Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

20 July 2022

કેમ વધી રહી છે વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકોની માંગ

કેમ વધી રહી છે વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકોની માંગ 


         છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં મનોવૈજ્ઞાનિકો (Psychologists)ની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. કોરોના (corona)મહામારીના કારણે લોકોમાં માનસિક સમસ્યાઓ વધી રહી છે. પરંતુ દવા અને શિક્ષણ સિવાય, ઉદ્યોગ (Industries), રમતગમત, રાજકારણ, મનોરંજન વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાં મનોવૈજ્ઞાનિક નિષ્ણાતોની માંગ અને ભરતીમાં જબરદસ્ત વધારો થયો છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં મનોવિજ્ઞાન (Psychology)ને એટલું મહત્વ આપવામાં આવતું નથી જેટલું મળવું જોઈએ. કોવિડ-19 મહામારી (corona pandemic)ના કારણે લોકોના શારીરિક સ્વાસ્થ્ય (physical health)ને જ અસર નથી થઈ, પરંતુ તેને ઘણી માનસિક (mental health) આડઅસર પણ કરી છે. શું આ જ કારણ છે કે, આખી દુનિયામાં મનોવૈજ્ઞાનિકોની માંગ વધી રહી છે કે પછી વિશ્વમાં ઝડપથી વધતી જતી માનસિક સમસ્યાઓનું કારણ છે.

જે મહામારીના કારણે બહાર આવી છે અથવા તો આજનું આધુનિક જીવન જ એવી સ્થિતિમાં છે કે જ્યાં દિવસે દિવસે અનિશ્ચિતતા વધી રહી છે. સત્ય એ છે કે, તાજેતરના વર્ષોમાં વિશ્વમાં મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા ઘણી વધી રહી છે. અને મનોવૈજ્ઞાનિકો પણ વિશ્વના ઘણા ક્ષેત્રોમાં દખલ કરી રહ્યા છે. તેનું કારણ આ ટ્રેન્ડમાં જ દેખાય છે.

ઘણા વિસ્તારોમાં ઝડપથી વધી રહી છે માંગ

મનોવિજ્ઞાન નિષ્ણાતો હવે ઘણી મોટી ભૂમિકામાં દેખાઈ રહ્યા છે અને તે પણ સરકાર, મીડિયા, રાજકારણ, કોર્પોરેટ જગત, ફેક્ટરીઓ, ફિલ્મ સેટ્સ, ટેક સ્ટાર્ટઅપ્સ જેવી ઘણી જગ્યાએ. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન માટેના એક લેખમાં, સાયકોલોજિસ્ટ અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ જસ્ટિન એન્ડરસન, જેમણે કોલેજના ઘણા વિદ્યાર્થીઓ, બિઝનેસમેન અને ઓલિમ્પિક એથ્લેટ્સ સાથે કામ કર્યું છે, તે કહે છે કે પરંપરાગત રમતવીરો પણ સાયકોથેરાપ્યુટિક સલાહ લેવા લાગ્યા છે.

વિસ્તરી રહ્યો છે મનોવિજ્ઞાનનો વ્યાપ

વિશ્વભરના ઘણા ઉદ્યોગોમાં તણાવ ઘટાડવાના મહત્વને માન્યતા આપવામાં આવી રહી છે. આ સાથે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે આ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. હવે મનોવૈજ્ઞાનિક તાલીમ ઘણી રીતે સક્ષમતા પર ભાર મૂકે છે જેની ઉદ્યોગોમાં માંગ વધી રહી છે. આ ઉપરાંત, ડેટા વિશ્લેષણથી બહુ-શિસ્ત કાર્યકારી ટીમો બનાવવા જેવા કાર્યો પણ તેમના કાર્યક્ષેત્રમાં આવવા લાગ્યા છે. એ દિવસો ગયા જ્યારે મનોવિજ્ઞાન માત્ર તબીબી માધ્યમથી જ સુલભ હતું. હવે શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.



ઇક્વિટી, વિવિધતા અને સમાવેશ (EDI)

જે ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકોની સૌથી વધુ માંગ છે તે છે “સમાનતા, વિવિધતા અને સમાવેશ” એટલે કે “ઇક્વિટી, ડાઈવર્સિટી અને ઈન્ક્લૂજન” (EDI). છેલ્લા પાંચથી છ વર્ષમાં વિવિધ સંસ્થાઓમાં EDIની ભૂમિકામાં 71 ટકાનો વધારો થયો છે. તે બધામાં મનોવૈજ્ઞાનિકો નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સાથેની કુશળતા ખૂબ મૂલ્યવાન સાબિત થઈ છે.

ઓફિસના વાતાવરણને સમજવું જરૂરી

ફ્લોરિડામાં સ્થિત ઔદ્યોગિક અને સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક ડૉ. કિઝી પાર્ક્સ માને છે કે ઓફિસના વાતાવરણમાં ટીમો કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, ઓફિસ પોલિટિક્સ અને વ્યક્તિત્વના પાત્રની અસરો શું છે તે સમજવું હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સંસ્થાઓ પણ પ્રક્રિયાઓ પર વધુ ધ્યાન આપી રહી છે. EDIના મહત્વને જોતાં, મનોવૈજ્ઞાનિકોની માંગ વધી છે કારણ કે આ વિષય પરની નિપુણતા સાથે, તેઓ આ નિષ્ણાત સંસ્થાઓ અને સંસ્થાઓને અન્ય ઘણી રીતે મદદ પણ કરી શકે છે. જેના કારણે કર્મચારીઓના સ્તરમાં ઘણો વધારો થઈ શકે છે.


જાહેર જીવનમાં પણ

અમેરિકામાં મનોવૈજ્ઞાનિકો પણ જાહેર જીવનમાં નવી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. ઓબામાથી લઈને બિડેન વહીવટીતંત્ર સુધી વિવિધ સલાહકાર પદો પર મનોવૈજ્ઞાનિકોની નિમણૂક કરવામાં આવી છે. તે જ સમયે, સિન્થિયા એન ટેલ્સ જેવા મનોવૈજ્ઞાનિકોને કોસ્ટા રિકામાં યુએસ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં યુએસ કોંગ્રેસમાં મનોવૈજ્ઞાનિકોની સંખ્યા પણ વધી છે.

મોટી ટેક કંપનીઓ પણ પાછળ નથી

આજે મનોવૈજ્ઞાનિકો ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે જેમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક જેવી મોટી ટેક કંપનીઓ મનોવૈજ્ઞાનિકોની ભરતી કરી રહી છે. તે જ સમયે, મનોવિજ્ઞાનની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો નવા સ્ટાર્ટ-અપ્સમાં વધુ દેખાય છે. ટેક કંપનીઓ તેમના ઉત્પાદનોની લોકપ્રિયતા ચકાસવા, તેમને લોકપ્રિય બનાવવા અને લોકોની માંગને સમજવા માટે મનોવૈજ્ઞાનિકોની ભરતી કરી રહી છે.

અને મનોરંજન પણ

આ સિવાય મનોરંજનમાં પણ મનોવૈજ્ઞાનિકોની માંગ વધી રહી છે. મીડિયા, દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓ વગેરે મનોવૈજ્ઞાનિકોને તેમના સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ્સ અને પ્રોજેક્ટ્સમાં લાવી રહ્યા છે. મનોવિજ્ઞાન પૃષ્ઠભૂમિને મનોરંજનમાં પણ ઉપયોગી માનવામાં આવે છે, સ્ક્રિપ્ટ રાઇટિંગથી લઈને અભિનેતાઓ સુધી. નિર્માતાઓએ તેમના કલાકારોના માનસિક સ્વાસ્થ્ય માટે વધુ મનોવૈજ્ઞાનિક સમર્થન માંગવાનું શરૂ કર્યું છે.


Published by:Riya Upadhay                                                 First published: January 09, 2022, 10:37 IST

10 July 2022

ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ - પરિવારના સભ્યને માનસિક હેરાન કરવાની વિકૃતિ

ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ - પરિવારના સભ્યને માનસિક હેરાન કરવાની વિકૃતિ

કુટુંબની અંગત અને ખૂબ નજીકની વ્યક્તિને દુઃખી અને ટોર્ચર કરવાની વિકૃતિ: ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ કેસ સ્ટડી


સાંભળી ને નવીન લાગે કે શું કોઈ વ્યક્તિ પોતાની અંગત અને ગમતી વ્યક્તિને પણ દુઃખી કરી ટોર્ચર કરી શકે? જવાબ છે હા..જેને મનોવિજ્ઞાનની ભાષામાં ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન માં એક કેસ સ્ટડીનું વિશ્લેષણ પુરોહિત અમી દ્વારા કરવામાં આવ્યું. કેસ 90 વર્ષના દાદા દ્વારા તેના 63 વર્ષના પુત્ર પર સતત ટોર્ચર, દવાઓ પણ જરૂરિયાત મુજબ પૂર્ણ ન કરવા દેવાની માનસિકતા, ત્યાં સુધી કે તે પુત્રની પત્ની પર નજર બગાડી માટે તેઓ 10 વર્ષ પેલા ઘર છોડી જતા રહ્યા, તેમના દીકરાને બે સંતાન એક દીકરી એક દીકરો, દાદા દીકરાના દીકરા પાસે પોતાના પિતાને માર મારવા લાલચ આપે. 63 વર્ષના પિતાને પોતાના બાળકો અત્યાચાર કરે દીકરી પાપાને પકડી રાખે અને દાદા મારે. પ્રેમ લાગણીનો છાંટો ઘરમાં નહીં બસ એકબીજાને પીડે, ઘરમાં કંકાસ ભર્યું જ વાતાવરણ જેમાં ઘરના સભ્યો આ સિન્ડ્રોમથી પીડાતા હતા. દાદા અને દાદી સ્ટોકહોલ્મ સિન્ડ્રોમની સાથે સ્કીઝોઆઇડ પર્સનાલિટીના રોગી છે તેજ બાબતો દીકરા અને પૌત્રોમાં વારસાગત ઉતરેલી જોવા મળેલ.


શુ છે સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ?

એક એવી માનસિક સ્થિતી નું નામ છે કે જેમાં અંગત વ્યક્તિ અથવા ઘણી વખત કોઈનું અપહરણ કરેલ હોય તેવી વ્યક્તિ સાથે એક પ્રકારનો સહાનુભૂતિ ભર્યો આવેગ વિકસે છે. આ માનસિક જોડાણ ઘણા દિવસો અઠવાડિયાઓ કે વર્ષો દરમિયાન વિકસે છે. તે એક સંપૂર્ણ ભાવનાત્મક પ્રતિભાવ છે. એક રીતે જોઇએ તો આ પ્રકારની માનસિક પ્રતિક્રિયા ત્યારે જ ઉદભવે છે કે જ્યારે અપહરણ કરનાર પીડિત કે પીડિતા પર સીધી હિંસા ન કરે ઉપરાંત તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જેને લીધે પરિણામે બંધક ના મનમાં આવા આવેગો ઉદ્દભવે છે.

આ એક તીવ્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જેમાં પીડિતને તેમના ત્રાસ આપનારાઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મે છે. તે કોઈ ન્યુરોલોજીકલ રોગ નથી.

ડોમેસ્ટિક સ્ટોકહોમ સિન્ડ્રોમ

આ પ્રકારના સિન્ડ્રોમમાં ઘરેલુ હિંસાનો સમાવેશ કરી શકાય.જેમ કે ઘરેલુ હિંસા કોઈ પતિ તેની પત્નીને પ્રેમ કરે છે. છતાં પણ તેનું શોષણ, માર મારવો કે માનસિક ટોર્ચરીંગ જેવા નિષેધાત્મક વર્તન દાખવે છે. જેમાં તેની પત્ની પણ તેના સામે કોઈ પગલાં લેવા કે સામે આક્રમકતા દેખાડવાના બદલે તેના પર સહાનુભૂતિની લાગણી રાખે છે. તે એવું માને છે કે પોતે પણ તેને ચાહે છે અને હંમેશા તેની સાથે જ રહેવાનું છે.

શારીરિક શોષણના પણ ઘણા કિસ્સાઓ બહાર આવે છે અને તેની વિરુદ્ધ ઘણા હુલ્લડો પણ થાય છે. છતાં બધા જ કિસ્સાઓને આવો વેગ મળી શકતો નથી. ક્યારેક નાના બાળકો કે બાળકી પર કે પછી વૃદ્ધ પર પણ આવા વર્તન થતા હોય છે. ત્યારે તેને પોતે જ છુપાવી રાખે છે અથવા તો તેઓને ગુપ્ત રાખવા માટે માનસિક દબાણ આપીને કહેવામાં આવે છે.

પરિવારમાં સિન્ડ્રોમ હોય તો તે આસપાસના વાતાવરણમાં પણ ઘણું નુકસાનકારક નીવડી શકે છે. તેની આસપાસના વાતાવરણના લોકો હિંસા વિશે તો જાણે છે પરંતુ કંઈ કરી શકતા નથી. કારણ કે પીડિત જ પોતાને પીડિત માનતો નથી.ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ આક્રમક ગુનેગાર પર સંપૂર્ણપણે નિર્ભર હોય ત્યારે પણ આ પ્રકારની બધી પ્રક્રિયાઓ તેના પક્ષમાં સ્વીકારી લે છે. આ પ્રકારની માનસિકતા સ્ત્રીઓમાં વઘુ જોવા મળે છે. એક અન્ય કેસ મનોવિજ્ઞાન ભવનમાં આવેલ જેમાં પત્ની પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે પણ ટોન્ટ દરેક વાતમાં માર્યા કરે. હજારવાર પતી દ્વારા માફી માંગવામાં આવેલ છતાં જૂની વાતોની ટકટક સતત ચાલુ જ રાખે જેને કારણે તેમનું દાંમ્પત્ય જીવન બરાબર ચાલે નહીં. દાંમ્પત્ય જીવનમાં ફેરફાર આવ્યો તો પત્નીને બીજી શઁકા જાગી કે જરૂર ક્યાંક અફેર છે. આમ જ શંકા અને આ સિન્ડ્રોમને કારણે અનહદ પ્રેમ હોવા છતાં આ પતિપત્ની દુઃખી છે.


કારણો 

  • પીડિતો પ્રત્યે ની વફાદારી
  • માનસિક બંધન,
  • ક્યારેક ધમકી,શારીરિક અને માનસિક શોષણ
  • દબાણમાં જરૂરિયાતો પૂર્ણ કરવા અતિશય દબાણ.
  • પોતાના સ્વભાવની વાસ્તવિકતા જાણ્યા પછી અપરાધ ભાવને કારણે આવું વર્તન ઉદ્દભવે. – પરિવારમાં વારસાગત લક્ષણોને કારણે

દૂર રહેવાની કે સર્વાઇવલ યુક્તિઓ

  • ઘરેલુ હિંસા અને આવા સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓ ઘરેલુ ઘેલછાના સારા હેતુઓને જાણી-સમજી ઘરમાં શાંતિમય,પ્રેમ,પ્રોત્સાહન વગેરે જેવા વર્તનો કરી પોતાની લાગણીઓને જાગૃત કરી શકે.
  • જ્યારે પુરુષ-આક્રમણ કરનાર સારા મૂડમાં હોય ત્યારે તેની પત્ની તેના આ વર્તનો વિશે જાગૃત કરવા માટે તેમજ તેને સુધારવા માટેના પ્રયત્નો કરી શકે.
  • પ્રિયજન કે મિત્રની મદદ લઈ શકે.
  • મનોચિકિત્સકની મદદ લઈ શકાય.
સ્ત્રોત :- OOT ઈન્ડિયા 

04 July 2022

મનોરોગને સ્વીકારવો મુશકેલ:સાઇકોલોજીસ્ટ પાસે જતા 69.32% શરમ અનુભવે છે, 97.10%ના મતે શાળા - કોલેજમાં કાઉન્સેલર હોવા જરૂરી

મનોરોગને સ્વીકારવો મુશકેલ:સાઇકોલોજીસ્ટ પાસે જતા 69.32% શરમ અનુભવે છે, 97.10%ના મતે શાળા - કોલેજમાં કાઉન્સેલર હોવા જરૂરી


મનોવિજ્ઞાનની માન્યતા અને 1241 સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ચોંકવનારા તારણો સામે આવ્યા


માણસના મનની સમસ્યા અને તકલીફોને સમજવા માટે મનોવિજ્ઞાનનો ખ્યાલ આજના સમયમાં પ્રસ્થાપિત થયો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિત દ્વારા ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાનની માન્યતા અને 1241 સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકવનારા તારણો સામે આવ્યા હતા.

મનોવિજ્ઞાન વિશેની ખોટી માન્યતા

શૈક્ષણિક ક્ષેત્રે જોવા મળતા ઘણા વિષયોમાં મનોવિજ્ઞાન પણ એક વિષય છે, જે રીતે વિદ્યાર્થીઓને અન્ય વિષયોનું જ્ઞાન પોતાના જીવનમાં પોતાના વ્યવસાયમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બની રહે છે તેવી જ રીતે મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓના જીવનમાં સાથે સાથે જ દરેક લોકોના જીવનમાં ઘણી રીતે ઉપયોગી બને છે. પોતાના રોજિંદા વ્યવહારમાં, વ્યવસાયમાં, અભ્યાસમાં, લગ્ન જીવનની સમસ્યા, કુટુંબ સમસ્યા તથા અન્ય ઘણી બાબતોમાં મનોવિજ્ઞાનનું જ્ઞાન દરેક માટે ઉપયોગી બની રહે છે. સામાન્ય રીતે મનોવિજ્ઞાન વિશેની માન્યતા ઘણી ખોટી થાય છે કે જે લોકો માનસિક રીતે બીમાર હોય છે તેના માટે જ મનોવિજ્ઞાન છે પરંતુ માત્ર અસાધારણ વ્યક્તિઓ જ નહીં સાધારણ વ્યક્તિઓના સમાયોજનમાં પણ તથા વિદ્યાર્થીઓ અને સમાજના કોઈપણ લોકો બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા માટે મનોવિજ્ઞાન વિષય ઉપયોગી બને છે.


મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે

આજનાં સમયમાં ઔદ્યોગિકરણ અને શહેરીકરણ અતિશય વેગવાન બન્યું છે આ સમયગાળામાં યંત્રોની બોલબાલા વધી છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ વગેરે ખૂબ વધી રહ્યું છે પરિણામે વ્યક્તિગત રીતે સામાન્ય લોકોમાં મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા વગેરેનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સોશિયલ નેટવર્કના લીધે મોટા સમૂહમાં જોડાયેલો તો છે છતાં એકલતા અનુભવે છે. બધી જ જાતની સુખ સુવિધા સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી, આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજવા માટે તેની આંતરિક બાબતોને ઓળખવી અને યોગ્ય દિશામાં લોકોના જીવનને વધારે શાંતિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદભવી છે. જેના માટે મનોવિજ્ઞાન ખૂબ ઉપયોગી બની રહે છે. માનવ જાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે.

મનોવિજ્ઞાન વિશેની સમજૂતી

મનોવિજ્ઞાન વિષય એ સામાન્ય રીતે માનવીના બાહ્ય વર્તનનો અભ્યાસ કરે છે. તેમજ મનોવિજ્ઞાનમાં માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વિષયના મુખ્ય ધ્યેયમાં માનવીના વર્તનનું વર્ણન કરવું છે, વર્ણન કર્યા બાદ સ્પષ્ટીકરણ કરવું, માનવીના વર્તન વિશે આગાહી કે ભવિષ્યકથન કરવું એ મનોવિજ્ઞાન વિષયના મુખ્ય ધ્યેયો તો છે જ સાથે સાથે માનવીના વર્તનને નિયંત્રિત કરવું અને યોગ્ય વર્તન દ્વાર વ્યક્તિ સમાયોજન સાધી શકે તેટલું યોગ્ય બનાવવું છે. આ ઉપરાંત માનવીના જીવનમાં ઉપયોગી બની શકે એ રીતના વર્તનમાં સુધારણા કરવી તે પણ મનોવિજ્ઞાનનું એક મુખ્ય ધ્યેય છે.



મનોવિજ્ઞાન : એક સાયન્સ

મનોવિજ્ઞાન એ પહેલાં તત્વજ્ઞાનની એક શાખા હતી પરંતુ આગળ જતા મનોવિજ્ઞાનમાં ઘણા વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યા તથા મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનનો યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો જેથી મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો મનોવિજ્ઞાનના અભ્યાસમાં ઘણી વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિઓ જેવી કે નિરીક્ષણ પદ્ધતિ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ પ્રશ્નાવલી પદ્ધતિ મનોવૈજ્ઞાનિક કસોટી વગેરે જે ઉત્તમ વિશ્વસનીયતા અને યથાર્થતા ધરાવે છે તેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓથી મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે.

સ્તોત્ર :- દિવ્ય ભાસ્કર