષયમાં ઉચ્ચ અભ્યાસની પ્રેરણા મળે, મનોવિજ્ઞાનના પરિભાષિત શબ્દોની સમજ કેળવાય, મનોવૈજ્ઞાનિક ફિલ્મો જોવાનો દ્રષ્ટકોણ બદલાય વગેરે છે. “PSYCHOLOGY CORNER”માં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ દર સોમવારે રજૂ કરવામાં આવશે. જેમ કે, વિવિધ મનોવૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ સાથેના જીવન-કવનની સંક્ષિપ્ત રજૂઆત, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, ચિત્રો-આકૃતિઓ, મનોવૈજ્ઞાનિક દિવસોની ઉજવણીના અહેવાલ, મનોવૈજ્ઞાનિક સમાચારો, મનોવૈજ્ઞાનિક લેખો, મનોવૈજ્ઞાનિક કસોટીઓના નમુનાઓ, વર્તમાનપત્રમાં આવતા લેખોના કટિંગ (મનોવૃતિ, મનોરોગ, માનસ વગેરે), મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણો, મનોવિજ્ઞાનના પુસ્તકોનો પરિચય વગેરે. જેનું ઉદ્ઘાટન તા.05/08/2024ને પવિત્ર શ્રવણ માસના પ્રથમ સોમવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે શાળાના આચાર્ય શ્રી હિતેશભાઇ દવે અને સુપવાઇઝર શ્રી યુ.બી.ડોડીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય દ્વારા ડો.જિજ્ઞેશભાઈ વેગડના આ નવતર પ્રયાસને આવકારવામાં આવ્યો હતો.






03 August 2024

ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો

 ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો 


શિક્ષક શ્રી,

ખાતાકીય પરિક્ષા માટે ઉપયોગી પુસ્તકોના નામ, કિંમત અને પ્રાપ્તિ સ્થાનનું સરનામું અહીં આપવામાં આવેલ છે.પુસ્તકોનું કવર પેજ પણ દર્શાવેલ છે.

જી.સી.એસ.આર. (ટીકા-ટિપ્પણ)(આવૃત્તિ-7/2024) - કિંમત રૂ. 1000/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-1) નો પરિચય (આવૃત્તિ-2024) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-2) નો  પરિચય (આવૃત્તિ-2024) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-3) નો પરિચય (આવૃત્તિ-2024) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-4) (પંચાયત) (આવૃત્તિ-2023) નો પરિચય - કિંમત રૂ. 650/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-5) (શિક્ષણ) (આવૃત્તિ-2023) નો પરિચય - કિંમત રૂ. 700/-

સપ્ટેમ્બર - ઓક્ટોબર -2022 માં પ્ર્સિદ્ધ થયેલા ઠરાવોની સરળ સમજૂતી - કિમંત રૂ.50/-

નવી વર્ધિત પેન્શન યોજનાનો પરિચય (આવૃત્તિ-1/2019) - કિંમત રૂ. 300/-

પી. આર. મહેતા

37, કમલેશ સોસાયટી
જૂના ઢોર બજાર પાસેકાંકરિયા
બી.આર.ટી.એસ. ના ટેલીફોન એક્ષચેન્જ  બસ સ્ટેન્ડ પાસે,
અમદાવાદ-380022.

(મો) 98255 34737 ઉપર ફોન કરવા વિનંતી.
(મો) 98245 18729





















25 July 2024

પ્રથમ એકમ કસોટી - જુલાઈ ૨૦૨૪

 પ્રથમ એકમ કસોટી - જુલાઈ ૨૦૨૪ 

  • ધોરણ - ૧૧    સમાજશાસ્ત્ર  
  • ધોરણ - ૧૨    સમાજશાસ્ત્ર  
  • ધોરણ - ૧૧     અંગ્રેજી 
  • ધોરણ - ૧૨     અંગ્રેજી 
  • ધોરણ- ૧૧ વાણિજ્ય વ્યવસ્થા 
  • ધોરણ- ૧૨ વાણિજ્ય વ્યવસ્થા 
  • ધોરણ - ૧૧  આંકડાશાસ્ત્ર 
  • ધોરણ - ૧૨  આંકડાશાસ્ત્ર

    16 May 2024

    કંટાળો (boredom)

    કંટાળો (boredom)



    કંટાળો (boredom) : એક પ્રકારની માનસિક સ્થિતિ. વ્યક્તિને જે કામ ચાલુ રાખવા અથવા પૂરું કરવા માટે ફરજ પાડવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતી વૃત્તિ તે કંટાળો. કોઈ પણ કામ કરવાનું આજે ગમે, તે કરવામાં કાલે કંટાળો પણ ઊપજે. કામ બધા જ માણસોને એકસરખું કંટાળાજનક ન પણ લાગે. કંટાળાની લાગણી કામ વાસ્તવિક રૂપમાં કેવું છે તે ઉપર નહિ, પરંતુ વ્યક્તિને કેવું લાગે છે તેના ઉપર આધાર રાખે છે. કંટાળો એ વ્યક્તિનું લક્ષણ છે, કાર્યનું નહિ.

    કોઈ કામ પુન: પુન: એકધારું કરવું પડે તેના પરિણામે ઉત્પન્ન થતી એકવિધતા(monotony)ની માનસિક સ્થિતિ અને કંટાળો બંને એક નથી. એકવિધતાના અનુભવમાં કાર્ય પ્રત્યે અણગમો હોવાનો ભાવ સંકળાયેલો નથી, જ્યારે કંટાળામાં વ્યક્તિના કાર્ય પ્રત્યેના પ્રતિકૂળ વલણ તેમજ કાર્ય પ્રત્યેના અણગમાનો સમાવેશ થાય છે. એકવિધતાનો અતિરેક પણ કંટાળામાં પરિણમે.

    કાર્ય કરવાથી થાક લાગે છે, કાર્ય કરવામાં કંટાળો પણ ઊપજે છે. બંનેનાં પરિણામોમાં કાર્ય-ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. પરંતુ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ થાક અને કંટાળા વચ્ચે તફાવત છે. જે કામ કરવાથી કંટાળો ઊપજતો હોય તેને બદલીને બીજું કામ કરવાથી કંટાળો દૂર થાય; પરંતુ કામ બદલવાથી થાક દૂર થતો નથી. કંટાળો કાર્યમાં પરિવર્તન લાવવા માટેની ઇચ્છાનું પ્રતિબિંબ છે, કામ કરવામાંથી છૂટવા માટેનું નહિ. કંટાળાથી માનસિક વ્યગ્રતા, અસુખ, અજંપો પ્રગટે છે અને તેથી કાર્યઉત્પાદનના વક્રમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે અને ઉત્પાદન ઘટે છે; જ્યારે થાકમાં કાર્યશક્તિમાં ઘટાડો થાય છે, પરિણામે ઉત્પાદનનો આંક એકસરખી રીતે નીચે ઊતરતો જાય છે. કંટાળો આવે ત્યારે વ્યક્તિને કામ કરવામાં અરુચિ તથા ઉત્સાહનો અભાવ ઊપજે છે, ચહેરા ઉપર ભાતભાતનાં પરિવર્તનો દેખાય છે, વારંવાર શરીરનાં આસનો બદલાય છે અને જરાક બહાનું મળતાં માણસ કામ છોડવા તૈયાર થઈ જાય છે. કંટાળો ઊપજવાથી કામમાં ધ્યાન ચંચળ બને છે, તેથી ભૂલોનું પ્રમાણ અને અકસ્માતનું પ્રમાણ પણ વધે છે. કંટાળાજનક પ્રવૃત્તિ કરવામાં વ્યક્તિનો સમયનો અંદાજ પણ વધી જાય છે.

    કામ કરવામાં કર્મચારીને દિવાસ્વપ્નોમાં રાચવાની સરળતા વધારે, તેમ તેને કંટાળાનું ભાન ઓછું લાગે છે. અલબત્ત, આવી રીતે દિવાસ્વપ્નોમાં રાચવાની ટેવની પ્રતિકૂળ અસર વ્યક્તિના માનસ અને વ્યક્તિત્વ ઉપર થાય છે. કંટાળો આત્યંતિક રૂપ ધારણ કરે ત્યારે નિરાશાથી માંડીને અજંપો, વિરોધ અને ચિત્તભ્રમ જેવાં વર્તનલક્ષણો પ્રગટાવે છે અને ઘણી વાર તે ગુનાખોરી, આપઘાત, લગ્નભંગ જેવી સામાજિક સમસ્યાઓ માટે જવાબદાર બને છે.

    જે કાર્યો વ્યક્તિની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિને અનુકૂળ હોય, તે માટે અભિરુચિ હોય, કાર્યસાથીઓનું જૂથ ને કાર્યસ્થળનું વાતાવરણ સાનુકૂળ હોય, કાર્યને વૈવિધ્યપૂર્ણ અને લયબદ્ધ બનાવવામાં આવે, કાર્યપદ્ધતિમાં પરિવર્તનોને સ્થાન હોય, કાર્યાવધિમાં વચમાં વિશ્રાંતિનો સમય રાખવામાં આવે, કાર્યને અર્થપૂર્ણ વિભાગોમાં વહેંચી ટુકડે ટુકડે કરવામાં આવે તેમજ કાર્ય વ્યક્તિને હેતુલક્ષી, ધ્યેયલક્ષી લાગે તો કંટાળો કે અરુચિ ઊપજવાનું પ્રમાણ ઘટે છે.

    ભાનુપ્રસાદ અ. પરીખ